ETV Bharat / opinion

ચીન અને ભારત વચ્ચેના સંઘર્ષમાં પાકિસ્તાનની ભૂમિકા કેવી છે?

author img

By

Published : Sep 7, 2020, 9:19 AM IST

Role of Pakistan between India China standoff
Role of Pakistan between India China standoff

ચીનના પ્રમુખ શિ જિનપિંગને ભારે ઉતાવળ છે કે ચીનને મહાસત્તા બનાવી દેવું. ચીનની આર્થિક પ્રગતિ અભૂતપૂર્વ છે. આજે અનેક દેશો ચીની ઉત્પાદનોના ભરોસે આવી ગયા છે. દુનિયાની સ્થાપિત આર્થિક સત્તાઓથી આગળ વધીને તે વિશ્વનું સૌથી બીજું મોટું અર્થતંત્ર બની ગયું છે.

ભારતે ચીનની યોજના બેલ્ડ એન્ડ રોડ ઇન્નિશિયેટિવ (BRI)માં જોડાવાનો ઇનકાર કરી દીધો તેથી ભારત સામેની નારાજગી વધી હતી. એશિયા, આફ્રિકા, યુરોપ, મધ્ય પૂર્વ અને અમેરિકા સુધી ફેલાયેલા આ વેપારી મહામાર્ગની યોજના જિનપિંગની મનગમતી યોજના હતી. વિસ્તારવાદી ચીને BRIના માધ્યમથી અનેક દેશો સુધી પોતાની વગ વધારી દીધી છે. સાથે જ શ્રી લંકામાં હંબનતોલા, પાકિસ્તાનમાં ગ્વાદર જેવા બંદરો પર કબજો પણ જમાવી દીધો છે.

ચીનની BRI યોજના ઉપરાંત બીજી બે બાબતોમાં ચીનને ભારત સામે વાંધો પડી ગયો છે. શાસક પક્ષ ભારતીય જનતા પક્ષના બે અગત્યના નેતાઓ ગયા મે મહિનામાં તાઇવાનના પ્રમુખની શપથવિધિમાં ઓનલાઇન હાજર રહ્યા હતા. તે પછી જૂનમાં G-7 સમિટમાં હાજર રહેવા માટે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભારતને આમંત્રણ આપ્યું હતું અને ચીન સાથેના ઘર્ષણની ચર્ચા ટ્રમ્પે ફોન પર ભારતના વડા પ્રધાન સાતે કરી હતી. આ ઉપરાંત જૂન મહિનામાં વડા પ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મોરિસન સાથે પણ ઓનલાઇન સમિટ કરી હતી. ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો પણ બગડ્યા છે, કેમ કે ઓસ્ટ્રેલિયાએ આરોપ મૂક્યો છે કે ચીનના કારણે કોરના વાઇરસ જગતભરમાં ફેલાયો. ચીનને એવું લાગે છે કે ભારત ધીમે ધીમે અમેરિકાની વધારે નજીક સરકી રહ્યું છે.

ચીન પોતાની આર્થિક તાકાત દેખાડ્યા પછી હવે જગતને પોતાની લશ્કરી તાકાત પણ દેખાડવા માગે છે. તેથી જ દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે, તાઇવાન, વિયેટનામ અને જાપાનને ધમકીઓ આપે છે અને ભારતના વિસ્તારોમાં ઘૂસણખોરી કરીને ભારતનું નીચાજોણું કરવા માગે છે.

પિપલ્સ લિબરેશન આર્મીએ (PLA)ના દળોએ ગલવાન વૅલીમાં ઘૂસણખોરી કરી અને અજિત દોવાલ સહિત સેનાના ઘણા કમાન્ડરો સાથે વાટાઘાટો પછીય ચીન પીછેહઠ કરવા તૈયાર નથી. થોડી પીછેહઠ કરીને ચીન ભારતીય પેટ્રોલિંગ એરિયામાં અડ્ડો જમાવીને બેઠી રહ્યું છે.

