ETV Bharat / city

બારડોલી સત્યાગ્રહ સમયે ગાંધીજીએ સરભોણને બનાવી હતી છાવણી

author img

By

Published : Jan 30, 2021, 9:53 AM IST

Updated : Jan 30, 2021, 11:15 AM IST

ગાંધી નિર્વાણ દિન વિશેષ
ગાંધી નિર્વાણ દિન વિશેષ

આઝાદીના ઇતિહાસમાં બારડોલીના સરભોણ ગામનું મહત્વનું યોગદાન રહ્યું છે. 1928માં બારડોલી સત્યાગ્રહ સમયે ગાંધીજી દ્વારા વિસ્તારના લોકોને સંગઠીત કરવા માટે બારડોલીની આજુબાજુના ગામડાઓમાં છાવણી સ્થાપવામાં આવી હતી. જે પૈકી સરભોણ આશ્રમમાં પણ એક છાવણી સ્થાપિત થઈ હતી.

  • બારડોલી સત્યાગ્રહ પહેલા લોકોમાં જાગૃતિ લાવવા સ્થપાયા હતા આશ્રમો
  • સરભોણ બારડોલીનો વિકલ્પ બન્યું હતું
  • રચનાત્મક કામોનું કેન્દ્ર બન્યું હતું સરભોણ

    સુરત : સત્યાગ્રહને સફળતા મળે એ માટે ગાંધીજીએ લાંબા સમય પહેલાથી તૈયારીઓ શરૂ કરી હતી. વર્ષ 1922માં ચોરીચૌરા હત્યાકાંડ બાદ અસહકાર આંદોલન પડતું મુકાતા બારડોલી સત્યાગ્રહને પણ હાલ પૂરતો મોકૂફ રાખવાનું નક્કી થયું હતું, પરંતુ લોકોને સત્યાગ્રહ માટે તૈયાર કરવા મહાત્મા ગાંધીએ લાંબા ગાળાનું આયોજન કર્યું હતું. તેમણે બારડોલી સ્વરાજ આશ્રમના નેજા હેઠળ તાલુકા અલગ અલગ ગામોના આશ્રમ ખાતે છાવણીઓ સ્થાપવામાં આવી હતી. જેમાંની એક છાવણી સરભોણમાં સ્થાપવામાં આવી હતી. સરભોણએ બારડોલીના વિકલ્પ તરીકે ઉપસી આવ્યું હતું. જો કે અહીં સ્થાપવામાં આવેલો આશ્રમ હાલ દયનીય હાલતમાં છે.

આશ્રમમાં વિવિધ પવૃત્તિઓ કરવામાં આવતી હતી

બારડોલી સત્યાગ્રહ સમયે ગાંધીજીએ સરભોણને બનાવી હતી છાવણી

બારડોલી તાલુકામાં બારડોલી બાદ બીજું મહત્વનું સ્થાન સરભોણ ગામનું હતું. બારડોલી સત્યાગ્રહના જાણકાર પ્રજ્ઞાબેન ક્લાર્થીએ જણાવ્યું હતું કે, 1922માં અસહકાર આંદોલન બંધ રહેતા ગાંધીજીએ આઝાદીના લડવૈયાઓને ગામડે જવા આહવાન કર્યું હતું. ગાંધીજીના આ આહવાનના પગલે તે સમયના બારડોલી વિસ્તારના જુગતરામ દવે, ઉત્તમચંદ શાહ, છોટુભાઈ દેસાઈ, ડૉ. ત્રિભુવનદાસ શાહ, ડૉ. મંગલદાસ, નરહરિ પરીખ સહિતના આગેવાનોએ સરભોણમાં ધામા નાખ્યા હતા. જ્યાં આશ્રમ ખાતે આ નેતાઓ દ્વારા પ્રૌઢ શિક્ષણ, રાત્રી શિક્ષણ, વણાટ શાળા, વ્યસનમુક્તિ અને આંગણવાડી જેવા રચનાત્મક કામો શરૂ કર્યા હતા. આ કામો થકી ગામડાના ખેડૂતો ઉપરાંત રાનીપરજ (આદિવાસી)ઓ માટે શિક્ષાની જ્યોત જગાવી હતી.

