ETV Bharat / city

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરાથી વાપી સુધીના રેલવે ટ્રેક માટે ટેન્ડર બહાર પડાયું, જાણો કેવા હશે ટ્રેનના કોચ...

author img

By

Published : Aug 25, 2021, 3:57 PM IST

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરાથી વાપી સુધીના રેલવે ટ્રેક માટે ટેન્ડર બહાર પડાયું
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરાથી વાપી સુધીના રેલવે ટ્રેક માટે ટેન્ડર બહાર પડાયું

કેન્દ્ર સરકારના અતિમહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટે હવે ગતિ પકડી હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ NHSRCL દ્વારા તાજેતરમાં જ વડોદરાથી વાપી વચ્ચેના 237 કિલોમીટર રૂટના રેલવે ટ્રેકની કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડર ભરનારી ચારેય કંપનીઓ ભારતીય છે. ટેન્ડર બહાર પડતાની સાથે જ કામગીરીની ઝડપ વધશે. આ સિવાય બુલેટ ટ્રેનના કોચની વિશેષતાઓ જાણવા માટે વાંચો આ અહેવાલ...

  • 508 કિલોમીટરમાંથી 237 કિલોમીટર ટ્રેકની કામગીરી માટે બીડ
  • ટેક્નિકલ બીડ માટે ટેન્ડર ભરનારી ચારેય કંપનીઓ ભારતની છે
  • બુલેટ ટ્રેનના કોચ કેવા હશે, તે જાણવા માટે વાંચો આ અહેવાલ

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના કામની રફતાર હવે ઝડપી થવા લાગી છે. 508 કિલોમીટરનો રૂટ ધરાવનાર હાઈ સ્પીડ બુલેટ ટ્રેન રૂટના 237 કિલોમીટર ટ્રેકની કામગીરી માટે પેકેજ C-4 હેઠળ ટેન્ડરનો ટેક્નિકલ કોન્ટ્રાક્ટ જાહેર કરાયો છે. આ રૂટ વાપીથી વડોદરા સુધી બનશે. આ ટેક્નિકલ બીડ માટે ટેન્ડર ભરનારી ચારેય કંપની ભારતની છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા આ કંપનીઓના નામ સાર્વજનિક કરાયા છે.

હવાના દબાણને દૂર કરવા માટે શું હશે?

ટૂંક સમયમાં બુલેટ ટ્રેનની કામગીરીની ઝડપથી શરૂઆત થઈ જશે. હવાઈ યાત્રા દરમિયાન યાત્રીઓને કાનમાં દબાણનો અનુભવ થતો હોય છે. તેવી જ રીતે જ્યારે બુલેટ ટ્રેન સુરંગમાંથી પાસ થાય તેવો જ અનુભવ યાત્રીઓને થઈ શકે છે . જ્યારે બુલેટ ટ્રેન સુરંગમાંથી પસાર થશે ત્યારે હવાના દબાણમાં અંતર હોઈ શકે છે જેના કારણે કાનમાં પીડાનો યાત્રીઓને અનુભવ થાય છે. આ અસુવિધા દૂર કરવા માટે ટ્રેનના કોચ સંપૂર્ણપણે એરટાઈટ રહેશે. જેથી કારણે યાત્રીઓને કોઈ તકલીફનો સામનો નહિ કરવો પડે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરાથી વાપી સુધીના રેલવે ટ્રેક માટે ટેન્ડર બહાર પડાયું
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરાથી વાપી સુધીના રેલવે ટ્રેક માટે ટેન્ડર બહાર પડાયું

અવાજ અને ધ્રુજારી ઘટાડવા માટે શું હશે?