ભારત સામે દુશ્મનાવટ રાખતું પાકિસ્તાન પણ મોકો જોઈને, ચીનની મદદ લઈને બંને દેશો વચ્ચેની સરહદે તણાવ ઊભો કરવાની કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાનીઓ સરહદના ઘણા વિસ્તારો પર તોપમારો કરી રહ્યા છે. જૂન 2020માં બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF)એ એક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું હતું. આઈએસઆઈએ ત્રાસવાદીઓને શસ્ત્રો પહોંચાડવા ડ્રોન મોકલ્યું હતું. અહેવાલો અનુસાર માત્ર જૂન મહિનામાં જ 150થી વધુ વાર શસ્ત્રવિરામનો ભંગ પાકિસ્તાને કર્યો હતો. તોપમારો કરીને તેની હેઠળ ભારતમાં ત્રાસવાદીઓને ઘૂસાડવાની કોશિશ પણ પાકિસ્તાને કરી હતી.

દરમિયાન 4 ઑગસ્ટના રોજ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને નવો રાજકીય નકશો જાહેર કર્યો, તેમા જમ્મુ અને કાશ્મીર ઉપરાંત જૂનાગઢને પણ પાકિસ્તાનમાં દર્શાવવાનું નાટક કર્યું. ઇમરાન ખાને ચોથી ઑગસ્ટે જ નકશો જાહેર કર્યો. એક વર્ષ પહેલાં પાંચમી ઑગસ્ટે જમ્મુ અને કાશ્મીર માટેની કલમ 370ને હટાવી દેવાઈ તે તારીખને ધ્યાનમાં રાખીને આવું કરાયું હતું.

કલમ 370ની નાબુદી પછી પાકિસ્તાન કંઈ કરી શક્યું નથી ત્યારે પાકિસ્તાનની જનતાને ખુશ કરવા માટે ઇમરાને આવો નકશા બનાવવાનું નાટક કર્યું હતું. ઇમરાને કહ્યું કે શાળાના પુસ્તકોમાં પણ આ જ નકશો ભણાવાશે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે નકશો જાહેર કરવાની વાત અભૂતપૂર્વ છે.

જોકે ભારતના વિદેશ મંત્રાલયે અખબારી યાદીમાં આવી વાતને હાસ્યાસ્પદ ગણાવીને કહ્યું હતું કે “ભારતના રાજ્ય ગુજરાતમાં કે આપણા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખની બાબતમાં આવા ઉપજાવી કાઢેલા દાવા કરવા રાજકીય મૂર્ખામી છે. તેનો કોઈ કાનૂની આધાર નથી કે આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રદ્ધેયતા નથી.”

પાકિસ્તાન પાંચમી ઑગસ્ટે જ કાશ્મીરમાં ત્રાસવાદી હુમલા કરાવવા માગતું હતું, પણ તેમાં નિષ્ફળતા મળી. ભારતીય સલામતી દળોએ મોટા પાયે ત્રાસવાદીઓને પકડી પાડ્યા હતા.
અંસાર ગઝવાતુલ સહિતના હિઝબુલ અને જૈશે મોહમ્મદના ત્રાસવાદીઓને પકડી લીધા હતા.

ભારતના પ્રદેશો દર્શાવતો નકશો જાહેર કરીને પાકિસ્તાને ચીનને ખુશ કરવા કોશિશ કરી છે. સરહદે ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ થયું તે પછી તંગ સ્થિતિનો પાકિસ્તાન લાભ ઉઠાવવા માગે છે.

નેપાળે પણ આવી જ રીતે ચીનની ચડવણીથી કેટલાક ભારતીય પ્રદેશોને પોતાના દર્શાવીને નવો નકશો બહાર પાડ્યો હતો. લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાણી વિસ્તાર પર નેપાળે દાવો કર્યો. પાકિસ્તાને તેની નકલ કરવાની કોશિશ કરી છે. પાકિસ્તાને શાક્સગામ ખીણ અને અક્સાઇ ચીન જેવા ચીનના કબજામાં રહેલા વિસ્તારને દર્શાવ્યા નથી.

