ETV Bharat / city

વોટર+ સર્ટિફિકેટ માટે સુરત કઇ કઇ પ્રક્રિયાઓમાંથી પાસ થયું હતું?

author img

By

Published : Aug 12, 2021, 6:15 PM IST

ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ 2020ની ચકાસણીમાં સુરત ઉત્તીર્ણ થતાં સુરતીઓ માટે ગૌરવની વાત છે. સુરતને વોટર+ સર્ટિફિકેટ આપતાં પહેલાં કેન્દ્રની ટીમ દ્વારા શૌચાલયો, રસ્તા, ખુલ્લી જગ્યા અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત 92 જગ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વોટર+ સર્ટિફિકેટ માટે સુરત કઇ કઇ પ્રક્રિયાઓમાંથી પાસ થયું હતું?
વોટર+ સર્ટિફિકેટ માટે સુરત કઇ કઇ પ્રક્રિયાઓમાંથી પાસ થયું હતું?

  • સુરતમાં 11 સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 3 ટ્રેસરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત
  • ગુજરાતના એકમાત્ર સુરતને વોટર+ સર્ટિફિકેટ મળ્યું છે
  • તમામ લોકોના ઘરમાં સ્વચ્છ અને ગુણવત્તાવાળું પાણી મળે છે


    સુરતઃ ભારત સરકાર દ્વારા સુરતને વોટર+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ 2020 હેઠળ આ પ્રમાણપત્ર મેળવવું સુરતીઓ માટે ગર્વની વાત છે.સુરતમાં કેન્દ્રની ટીમ દ્વારા શૌચાલયો, રસ્તા, ખુલ્લી જગ્યા અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત 92 જગ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીમાં પણ મહાનગરપાલિકાની કામગીરીને બિરદાવવા આવી છે. સુરતમાં 11 સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 3 ટ્રેસરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. ડ્રેનેજ પાણીને ટ્રીટ કરી પાલિકાને વર્ષે રૂ.140 કરોડની આવક છે. ગુજરાતમાંં એકમાત્ર સુરતને વોટર+ સર્ટિફિકેટ મળ્યું છે.

વોટર+ પ્રોટોકોલનો હેતુ શું છે?
કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2021 અંતર્ગત વોટર પ્લસ પ્રોટોકોલ સર્ટિફિકેશનના 700 માર્ક્સ રાખવામાં આવ્યાં હતાં. ગંદા પાણીને ટ્રીટ કરી યોગ્ય નિકાલ સુનિયોજિત ઉપયોગ સહિતના મુદ્દે ચકાસણી બાદ સુરતને 700 માંથી પૂર્ણ 700 માર્ક્સ આપવામાં આવ્યાં છે. ભારતના ફક્ત ચાર શહેરોને વોટર + સર્ટિફિકેશન મળ્યું છે જેમાં ચંડીગઢ, નવી દિલ્હી, ઈન્દોર અને સુરતનો સમાવેશ થાય છે. આ સાથે સુરત વોટર + સર્ટિફિકેશન ધરાવતું ગુજરાતનું પ્રથમ શહેર બની ગયું છે જેને પગલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટર પર સુરત મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યાં છે. ગંદા પાણી એટલે કે વેસ્ટ વોટરનો વૈજ્ઞાનિક ઢબે પ્રક્રિયા બાદ જ નિકાલ થાય અને એ રીતે પર્યાવરણ તથા જળ સૃષ્ટિને નુકસાન ન પહોંચે એ માટે દિશાનિર્દેશ આપવાનો વોટર + પ્રોટોકોલનો હેતુ છે.

સુરત મનપાનું ડોક્યુમેન્ટેશન અને વિવિધ 92 સ્થળે સ્થળ નિરીક્ષણ

સુરત વર્ષ 2019થી ODF++ સર્ટિફિકેશન ધરાવે છે Open Defecation Free એટલે કે ODF, ODF + , ODF ++ સર્ટિફિકેશનથી એક ડગલું આગળ વધીને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એન્ડ રીયુઝ તથા સલ્જ મેનેજમેન્ટના અધિનિયમનું પાલન કરવાનો કેન્દ્રીય મંત્રાલયનો હેતુ છે. આ માટે મંત્રાલય દ્વારા કેટલાક માપદંડો જાહેર કરાયા હતાં અને એ પરિપૂર્ણ થાય છે કે કેમ તે ચકાસવા સરકાર દ્વારા એક એજન્સી ફિલ્ડ ઇન્સ્પેકશન માટે નિયુક્ત કરવામાં આવી હતી. આ એજન્સી દ્વારા સુરત મનપાનું ડોક્યુમેન્ટેશન અને વિવિધ 92 સ્થળે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં 12 ખુલ્લા વિસ્તારો, 40 શૌચાલય, 12 ખુલ્લા રસ્તાઓ, 12 સ્ટેન્ડઅલોન યુરિનલ્સ અને 16 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સમાવેશ થાય છે ત્યારબાદ એજન્સીએ કેન્દ્રીય મંત્રાલય રિપોર્ટ રજૂ કર્યો હતો. કોરોના મહામારી દરમિયાન પણ સુરત મનપા દ્વારા કેન્દ્રની વોટર + માર્ગદર્શિકા મુજબ તમામ માપદંડ આધારિત ઉચ્ચતમ કામગીરી કરવામાં આવી હતી અને તમામ જરૂરી દસ્તાવેજો સુપ્રત કરવામાં આવ્યા હતાં. જેના નિરીક્ષણ બાદ કેન્દ્રીય મંત્રાલયે નિમેંલ એજન્સીએ પોતાનો રિપોર્ટ આપ્યો હતો. મંત્રાલય દ્વારા ભારતના જે શહેરોને વોટર + પ્રોટોકોલ સર્ટિફિકેશન અપાયું છે જેમાં સુરતનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

તાપી નદીનું શુદ્ધ પાણી પીવા માટે મળે આ માટેની વ્યવસ્થા

સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આ અંગે માહિતી આપી હતી. તમને જાણીને નવાઇ લાગશે પણ સુરત વિશ્વનું એકમાત્ર એવું શહેર છે કે જે ડ્રેનેજ વોટરને ટ્રીટમેન્ટ કરી 140 કરોડ રૂપિયા જેટલી કમાણી કરે છે.. ખરાબ પાણીની ટ્રીટમેન્ટ કરી ઉદ્યોગોને આપવામાં આવે છે. શહેરના લોકોને તાપી નદીનું શુદ્ધ પાણી પીવા માટે મળે આ માટેની વ્યવસ્થા છે. તમામ લોકોના ઘરમાં સ્વચ્છ અને ગુણવત્તાવાળું પાણી મળે છે.

આ પણ વાંચોઃ સુરતના 11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ( Suez Treatment Plant ) પાણીના નમૂના લેવાયા

આ પણ વાંચોઃ શું આમાં તમારું શહેર છે? વધુ 9 નગરપાલિકાઓમાં બનશે આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.