ETV Bharat / city

survey of saurastra university: માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા સામજિક સાથ અને સહકાર જરૂરી

author img

By

Published : Aug 10, 2021, 8:04 PM IST

કોરોનાના કપરા સમયમાં લોકોને ઘણી મૂશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, ત્યારે લોકોએ કોરોનામાં રોજગારી ગુમાવી, પરિવારના સભ્યને ગુમાવ્યા જેવી ઘટનાઓ ઘટી હતી. આ બધી ઘટનાની અસર માણસના સ્વાસ્થ્ય પર પડે છે. જેમાં મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થી ભટ્ટ કર્તવી અને પુરોહિત અમીએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 999 લોકોનો સર્વે કરી તારણો આપ્યા કે, વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર સમાજના ઘટકો, સામાજિક સંબંધો વધુ અસર કરે છે.

માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા સામજિક સાથ અને સહકાર જરૂરી
માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા સામજિક સાથ અને સહકાર જરૂરી

  • વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર સમાજના ઘટકો, સામાજિક સંબંધોની ખુબ મોટી અસર પડે છે
  • હાલના સમયમાં દેખાદેખી વધારે પ્રમાણમાં જોવા મળે છે
  • સામાજિકની સાથે શારીરિક કારણો પણ મનોવિકૃતિ માટે જવાબદાર હોઈ શકે છે

રાજકોટઃ છેલ્લા ઘણા સમયથી દરેક લોકોના માનસિક સ્વાસ્થ્ય પર કોઈકને કોઈક નિષેધક અસરો જોવા મળી રહી છે. સતત કોરોના કાળને લીધે શારીરિક અને માનસિક ખરાબી સર્જાઈ છે, ત્યારે કયા ઘટકોની અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે, તે જોવા મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી અને પુરોહિત અમીએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 999 લોકોનો સર્વે કરી તારણો આપ્યા કે, વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર સમાજના ઘટકો, સામાજિક સંબંધોની ખુબ મોટી અસર પડે છે.

આ પણ વાંચો- સર્વેમાં ચોંકાવનારો ખુલાસો : શું માનસિક રોગ માત્ર સ્ત્રીઓને જ થાય છે ?

માનસિક સ્વસ્થ રહેવા માટે સામાજિક સાથ અને માનસિક સુખાકારી ખુબ અગત્યની

માનસિક સ્વસ્થ રહેવા માટે સામાજિક સાથ અને માનસિક સુખાકારી ખુબ અગત્યની છે. ટકાવારીના સંદર્ભે જોઈએ તો માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે 39 ટકા લોકો સામાજિક, 35 ટકા લોકો માનસિક, 17 ટકા લોકો શારીરિક અને 9 ટકા લોકો આર્થિક કારણો કે ઘટકો અગત્યના માને છે.

સર્વેમાં કેટલાક લોકોને પૂછવામાં આવેલા પ્રશ્નો આ મુજબ છે

સૌથી વધારે કઈ બાબતથી ચિંતા થાય છે?

આ સવાલમાં 41 ટકા લોકોએ જણાવ્યું કે, તેમની સૌથી મોટી ચિંતા એ છે કે, લોકો શું કહેશે. આ બાબતથી એટલે કે સામાજિક કારણના લીધે ચિંતા થાય છે, જયારે અન્ય કારણોમાં આર્થિક સંકડામણ, શારીરિક અસ્વસ્થતા અને સતત આવતા વિચારોનો સમાવેશ થાય છે.

ક્યારેક રાત્રે સુતા પહેલા વિચારે ચડી જાઓ ત્યારે શેના વિચારો વધુ આવે છે ?

આ સવાલમાં 52 ટકા લોકોએ કહ્યું કે, ઘરના અને સમાજના વિચારો વધુ આવે છે અને અન્ય કારણોમાં શારીરિક પીડાના, આર્થિક કારણોના અને અકારણ વિચારોનો સમાવેશ થાય છે.

તમારા માટે સૌથી વધારે કઈ બાબતો માનસિક તંગદિલી ઉભી કરે છે ?

આ સવાલમાં 40 ટકા લોકોએ કહ્યું કે, લોકોએ કુટુંબના વિચારો અને બાકીના 60 ટકામાં સતત ચિંતા અને શારીરિક કારણો તંગદીલી ઉભી કરે છે.

