ETV Bharat / state

Ahmedabad Crime News: ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કાંડમાં પોલીસને મળી પહેલી સફળતા, ફરાર પટાવાળો ઝડપાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 5:26 PM IST

Updated : Aug 30, 2023, 5:31 PM IST

ઉત્તરવહીઓની હેરફેર કરનાર પટાવાળો ઝડપાયો
ઉત્તરવહીઓની હેરફેર કરનાર પટાવાળો ઝડપાયો

ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગૂમ કરવાના ગુનામાં પોલીસે એક પટાવાળાની ધરપકડ કરી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે સાયબર ક્રાઈમની મદદથી સંજય ડામોર નામના આરોપીને ઝડપ્યો છે. ફરિયાદ નોંધાયાના દોઢ મહિના જેટલા સમય બાદ પોલીસને આ કેસમાં પહેલી સફળતા મળી છે. જોકે આ સમગ્ર ઉત્તરવહી કાંડનો મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે. વાંચો ગુજરાત યુનિ. પોલીસને કેવી રીતે મળી પહેલી સફળતા

વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગૂમ કરવાના ગુનામાં પોલીસે એક પટાવાળાની ધરપકડ કરી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ બોટની વિભાગમાં કાર્યરત નર્સિંગની પરીક્ષાના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહી ગુમ થઈ હતી. ઉત્તરવહીઓ ગૂમ થવા સંદર્ભે મોટો વિવાદ પણ થયો હતો. પરિણામે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 12 જુલાઈના રોજ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કિસ્સામાં યુનિવર્સિટી પોલીસે બોટની વિભાગમાં સેવક તરીકે કામ કરતા સંજય ડામોર નામના આરોપીની ધરપકડ કરી છે.

સંજયની કામગીરીઃ સંજય નામનો આરોપી ઉત્તરવહીકાંડના મુખ્ય સૂત્રધાર સન્ની ચૌધરી અને અમિત સિંઘને મદદ કરતો હતો. સંજય બોટની વિભાગમાં જ રહેતો હતો. જેથી ઉત્તરવહી લાવવા અને લઈ જવાની પ્રક્રિયાથી વાકેફ હતો. મુખ્ય બે આરોપી સાથે મળીને સંજય સોદા થયા પ્રમાણે ઉત્તરવહીને સગેવગે કરવાની ભૂમિકા ભજવતો. ફરિયાદ નોંધ્યા બાદ શરૂઆતથી તબક્કામાં બોટની વિભાગમાં કામ કરતા તમામ કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. જો કે પોલીસની સઘન તપાસથી ડરી જઈને સંજય ફરાર થઈ ગયો હતો.

પકડાયેલો આરોપી સંજય ડામોર મુખ્ય આરોપીઓના કહેવાથી સ્ટ્રોંગરુમમાંથી ઉત્તરવહી ચોરી કરીને તેઓને આપતો હતો અને તે જે તે વિદ્યાર્થીઓને ઉત્તરવહીઓમાં જવાબો લખાવી તે ફરીથી સ્ટ્રોંગ રૂમમાં ઉત્તરવહીઓ મૂકી દેતો. આ પ્રકારે વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે મુખ્ય આરોપીઓ પૈસા લેતા હતા. હાલમાં પકડાયેલા આરોપીની વધુ પૂછપરછા કરી મુખ્ય આરોપીઓની ધરપકડ માટે ટીમો કામે લગાડવામાં આવી છે...એચ. એમ. કણસાગરા(ACP, બી ડિવિઝન, અમદાવાદ )

ઉત્તરવહીમાં જવાબો ગુપ્ત સ્થળે લખાતાઃ ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા ઉત્તરવહી કાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં નર્સિંગના 14 વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગૂમ થઈ હતી. પોલીસે ઉત્તરવહી ગૂમ થઈ હોય તે વિદ્યાર્થીઓના નિવેદન પણ લીધા હતા. જેમાં મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિત સિંહનું નામ સામે આવ્યું હતું. આ કાંડના મુખ્ય આરોપીઓ વિદ્યાર્થીઓ પાસે પરીક્ષામાં ઉત્તરવહી કોરી રખાવ્યાં બાદ એસેસમેન્ટ સેન્ટરમાંથી રાતના સમયે તેમની ઉત્તરવહી વિદ્યાર્થીઓને પહોંચાડતા.જેમાં જવાબ લખવામાં આવતા. ઉત્તરવહીઓમાં જવાબ લખાવવાનું કામ ગુપ્ત સ્થળે કરવામાં આવતું. એક વિદ્યાર્થી પાસેથી રૂપિયા 50 હજાર વસૂલવામાં આવતા.

  1. Ahmedabad Crime News : સેટેલાઈટની કંપની સાથે 2.14 કરોડની છેતરપિંડી આચરનારા અજમેરી વેપારી
  2. Ahmedabad Crime: ગોમતીપુરમાં પિતરાઈ ભાઈ સાથે બેઠેલા યુવક પર જીવલેણ હુમલો, આખરે થયું મોત
Last Updated :Aug 30, 2023, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.