ETV Bharat / city

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે "ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર"નું ઈ-ઉદ્ઘાટન કરાયું

author img

By

Published : Oct 15, 2020, 1:25 PM IST

દક્ષિણ ગુજરાતમાં સ્ટાર્ટઅપ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગાંધીનગરથી સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નવસ્થાપિત "ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર"નું ડીજીટલ ઉદ્ઘાટન કર્યું હતું.

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે "ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર"નું ઈ-ઉદ્ઘાટન કરાયું
વીર નર્મદ યુનિવર્સિટી ખાતે "ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર"નું ઈ-ઉદ્ઘાટન કરાયું

સુરત: આ પ્રસંગે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે "આજે આપણે દરેક ક્ષેત્રે આધુનિકતા અને ટેકનોલોજી થકી વૈશ્વિક નાગરિક બની શક્યા છીએ. આપણી ફરજ બને છે કે આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરીને સમાજ તથા દેશની સુવિધામાં વધારો કરીએ. સમસ્યાનું સુવિધા સાથે સમાધાન કરવું એટલે સ્ટાર્ટઅપ."

"72 વર્ષની આઝાદીમાં આપણને પ્રથમવાર તક મળી છે. સુરતના બે મુખ્ય વ્યવસાયો એવા એક હીરાના વ્યવસાયમાં પણ આધુનિકતા આવી. ગુજરાતના લોકો બિઝનેસ માઈન્ડેડ છે. તેમના ઇનોવેટિવ કામથી દેશમાં તેમનો દબદબો છે. જો અશિક્ષિત ખેડૂત નાનું ટ્રેકટર બનાવી શકતો હોય તો ટેકનિકલ ગ્રેજ્યુએટ એ કામ કરે તો શું ય થઇ શકે, તેનું જ નામ ઇનોવેશન છે. બીજો ટેક્સટાઈલ વ્યવસાય છે. જેમાં પણ આધુનિકતા આવી છે. પ્રજાને સગવડતા મળી રહે તે ઇનોવેશન છે."

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે
વીર નર્મદ યુનિવર્સિટી ખાતે "ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર"નું ઈ-ઉદ્ઘાટન કરાયું

વડાપ્રધાનની આત્મનિર્ભરતાની ઝુંબેશ સંદર્ભે શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશીપણા અને ઇનોવેટીવ વિચારો થકી પતંગોત્સવ જેવી સફળ પ્રવૃત્તિઓ થઇ શકી છે. જેના કારણે પતંગ વેપારીઓનું 30 કરોડનું ટર્નઓવર પાંચ વર્ષમાં 300 કરોડ સુધી પહોંચ્યુ છે. આમ, પતંગ વિક્રેતાઓને ચાર મહિનાની રોજગારીમાંથી 12 મહિનાની રોજગારી મળી શકી."

એ જ રીતે, રણોત્સવ કે જ્યાં 10 વર્ષ પહેલા કચ્છની હોટેલોમાં 10 થી 20 ટકા જેટલી જ ઓક્યુપન્સી રહેતી ત્યાં હવે બારેય માસ 100 ટકા ઓક્યુપન્સી રહે છે. આ ઇનોવેટીવ વિચારોનું પરિણામ છે. ગુજરાતમાં વિશાળ શક્યતાઓ છે. દરેક વ્યક્તિ ક્ષમતા ધરાવે છે. જેને ખીલવવાની જરૂરિયાત ઇનોવેશન પુરી પાડશે. ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ તક મળશે."

ડાયમંડ અને ટેક્સટાઈલ ક્ષેત્રોમાં સ્ટાર્ટ અપ માટે વિપુલ તકો રહેલી છે. યુનિવર્સિટી પાસે સંસાધનો છે અને સરકારની મદદ પણ મળી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓના નવા વિચારોને પ્રોત્સાહિત કરવા જોઈએ તેવું તેમણે ઉમેર્યું હતું.

ઇનોવેશન સેન્ટર વિદ્યાર્થીઓમાં રહેલા નવીન વિચારો અને સ્ટાર્ટઅપ આઈડિયા "ઇનોવેશન ટુ ઇન્કોર્પોરેટ" એટલે કે નવીનીકરણથી સ્ટાર્ટઅપ દ્વારા એક કંપની પ્રસ્થાપિત કરવાની યાત્રા સુધી મદદગાર બનવાનો પ્રયાસ કરશે. આગામી દિવસોમાં સેન્ટર દ્વારા ઇનોવેશન, સ્ટાર્ટઅપ, ફેસ્ટિવલ, કોન્ફરન્સ વગેરેનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સેન્ટર પેટન્ટ ફીલિંગ સેન્ટર તરીકે પણ કાર્ય કરશે. સ્થાનિક ઉદ્યોગ વસાહત સાથે જોડાણ કરીને સહાયક કામગીરી પ્રસ્તુત સેલ દ્વારા કરવામાં આવશે. આ સાથે સંશોધનનો સંગ્રહ અને પ્રકાશનનું કામ પણ કરવામાં આવશે.

રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે ગુજરાત વિદ્યાર્થીઓને સૌથી વધારે સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રેરિત કરવામાં પ્રથમ રહ્યું છે. વિદ્યાર્થીઓના વિચારને પ્રોડક્શન સુધી લઇ જવામાં સરકાર દ્વારા મદદ મળી રહે છે એમ જણાવી આ ક્ષેત્રમાં વધુને વધુ સારું કામ કરી શકીએ તેવી શુભેચ્છા પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.