તમારા મતે કઈ બાબત સંતોષ કે સુખ માટે સૌથી વધારે જરૂરી છે?

આ સવાલમાં 60 ટકા લોકોએ જણાવ્યું કે, સામાજિક સમાયોજન અને 40 ટકામાં આર્થિક સંપન્નતા, સ્વસ્થ શરીર અને સ્વસ્થ મનનો સમાવેશ થાય છે.

કઈ બાબતના કારણે હારી જવાનો ભય લાગે છે ?

આ સવાલમાં 41 ટકા લોકોએ જણાવ્યું કે, જયારે સામાજિક સપોર્ટ ન હોય ત્યારે અને બાકીના 59 ટકા લોકોએ જણાવ્યું કે આર્થિક તંગદીલીને કારણે, સતત ચિંતા અને સ્વસ્થ ન હોવાના કારણે ભય લાગે છે.

કઈ બાબત તમને સૌથી વધારે વિચારો કરવા મજબુર કરી દે છે ?

આ સવાલમાં 50 ટકા લોકોએ જણાવ્યું કે, ઘર અને પરિવારના વિચારો અને બાકીના 50 ટકા લોકોએ જણાવ્યું કે આર્થિક વૃદ્ધિના ઉપાયો, શરીરના અને અકારણ વિચારો છે.

કઈ બાબતો સૌથી વધારે અશાંત કરી દે છે?

આ સવાલમાં 60 ટકા લોકોએ જણાવ્યું કે, લોકો દ્વારા કહેવામાં આવતી વાતો અને બાકીના 40 ટકામાં નોકરીમાં અટકેલી વૃદ્ધિ, શારીરિક પીડા અને ભયનો સમાવેશ થાય છે.

માનસિક સ્વસ્થ કઈ રીતે રહી શકાય?

આ સવાલમાં 40 ટકા લોકોએ જણાવ્યું કે, મનથી સ્વસ્થ રહીને અને 40 ટકા લોકોએ જણાવ્યું કે, સામાજિક સાથ અને સહકાર દ્વારા જયારે 20 ટકા લોકોએ જણાવ્યું કે, આર્થિક કમાણી સારી કરીને રહી શકાય છે.

સામાજિક ઘટકો

માનવી એક સામાજિક પ્રાણી છે, જેના કારણે વ્યક્તિએ હંમેશા સમાજની વચ્ચે અને સમાજની સાથે રહેવાનું હોય છે. દરેક વ્યક્તિ સમાજની સાથે જોડાયેલી હોય છે. દરેક વ્યક્તિનું જીવન જે તે સમાજની સાથે ગાઢ રીતે સંકળાયેલું હોય છે. આથી સમાજની તેમજ સમાજ દ્વારા મળતા સહકારની દરેક વ્યક્તિને ખાસ જરૂરિયાત હોય છે, ઉપરાંત સમાજ દ્વારા કહેવામાં આવતી આ વાતો ઉપરાંત સામાજિક દરજ્જાની વ્યક્તિના જીવન પર, વ્યક્તિના વર્તન પર તેમજ વ્યક્તિના સ્વાસ્થ્ય પર ખુબજ ઊંડી અસર પડતી હોય છે.

આ પણ વાંચો- Survey Of Saurashtra University: શું તમને પણ થાય છે આવું ? આ ક્રોનીક સ્ટ્રેસ તો નથી ને..!

સામાજિક સહકારની દરેક વ્યક્તિને જરૂરિયાત હોય છે

સામાન્ય રીતે જોવા મળે છે કે, સ્વસ્થ સમાજમાંથી તેમજ સારા સામાજિક દરજ્જાવાળી વ્યક્તિનુ માનસિક સ્વાસ્થ્ય સારું જોવા મળે છે, તેની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે, સમાજની સાથે રહેવાનું હોવાથી સમાજની આપણા પ્રત્યેની પ્રતિક્રિયાઓ તેમજ મનોવલણોની અસર આપણા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. પ્રસ્તુત સર્વેમાં પણ એ જ બાબત જોવા મળી છે કે, સામાજિક સહકારની દરેક વ્યક્તિને જરૂરિયાત હોય છે. જો સારો કે વ્યવસ્થિત સામાજિક સહકાર ન મળે તો તેની નિષેધક અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પડી શકે છે. આ ઉપરાંત એ પણ જોવા મળે છે કે, વ્યક્તિ જે તે સમાજમાં રહે છે, તેમની સાથે યોગ્ય રીતે સમાયોજન સાધી શકે, ત્યારે તેની અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પડી શકે છે.