પાકિસ્તાને એ સમજવાની જરૂર છે કે અત્યારે તે આર્થિક સંકડામણમાં પસાર થઈ રહ્યું છે અને તે માત્ર સાઉદી, સંયુક્ત આરબ અમિરાત, આઈએમએફ અને ચીનની લોનથી જ ટકી રહ્યું છે. જોકે પાકિસ્તાન FATFના ગ્રે લિસ્ટમાં હોવાથી આઈએમએફની લોન મેળવવી મુશ્કેલ છે. પાકિસ્તાન જો ત્રાસવાદીઓ સામે કાર્યવાહી ના કરે તો તેને બ્લેક લિસ્ટમાં પણ મૂકવાની તૈયારી છે.

ચીન વિસ્તારવાદી દેશ છે અને પાકિસ્તાન ચીનના દેવાંની જાળમાં ફસાઈ જશે તો ચીન પાકિસ્તાનમાં પ્રદેશો પર કબજો જમાવી શકે છે. ગ્વાદર બંદર અને બલોચિસ્તાનના ખનીજ ધરાવતા પ્રદેસો તથા ગિલગિટ અને બાલ્ટિસ્તાનના ફળદ્રુપ વિસ્તાર પર કબજો કરી શકે છે.

ચીને ભારતને ડરાવવાની કોશિશ કરી તેમાં નિષ્ફળતા મળી છે. ભારતે સ્પષ્ટ જણાવી દીધું છે કે ચીન એપ્રિલ 2020માં હતી તેવી સ્થિતિમાં પાછા ફરવું પડશે. ભારતે આ વખતે એર ફોર્સને પણ આ વિસ્તારમાં કામે લગાવ્યું છે. ભારતની તાકિદને કારણે ફ્રાન્સે વહેલાસર પાંચ રફાલ વિમાનો પહોંચાડી દીધા છે.

ચીન સામેના ઘર્ષણમાં અમેરિકા, વિયેટનામ, જાપાન, ઓસ્ટ્રેલિયા, યુકે અને તાઇવાન સહિતના દેશોએ ભારતને ટેકો આપ્યો છે. આથી ચીને પીછેહઠ કરવી પડશે, પરંતુ તે માટે તે સમય લઈ રહ્યું છે. વિશ્લેષકો એવું પણ કહી રહ્યા છે કે શિ જિનપિંગ ભારે આંતરિક અસંતોષનો સામનો કરી રહ્યા છે. તેમણે રોજબરોજની સમસ્યાથી ધ્યાન હટાવવા જ ભારત પર આક્રમણ કરવાનું ગતકડું કર્યું છે.

ઇમરાન ખાન એવું માનતા હતા કે ચીનના કારણે ભારત દબાઈને રહેશે અને જનતામાં પોતાને સમર્થન મળશે. પરંતુ ચીન કે પાકિસ્તાને એવો અંદાજ નહોતો કે ભારત આટલી મક્કમતા સાથે જવાબ આપશે. ભારતને જે રીતે આંતરરાષ્ટ્રીય સમર્થન મળી રહ્યું છે તે પણ ચીન અને પાકિસ્તાનની કલ્પના બહારનું છે. હવે એવું મનાય છે કે ચીન માટે યુદ્ધ કરવું મુશ્કેલ છે અને આખરે તેમણે દળો પાછા ખેંચી લેવા પડશે.

ભારતે કલમ 370ની નાબુદી કરી ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સામે પાકિસ્તાન વિરોધ જગાવી શક્યું નહોતું. પાકિસ્તાને ભારત અને અફઘાનિસ્તાનના મામલામાં દખલ કરવાના બદલે પોતાને ત્યાં સ્થાનિક અસંતોષ છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. બલોચિસ્તાનમાં અનેક ભાગલાવાદી પરિબલો ઊભા થયા છે. હાલમાં જ બલોચ અને સિંધી રાષ્ટ્રવાદીઓએ હાથ મીલાવ્યા છે. તેથી પાકિસ્તાને ભારતની વિરુદ્ધમાં ચીન સાથે હાથ મીલાવવાના બદલે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પર ધ્યાન આપવાની જરૂર છે.

-જય કુમાર વર્મા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.