અવાજ કોઈપણ મશીનરીનો એક ભાગ હોય છે. યાત્રીઓ અને હાઇ સ્પીડ રેલ નેટવર્કની આસપાસ રહેનારા લોકોને તકલીફ ઓછી થાય એ માટે એન્જિનિયર દિવસ-રાત કામ કરી રહ્યા છે. અવાજને ઓછો કરવા માટે અનેક વિશિષ્ટતાઓને શામેલ કરવામાં આવશે. દાખલા તરીકે રેલ કોચ ટ્રસ સેક્શનની સાથે ડબલ સ્કિન હૉલો એલ્યુમિનિયમ એક્સટ્યૂઝન, ઍર ટાઈટ ફ્લોર, ટ્રેનના ડબ્બામાં ધ્વનિ અવશોષિત કરનાર ગુણ, ડબ્બા વચ્ચે ફેરિંગસ, પૈન્ટોગ્રાફ માટે નોઈઝ ઇન્સ્યુલેશન પેનલ હશે. તમામ કોચ પર એક્ટિવ સસ્પેન્શન સિસ્ટમ ફીટ કરવામાં આવશે. જે કોચને પડતા આંચકાઓને ઓછા કરશે. આ સસ્પેન્શન સિસ્ટમ એ પારંપરિક સસ્પેન્શન સિસ્ટમ કરતા જુદી હોય છે. જેમાં એક્યુએટર અને કન્ટ્રોલર હોય છે. જે ટ્રેનને બિનજરૂરી હલનચલન કરવાથી રોકશે.

ટ્રેનના ક્રૂ સાથે એક બટન દબાવીને વાત કરી શકાશે

પ્રવાસીઓ સાથે નિયમિત વાતચીત માટે તમામ કોચ અદ્યતન પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમથી સજ્જ હશે. ડિસ્પ્લેમાં ટ્રેનનું નામ અને નંબર, વર્તમાન સ્ટેશન, નેક્સ્ટ સ્ટોપ સ્ટેશન અને ડેસ્ટિનેશનને લગતી તમામ વિગતો, ઈમરજન્સી માહિતી, લેખિત સમાચાર, બારણું ખોલવાની બાજુ અને ઝડપ વગેરે જેવી માહિતી દર્શાવવામાં આવશે. કોચમાં LCD ડિસ્પ્લે ઉપરાંત, વોઇસ કમ્યુનિકેશન (પબ્લિક એડ્રેસ) સિસ્ટમ, ઓટોમેટિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ઇમરજન્સી કોલ સાધનો, વાયર્ડ/વાયરલેસ ઇન્ટરફોન (ક્રૂ માટે) રાખવામાં આવશે. તમામ પેસેન્જર કેબિન અને તમામ ટોઇલેટમાં ઇમરજન્સી ઇન્ટરકોમ સિસ્ટમ પૂરી પાડવામાં આવશે. પ્રવાસીઓ કોઈપણ કટોકટીની સ્થિતિમાં ટ્રેનના ક્રૂ સાથે એક બટન દબાવીને વાત કરી શકશે.

આધુનિક પેસેન્જર એરક્રાફ્ટ જેવી મળશે સુવિધાઓ

આ ટ્રેનોમાં ફર્સ્ટ ક્લાસ, બિઝનેસ ક્લાસ અને સ્ટાન્ડર્ડ ક્લાસ એમ ત્રણ અલગ અલગ ક્લાસ હશે. તમામ ક્લાસમાં બેઠકો સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવી છે અને પ્રવાસીઓના આરામ માટે પૂરતી લેગ સ્પેસ પણ રાખવામાં આવી છે. વધુમાં, ટ્રેનોમાં LED લાઇટિંગ, ઓવરહેડ બેગેજ રેક જેવી સુવિધાઓ રાખવામાં આવી છે. ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં સીટ ટિલ્ટ, વાંચન માટે લેમ્પ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. ટૂંકમાં બુલેટ ટ્રેનમાં એ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જે એક આધુનિક પેસેન્જર એરક્રાફ્ટમાં આપવામાં આવે છે.

