ETV Bharat / city

કોરોના કહેરઃ 30થી 40 જેટલા મૃતદેહની રોજ થાય છે અંતિમ વિધી, 3 મહિનાથી એકતા ટ્રસ્ટ ખડેપગે

author img

By

Published : Jul 3, 2020, 2:11 PM IST

કોરોના કહેરઃ 30થી 40 જેટલા મૃતદેહની રોજ થાય છે અંતિમ વિધી
કોરોના કહેરઃ 30થી 40 જેટલા મૃતદેહની રોજ થાય છે અંતિમ વિધી

કોરોનાના પ્રથમ કેસથી સુરતમાં કોરોના દર્દીઓના મૃત્યુ બાદ અંતિમ ક્રિયા સુરતના એકતા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. જેને આશરે સાડા ત્રણ મહિના થઈ ગયા છે. પરંતુ સતત વધી રહેલા કેસ વચ્ચે હાલ કોરોનાના શંકાસ્પદ અને પોઝિટિવ 30થી 40 જેટલા મૃતદેહના રોજે-રોજ અંતિમ સંસ્કાર આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેઓએ ETV Bharatના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે, તેઓ આ ટ્રસ્ટમાં સામેલ થઈ ભગીરથ કાર્ય કરે.

સુરત : કોરોનાના પ્રથમ કેસથી સુરતમાં કોરોના દર્દીઓના મૃત્યુ બાદ અંતિમ ક્રિયા સુરતના એકતા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. જેને આશરે સાડા ત્રણ મહિના થઈ ગયા છે. પરંતુ સતત વધી રહેલા કેસ વચ્ચે હાલ કોરોનાના શંકાસ્પદ અને પોઝિટિવ 30થી 40 જેટલા મૃતદેહના રોજે-રોજ અંતિમ સંસ્કાર અથવા અંતિમવિધિ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. આ ટ્રસ્ટના સંચાલકે ETV Bharatને જણાવ્યું છે કે, અંતિમ ક્રિયા કરતા કરતા તેઓ થાકી ગયા છે. સાડા ત્રણ મહિનાથી તેઓ સ્મશાનમાં જ સુવા માટે મજબૂર થઇ ગયા છે. તેઓએ ETV Bharatના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે, લોકો આ ટ્રસ્ટમાં સામેલ થઈ ભગીરથ કાર્ય કરે.

કોરોના કહેરઃ 30થી 40 જેટલા મૃતદેહની રોજ થાય છે અંતિમ વિધી, 3 મહિનાથી એકતા ટ્રસ્ટ ખડેપગે
એકતા ટ્રસ્ટના સંચાલક અબ્દુલ ભાઈએ જણાવ્યું કે, છેલ્લા સાડાત્રણ મહિનાથી તેઓ કોરોના પોઝિટિવ અથવા શંકાસ્પદ દર્દીઓની અંતિમ વિધિ તેમના ધર્મ અનુસાર કરી રહ્યા છે. હાલત એટલી કફોડી બની છે કે, તેઓ સંપૂર્ણ રીતે થાકી ગયા છે. પીપીઈ કીટ પહેરી સતત 24 કલાકમાં 30થી 40 જેટલા મૃતદેહને અંતિમ વિધિ કરવામાં આવે છે. સુરતમાં માત્ર એકતા ટ્રસ્ટ છે જે કોરોનાકાળમાં પોઝિટિવ અથવા તો શંકાસ્પદ કોરોના દર્દીઓની અંતિમ વિધિ કરે છે. તેમની હાલત એટલી કફોડી બની ગઈ છે કે, છેલ્લા સાડાત્રણ મહિનાથી તેઓ પોતાના ઘરે ગયા નથી અને સ્મશાનભૂમિમાં જ સુવા પર મજબૂર બની ગયા છે.

પોતાની વેદના જણાવતા અબદુલભાઇ ETV Bharatના માધ્યમથી શહેરીજનોને ઘરે રહેવા અપીલ કરી છે અને બિનજરૂરી ઘરથી ન નીકળવા જણાવ્યું છે. તેઓએ સાથે એ પણ અપીલ પણ કરી છે કે, કોરોના પોઝિટિવ અથવા શંકાસ્પદ દર્દીઓની અંતિમ વિધિ કરવાના આ ભગીરથ કાર્યમાં જે લોકો જોડાવા માંગે છે તેઓ સામે આવી સેવા કરે.

કોરોના પોઝિટિવ દર્દીઓના મોત બાદ તેના અંતિમક્રિયામાં તેના કોઈ પરિવારના સભ્ય હાજર રહેતા નથી કારણ કે, આ તમામ ક્વોરન્ટાઈન હેઠળ છે. આ એવો સમય છે, જ્યારે સગા-સંબંધી અને પડોશીઓ પણ સાથ છોડી દેતા હોય છે, ત્યારે અબ્દુલ રહેમાન મલબરી અને તેમનું એક્તા ટ્રસ્ટ તેમના અંતિમ સંસ્કાર વિધિ અનુસાર કરે છે. એકતા ટ્રસ્ટ છેલ્લા 35 વર્ષોથી લાવારીસ મૃતદેહોની અંતિમ ક્રિયા કરે છે. તેઓ તેમની એમ્બ્યુલન્સમાં આ દરેક દર્દીને જાતે લઈ જઈને અંતિમક્રિયા કરાવે છે. અત્યાર સુધી અબ્દુલભાઈ ઓળખ વગરની લગભગ 50,000થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરી ચુક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.