ETV Bharat / city

તબીબોની હડતાલના કારણે અકસ્‍માતગ્રસ્‍ત યુવકને સમયસર સારવાર ન મળતા નિપજ્યું મોત

author img

By

Published : Aug 9, 2021, 11:00 PM IST

વડોદરા સહિત રાજ્યભરમાં રેસીડન્ટ તબીબોની હડતાળના કારણે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. વડોદરામાં નવાયાર્ડમાં રહેતા 19 વર્ષના રાહુલ જાદવ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં પરિવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયો, પણ તબીબો હડતાળ પર હોવાથી રાહુલને યોગ્ય સારવાર ન મળતા તેણે જીવ ગુમાવ્યો હતો.

તબીબોની હડતાલ
તબીબોની હડતાલ

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે નિપજ્યું મોત
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 8 કલાક સુધી રાહુલને યોગ્ય સારવાર ના મળી
  • વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રાહુલનું મોત

વડોદરા: નવાયાર્ડમાં આવેલા રમણીક ચાલમાં રહેતા 19 વર્ષના યુવાન રાહુલ જાદવ અને તેનો મિત્ર દિવ્યાંગ પરમાર તેમના મિત્રને ચકકર આવતા હોવાથી રાત્રે બાઈક પર બેસી દવા લેવા ગયા હતા. જ્યાં ફતેગંજ હિલ મેમોરિયલ સ્કૂલ પાસે રાહુલે બાઈકના સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થઈને ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઇ હતી. જેમાં રાહુલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે તેના મિત્ર દિવ્યાંગ પરમારને સામાન્ય ઈજા પહોંચી હતી.

અમદાવાદ સિવિલના તબીબો હડતાલ પર હોવાથી રાહુલનું મોત

રાહુલનો અકસ્માત થતાં તેના પરિવારના સભ્યો સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ રાહુલની હાલત ગંભીર હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. જેથી પરિવારના સભ્યો રાહુલને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં રાહુલ જાદવની તબીબોએ 8 કલાક સુધી સારવાર કરી ન હતી. તબીબો હડતાળ પર હોવાથી સારવાર માટે કોઈ ડોકટર મળ્યા મળ્યા ન હતા. ત્યારબાદ પરીવારને તબીબોએ રાહુલને અન્ય હોસ્પિટલમાં ખસેડવા કહ્યું. જેથી પરિવાર રાહુલને ફરીથી વડોદરા લઈ આવ્યું અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો. માથામાંથી લોહી વધુ વહી ગયું હોવાથી રાહુલ જાદવનું મોત નિપજ્યું હતું.

પરિવારે 19 વર્ષનો એકનો એક દીકરો ગુમાવ્યો
પરિવારે 19 વર્ષનો એકનો એક દીકરો ગુમાવ્યો

આ પણ વાંચો- વડોદરા મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉકટરોની હડતાળ યથાવત, રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

પરિવાર કરી રહ્યો છે તબીબોને પોતાની ફરજ નિભાવવાની વિનંતી

પરિવારે 19 વર્ષનો એકનો એક દીકરો ગુમાવ્યો છે. તબીબો અને સરકાર વચ્ચેના ઝઘડામાં દર્દીઓનો શું વાંક છે? તબીબોને ભગવાન માનવામાં આવે છે, તો તબીબોએ તેમનો ધર્મ નિભાવી ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવી જોઈએ. તબીબો હડતાળ પર હોવાથી રાહુલને સમયસર અને યોગ્ય સારવાર ન આપી જેથી તેનું મોત નિપજ્યું હતું. રાહુલ પરિવારમાં એકનો એક દીકરો હતો, તેની માતા પણ નથી. પિતા પાસે પણ રોજગારી નથી. રાહુલ એક જ આખા ઘરનું ગુજરાન ચલાવતો હતો. રાહુલના મોતથી આખા પરિવારમાં શોકનો માહોલ છે. પરિવારના તમામ સભ્યો રડી રહ્યા છે. સાથે જ તબીબોને હડતાળ સમેટી લઈ ડોકટરનો ધર્મ નિભાવવાની વિનંતી કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.