ETV Bharat / state

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનઃ બોપલ-ઘુમામાં વધુ 10 દિવસ રેન્ડમ કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે

author img

By

Published : Jul 5, 2020, 11:01 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3 જુલાઈના રોજથી બોપલ-ઘુમાના વિવિધ વિસ્તારોમાં રેન્ડમ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટીંગની પ્રક્રિયા 10 દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે. જે મુજબ બોપલ-ઘુમા વિસ્તારના કોઈપણ રહિશને કોરોનાના લક્ષણો હોય તેવા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. 1 જુલાઈથી 2 જુલાઈ સુધીમાં બોપલ-ઘુમામાં કુલ 8 જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા. જેથી સંક્રમણ વધુ ફેલાય નહી, તે માટે અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તરફથી ખાસ આરોગ્ય સેવા વાન વિવિધ સોસાયટીઓમાં ફરી રહી છે.

Ahmedabad Municipal Corporation
Ahmedabad Municipal Corporation

અમદાવાદઃ રવિવારે કબીર એન્કલેવ અને તેની આસપાસની સોસાયટીઓના કોરોના લક્ષણો ધરાવતા લોકોના ફ્રી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આગામી 7 દિવસ હજૂ પણ બોપલ-ઘુમાની વિવિધ સોસાયટીમાં આરોગ્ય સંજીવની અને ધનવંતરી રથ મોકલવામાં આવશે. 3જી જુલાઈના રોજ બોપલમાં આવેલી સનસીટી-1થી સનસીટી-7, આરોહી ક્રિસ્ટ, સ્પ્રિંગ મિડોશ બંગ્લોઝ, અમર માંજરી બંગ્લોઝ અને સનસીટી હાર્ટમાં રહેતા લોકો જેમને કોરોનાનાં લક્ષણ દેખાતા હોય તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

બોપલ-ઘુમામાં વધુ 10 દિવસ રેન્ડમ કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે

પાલિકાના પૂર્વ પ્રમુખ જીગીશાબેન શાહે જણાવ્યુ હતુ કે, છેલ્લા 3 દિવસમાં કુલ 200થી વધુ રેપિડ એન્ટિજન કોવિડ-19 ટેસ્ટ કર્યા છે. જેમાં મોટાભાગના નેગેટિવ આવ્યા છે. ગાર્ડન રેસિડેન્સીમાં 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 4 જુલાઈના રોજ સાઉથ બોપલના કન્ટેઈનમેન્ટ જાહેર કરાયેલા ઓર્ચિડ પેરેડાઈઝમાં પણ લક્ષણો ધરાવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ ગાલા ગ્લોરીના કેટલાક રહિશોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે, અહી એક પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. જેથી રહિશો અને આરોગ્યની ટીમે પણ રાહતનો શ્વાસ લીધો છે.

ટેસ્ટ કર્યા પછી પોઝિટિવ આવતા દર્દીઓને મળી રહી છે તાત્કાલિક સારવાર : ગુણવંતસિંહ સોલંકી, ડેપ્યુટી મ્યુનિશિપલ કમિશનર

બોપલ-ઘુમા વિસ્તાર કોર્પોરેશનમાં ભળ્યો છે, ત્યારે આ વિસ્તારમાં જે કોઈ સિમટોમેટિક કે એસિમટોમેટિક લક્ષણો ધરાવતા વ્યક્તિ નજરે પડે તો તેમના ટેસ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. રવિવારના દિવસે પણ અમારી ટીમ આ માટે વિવિધ સોસાયટીઓમાં લોકોના ટેસ્ટ કરવા માટે કામ કરી રહી છે. જો પોઝિટિવ દર્દી આવે તો તત્કાલ સારવાર મળી રહે તે માટે પ્રયાસ હાથ ધરાશે. ધનવંતરી રથ અને હેલ્પલાઈન 104 આરોગ્ય સેવા વાન મારફતે લોકો વધુને વધુ આ સેવાનો લાભ લે તે માટે અપીલ પણ કરવામાં આવી છે. હજૂ આગામી એક સપ્તાહ સુધી આ ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે.

ઘરે ઘરે જઈને થઈ રહ્યા છે ટેસ્ટ, નાગરિકોને લાભ લેવા અનુરોધ : જીગીશાબેન શાહ

બોપલ - ઘુમા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગીશાબેન પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા રેન્ડમ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. સામાન્ય લક્ષણ હોય તો પણ ટેસ્ટ કરાવતા લોકો ડરે છે અને ટેસ્ટ કરાવતા નથી, જેથી કોર્પોરેશન દ્વારા દરેક સોસાયટી- ફ્લેટમાં જઇ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. બોપલમાં કોઈપણ વ્યક્તિને લાભ લેવો હોય તો મારો પણ સંપર્ક કરશે, તો આ ટેસ્ટ માટે હું તેમને સહયોગ આપીશ. અમે દરેક સોસાયટી- ફ્લેટના ચેરમેનને જાણ કરી રહ્યા છીએ કે, તેમની સોસાયટીમાં જો કોરોનાનાં કોઈને લક્ષણ હોય તો તેમના નામ, નંબર અને ઉંમરની તેમને જાણ કરે. કોર્પોરેશનની ટીમ આવી અને ફ્રીમાં ટેસ્ટ કરશે.

ટેસ્ટિંગ કીટની ખાસિયત શું છે?

જોધપુર અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. કૃતાર્થ ઝાલાએ આ વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, અગાઉ કોરોના ટેસ્ટ માટે આપણે RTPCR ટેસ્ટ કરતા હતા. જેમાં સેમ્પલ લેબમાં જતા અને એક દિવસ પછી તેનો રિપોર્ટ મળતો હતો, પણ આ રેપિડ એન્ટિજન કોવિડ-19 ટેસ્ટ કહેવામાં આવે છે. જેનું પરિણામ તત્કાલ સ્થળ પર જ મળી જાય છે. જે બિલકુલ પરફેક્ટ આવે છે. તાત્કાલિક સારવાર માટે કાર્યવાહી કરી શકાય છે. જેથી દર્દીને વધુ સંક્રમણ ફેલાય નહી.

રેપિડ એન્ટિજન કોવિડ-19 ટેસ્ટના ફાયદા

  • તાત્કાલિક પરિણામ
  • સચોટ અને વિશ્વનીય પરિણામ
  • ઝડપી પરિણામને કારણે કોરોના સંક્રમણનો ફેલાવો અટકાવી શકાય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.