સત્યાગ્રહીઓના પરિવારને સરભોણમાં આશરો અપાતો

બારડોલી સત્યાગ્રહ પહેલા લોકોમાં જાગૃતિ લાવવા સ્થપાયા હતા આશ્રમો
બારડોલી સત્યાગ્રહ પહેલા લોકોમાં જાગૃતિ લાવવા સ્થપાયા હતા આશ્રમો

સરભોણ એ રચનાત્મક કાર્ય માટે બારડોલીના વિકલ્પ તરીકે વિકસ્યું હતું. બારડોલી સત્યાગ્રહ વખતે આશ્રમમાં રહેતા સત્યાગ્રહીઓ સામે અંગ્રેજ સરકાર કાર્યવાહી કરે તો તેમના પરિવારને સરભોણ આશ્રમમાં આશરો આપવામાં આવતો હતો. એટલું જ નહીં તે સમયે બારડોલીના સ્વરાજ આશ્રમને પણ અનેક વખત સીલ કરવામાં આવતો હતો ત્યારે ત્યાં રહેતા પરિવારો પણ સરભોણમાં રહેતા હતા.

જનજાગૃતિ માટે પત્રિકા પ્રસિદ્ધ થતી હતી

સરભોણ એ રચનાત્મક કાર્ય માટે બારડોલીના વિકલ્પ તરીકે વિકસ્યું
સરભોણ એ રચનાત્મક કાર્ય માટે બારડોલીના વિકલ્પ તરીકે વિકસ્યું

સરભોણમાં રહેતા સત્યાગ્રહીઓ દ્વારા આઝાદી માટેની પત્રિકા પણ અહીંથી પ્રસિદ્ધ કરી લોકોને જાગૃત કરવાની મહત્વની કામગીરી કરવામાં આવતી હતી. જેના કારણે લોકોને આંદોલનમાં જોડવામાં મોટી કામયાબી મળી હતી.

સરભોણ રચનાત્મક કામોનું કેન્દ્ર બન્યું હતું

રચનાત્મક કામોનું કેન્દ્ર બન્યું હતું સરભોણ
રચનાત્મક કામોનું કેન્દ્ર બન્યું હતું સરભોણ

આ આશ્રમમાં ડૉ. ત્રિભુવનદાસ અને ડૉ. મંગળદાસ દવાખાનું પણ ચલાવતા હતા. તેઓ આદિવાસી પ્રજાના આરોગ્યની ચિંતા કરતા હતા. બારડોલી બાદ સરભોણ રચનાત્મક કામોનું કેન્દ્ર બન્યું હતું.

જાળવણીના અભાવે જર્જરિત છે આશ્રમ

આશ્રમની મુલાકાત ગાંધીજી અને સરદાર પટેલે પણ લીધી હતી. જો કે 1921માં સ્થપાયેલ સરભોણ આશ્રમની જાળવણીના અભાવે તે હાલ જર્જરિત હાલતમાં છે. હાલ આ આશ્રમની પાછળની બાજુ હળપતિ સેવા સંઘ સંચાલિત ઉત્તર બુનિયાદી શાળા ચાલે છે. જેમાં સુરત, તાપી નર્મદા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી બાળકો શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છે.

અહીં સહકારી મંડળીની ઓફીસ કાર્યરત છે

બારડોલીને હેરિટેજ સર્કિટમાં સામેલ કરવામાં આવ્યું છે. જેને કારણે સ્વરાજ આશ્રમનો તો વિકાસ થઇ રહ્યો છે. પરંતુ બારડોલી સત્યાગ્રહને સફળ બનાવવા માટે અલગ અલગ ગામોમાં બનાવવામાં આવેલા આશ્રમો આજે જર્જરિત થઈ ગયા છે. જાળવણીના અભાવે સરભોણનો આશ્રમની હાલત પણ જર્જરિત છે. આ આશ્રમમાં હાલ સરભોણ વિભાગ વિવિધ કાર્યકારી આપબલ સહકારી મંડળીની ઓફીસ કાર્યરત છે.

લોકોને સંગઠીત કરવા સ્થાપયો હતો આશ્રમ

સ્વરાજ આશ્રમના પ્રમુખ ભીખાભાઈ ઝવેરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીજીએ વિસ્તારમાં ખેડૂતોની સમસ્યાઓની સાથે હળપતિ સમાજ અને અન્ય આદિવાસી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે અલગ અલગ વિસ્તારોમાં આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું હતું. તે સમયે સ્વરાજ આશ્રમના નેજા હેઠળ સરભોણ સહિત અલગ અલગ વિસ્તારોમાં આશ્રમો સ્થાપવામાં આવ્યા હતા. બારડોલી સત્યાગ્રહ વખતે લોકોને સંગઠીત રાખવા માટે આ આશ્રમ શાળાનો મહત્વનો ફાળો રહ્યો હતો.

Last Updated :Jan 30, 2021, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.