માનસિક ઘટકો

વર્તમાન સમયમાં માનસિક અશાંતિ ભર્યા વાતાવરણમાં જ લોકો પોતાનું જીવન જીવતા શીખી રહ્યા છે તેવું જોવા મળી રહ્યું છે. લોકોની શારીરિક તંદુરસ્તી સાથે-સાથે માનસિક સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત હોવું જરૂરી છે. સતત દરેક વ્યક્તિ અનેક પ્રકારની હતાશા, તણાવ તેમજ અકારણ ચિંતાનો ભોગ બનતો જોવા મળે છે. તેની અમુક જરૂરિયાતો સંતોષાતી નથી, તે પોતાની વાતો બીજાને કહી શકતા નથી એકંદરે એકલતા અનુભવે છે. જેના પરિણામે માનસિક તંગદિલી ઉભી થતા અનેક વિકૃતિઓનો ભોગ બને છે.

શારીરિક ઘટકો

વ્યક્તિના જીવનમાં માનસિક, આવેગિક તેમજ સામાજિકની સાથે શારીરિક કારણો પણ મનોવિકૃતિ જવાબદાર હોઈ શકે છે. કોઈ વ્યક્તિ કે જે શારીરિક ખોડખાપણ ધરાવતા હોય અથવા તો શારીરિક સક્ષમતા ધરાવતા વ્યક્તિઓ મનોવિકૃતિથી વધુ પીડાતા હોય તેવા તારણો મળે છે. તેઓ સમાજના અન્ય લોકો સાથે હળીમળી શકતા નથી અને આંતર ક્રિયાઓ કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી અનુભવે છે. પરિણામે તેઓ ક્યારેક પોતાનું કૌશલ્ય વિકસાવી શકતા નથી અને કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓને પૂરતી તકોનો અભાવ પણ હોઈ શકે છે. જેના લીધે તે માનસિક અશાંતિનો અનુભવ કરે છે અને તે મનોવિકૃતિઓમાં પરિણમે છે.

આર્થિક ઘટકો

જ્યારે વ્યક્તિ પોતાની અથવા પોતાના પરિવારની આર્થિક જરૂરિયાતોને યોગ્ય રીતે પોષી શકતા નથી, ત્યારે એક માનસિક અસંતોષની લાગણી જન્મે છે, ઉપરાંત એક લઘુતાગ્રંથિ પણ વ્યક્તિમાં જન્મ લે છે. જ્યારે વ્યક્તિ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતી હોય છે, ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ તેની સામે આવતી હોય છે, જેવી કે જરૂરિયાતો પૂરી ન થવી, ઈચ્છાઓને ન સંતોષી શકવી વગેરે. આમ, જ્યારે આર્થિક દરજ્જો નીચો હોય ત્યારે જરૂરિયાતોમાં કાપ મૂકવો પડતો હોય છે, ત્યારે તેની અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પડતી જોવા મળે છે.

બાળકો તેમજ યુવાનોમાં દેખાદેખીનો ભાવ વધારે માત્રામાં મળે છે જોવા

હાલના સમયમાં દેખાદેખી વધારે પ્રમાણમાં જોવા મળે છે. બાળકો તેમજ યુવાનોમાં દેખાદેખીનો ભાવ વધારે માત્રામાં જોવા મળે છે. જેના પરિણામે આર્થિક સમસ્યાઓનો સામનો ઘણી વખત કરવો પડતો હોય, ત્યારે તેઓ લઘુતાગ્રંથિ અનુભવતા હોય છે.

આ પણ વાંચો- Survey OF Saurashtra University : શું તરુણોને ઘરેથી ભાગી જવાનું થાય છે મન ? જાણો... માટે

સામાજિક અંતર અને સામાજિક સાથ ઘટવાથી માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે

આમ માનસિક રીતે સ્વસ્થ રહેવામાં સામાજિક સાથ અને સહકારની ખુબ મોટી ભૂમિકા રહી છે. કોરોના સમયમાં લોકોનું માનસિક સ્વાસ્થ્ય બગડવાનું એક કારણ એ પણ છે કે, સામાજિક અંતર અને સામાજિક સાથ ઘટ્યો અને જેની નિષેધક અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પડેલી જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.