ખાસ બેઠક વ્યવસ્થા

બુલેટ ટ્રેનમાં દિવ્યાંગ પ્રવાસીઓની જરૂરિયાત પ્રમાણે તમામ સુવિધાઓ રાખવામાં આવી છે. વર્લ્ડ ક્લાસ બેઠક વ્યવસ્થા ઉપરાંત, બીમાર વ્યક્તિઓ અથવા સ્તનપાન કરાવતી માતા-બાળક અને અન્ય ઘણા હેતુઓ માટે ફોલ્ડિંગ બેડ, લગેજ રેક, મિરર વગેરે સાથેનો ખાસ રૂમ રાખવામાં આવશે. દિવ્યાંગ પ્રવાસીઓને ઓછી તકલીફ પડે તે માટે સ્પેશિયલ રૂમની પણ સુવિધા આપવામાં આવશે.

ટૂંક સમયમાં કંપનીને કામ સોંપવામાં આવશે

NHSRCLના સુષ્મા ગોરના જણાવ્યા પ્રમાણે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ગુજરાતમાં તેજીથી ચાલી રહ્યું છે. ખાસ કરીને વાપી, વલસાડ, સુરત, વડોદરા વચ્ચે એલિવેટેડ રૂટનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને હવે ટ્રેક સંબંધી કામો માટે ટેક્નિકલ બીડ જાહેર કરાઈ છે. ટેક્નિકલ બીડના મૂલ્યાંકનના આધારે ટૂંક સમયમાં કંપનીને કામ સોંપવામાં આવશે.

સંપૂર્ણપણે ઈકો ફ્રેન્ડલી હશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

કેન્દ્ર સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) ને ઇકો ફ્રેન્ડલી (Eco Friendly) બનાવવા જઇ રહી છે. જેના માટે ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી છે. સુરતના અંત્રોલી વિસ્તારમાં બની રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન બિલ્ડીંગ અને ડેપો સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી રહે તે માટેની તમામ તકેદારી રાખવામાં આવી છે. બિલ્ડિંગની રચના એવી રીતે કરવામાં આવશે કે, તેમાં 80 ટકા વિજળી પ્રાકૃતિક સ્ત્રોત (Natural Resources) થી મળી રહેશે. જ્યારે 20 ટકા વિજળી અન્ય માધ્યમોથી મળશે.

સંપૂર્ણપણે ઈકો ફ્રેન્ડલી હશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
સંપૂર્ણપણે ઈકો ફ્રેન્ડલી હશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ


વાપીમાં અમદાવાદ બાદ બીજા નંબરના સૌથી મોટા રેલવે સ્ટેશનનું કામ શરૂ

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (National High Speed Rail Corporation Ltd) ની મુંબઈ અને અમદાવાદ (Mumbai-Ahmedabad High Speed Rail) વચ્ચે ભારતની પ્રથમ હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત વાપી નજીક 13.05 મીટરનો પ્રથમ પિલ્લર તૈયાર કરી લેવામાં આવ્યો છે. વાપીમાં ડુંગરા વિસ્તારમાં બનનાર બુલેટ ટ્રેનના સ્ટેશન માટે આવા 13 થી વધુ પિલ્લર તૈયાર કરવામાં આવશે. જેના પર 1200 મીટર લાબું સ્ટેશન બનાવવામાં આવશે. આ સ્ટેશન અમાદાવાદ બાદ બીજા નંબરનું સૌથી મોટું સ્ટેશન હશે.

એક વૃક્ષના નિકંદન સામે 7 વૃક્ષની વાવણી

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત થયા બાદ ઘણા પર્યાવરણવિદો દ્વારા અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જેમાં સૌથી મોટો પ્રશ્ન આ પ્રોજેક્ટના રૂટ પર વૃક્ષોના નિકંદન અંગેનો હતો. બુલેટ ટ્રેન રૂટ પર આવનારા હજારો વૃક્ષોના નિકંદન કરવામાં આવશે, પરંતુ આ સમસ્યાના ઉકેલ માટે અને પર્યાવરણના સંરક્ષણ માટે NHSRL દ્વારા પર્યાવરણ બચાવવા માટે એક વૃક્ષના નિકંદનની સામે સાત વૃક્ષ ઉગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અંતર્ગત કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં અમદાવાદથી વાપી વચ્ચે 7,000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.