- ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં વેક્સિન સેન્ટર બંધ
- વેક્સિનના અભાવે નહીં શરૂ થઈ શક્યા વેક્સિનેશન સેન્ટર
- કાપડ ઉદ્યોગના કર્મચારીઓ અને વેપારીઓની તકલીફમાં વધારો
સુરત: એક સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા હતા. પરંતુ હવે સુરતમાં કોરોનાની બીજી લહેર કાબુમાં આવી રહી છે અને ત્રીજી લહેર આવવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. પરંતુ કોરોના સામે વેક્સિન જ એક માત્ર વિકલ્પ છે. લોકો વધુમાં વધુ વેક્સિન લે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ હવે જયારે લોકો વેક્સિન લેવા આગળ આવી રહ્યા છે, ત્યારે લોકોને સમયસર વેક્સિન મળતી ન હોવાની ફરિયાદો ઉઠી છે. સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં વેક્સિન સેન્ટર છેલ્લા 10 દિવસથી બંધ હાલતમાં હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. વેક્સિનનો જથ્થો સમયસર ન આવતો હોવાથી વેપારીઓ અને કર્મચારીઓને મુશ્કેલીઓ થઇ રહી છે.
આ પણ વાંચો: સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ ટેક્સટાઈલ માર્કેટમાં નોંધાયા
કોરોનાની બીજી લહેરમાં સુપર સ્પ્રેડર બન્યા હતા ટેક્ષટાઈલ્સ માર્કેટના કર્મીઓ
સુરત ટેક્સટાઇલ માર્કેટના કાપડ વેપારી દિનેશ કટારીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી વેક્સિનેશન સેન્ટર બંધ છે. કારણ કે, વેક્સિનનો અભાવ છે. આ પહેલા પણ 150થી 200 વેક્સિન મળતી હતી, એની સામે રોજના 1 હજાર માણસો વેક્સિન લેવા માટે આવતા હતા. દરેક વ્યક્તિમાં એક ભય છે કે, આપણે ત્રીજી લહેર માટે પોતાને સુરક્ષિત કરી લઈએ. આશરે 40% જેટલા લોકોનો પહેલો પણ ડોસ બાકી છે, આ ઇન્ડસ્ટ્રી બીજી લહેરમાં સુપર સ્પ્રેડર હતી. સુરત શહેરમાં કોરોનાની બીજી લહેરમાં સુરત ટેક્સટાઇલ માર્કેટમાંથી વધુ દર્દી નોંધાયા હતા.
આ પણ વાંચો: સુરતમાં કોરોના સંક્રમણ વધતા બે દિવસ હીરા અને કાપડ માર્કેટ બંધ, કરોડો રૂપિયાનું ટર્નઓવર અટક્યું
કાપડ ઉદ્યોગને વેક્સિન માટે અગ્રીમતા આપવા માગણી
ટેક્સટાઈલ માર્કેટમાં પાંચ લાખ કરતાં વધુ લોકોનો સમાવેશ થાય છે, તેમની સુરક્ષા ખૂબ જ જરૂરી છે. અહીં કાપડ મીલના વર્કર, વિંગના વર્કર, સહિત દુકાનદારોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમજ આંતરરાજ્ય વેપારીઓ અહીં આવતા હોય છે, સાથે જ મનપાએ "નો વેક્સિન, નો એન્ટ્રી"ની જાહેરાત કરી છે. ત્યારે મનપા પાસે જો વેક્સિન જ નથી તો કારીગર કેવી રીતે વેક્સિન લેશે. દરેક સેન્ટર પર 500થી 1,000 લોકો લાઈનમાં ઊભા રહેતા હોય છે. ત્યારે ટેક્સટાઈલ માર્કેટના કર્મચારીઓનું વેક્સિનેશન પહેલા થવું જોઈએ તેવી કર્મચારીઓની માગ છે.