ETV Bharat / city

Survey: કોરોના કાળમાં 47 ટકા લોકોમાં જોવા મળતું અનિવાર્ય મનોદબાણ વર્તન

author img

By

Published : Jul 20, 2021, 4:48 PM IST

Updated : Jul 20, 2021, 5:04 PM IST

Saurashtra
Saurashtra

મનોવિજ્ઞાનમા અનિવાર્ય મનોદબાણ કે અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurashtra university) ના મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગ માટે ફોન આવ્યા તેમાંથી 47 ટકા લોકો અનિવાર્ય મનોદબાણ વિકૃતિનો ભોગ બની ચૂક્યા હોય તેવું લાગ્યું.

એકને એક વિચારો વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક

મનોવિજ્ઞાનમાં અનિવાર્ય મનોદબાણ કે અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ

47 ટકા લોકો અનિવાર્ય મનોદબાણ વિકૃતિનો ભોગ બની ચૂક્યા હોય

રાજકોટઃ કોરોનાની બીમારીએ લોકોને પાંગળા બનાવી દીધા છે. આ મહામારીએ સતત છેલ્લા દોઢ - બે વર્ષથી લોકોને વિચારતા કરી મુક્યા છે. ઘણીવાર એક ને એક વિચારો આવ્યા કરે જે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય જેને મનોવિજ્ઞાનમા અનિવાર્ય મનોદબાણ કે અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurashtra university) ના મનોવિજ્ઞાન ભવન (phycology section) માં કાઉન્સેલિંગ માટે ફોન આવ્યા તેમાંથી 47 ટકા લોકો અનિવાર્ય મનોદબાણ વિકૃતિનો ભોગ બની ચૂક્યા હોય તેવું લાગ્યું.

અનિવાર્ય મનોદબાણ વિકૃતિ એટલે શું?

વ્યક્તિ ઘણીવાર કેટલાક વિચારો કરવા ઇચ્છતી નથી છતાં પોતાની ઈચ્છા વિરુદ્ધ અમુક વિચારો સતત મનમાં ફર્યા રાખે છે. વ્યક્તિ તેને અટકાવી શકતી નથી અને મનમાં ને મનમાં ગૂંચવાયા કરે છે. જેને અનિવાર્ય મનોદબાણ અથવા વિચાર દબાણ વિકૃતિ કહેવામાં આવે છે.

મનોવિજ્ઞાન ભવનમાં આવેલ ફોન દ્વારા અનિવાર્ય મનોદબાણ કે વિચાર દબાણના કિસ્સાઓ

(1) એક સ્ત્રીને પોતાના પતિને કોઈકની સાથે અફેર છે તેવા જ વિચારો આવ્યા કરે છે. તેમનો પતિ કોઈક સાથે ફોન પર વાતો કરે અથવા લેપટોપ પર કામ કરે તો એ સ્ત્રીને સતત એ જ વિચાર આવ્યા કરે કે તે કોઈક છોકરી સાથે વાતો કરે અથવા વિડિઓ કોલમા વાતો કર્યા કરે છે. આ મને ખૂબ જ ભારણરૂપ લાગે છે.

(2) હું હવે ઓફિસે જવા લાગ્યો છું. મને કોરોના થયો હતો. પરંતુ હવે પહેલાની જેમ હું રહી શકતો નથી. મને એવુ જ લાગ્યા કરે છે કે બધા મારી જ વાતો કર્યા કરે છે. મારાં મિત્રો મારી સાથે પહેલાની જેમ રહેતા નથી આ જ વિચારો મને કોરી ખાય છે. શું મને કોરોના થયો હતો માટે આવુ થાય છે કે બીજું કોઈ કારણ હશે?

(3) એક સ્ત્રીને પોતાના સંતાનને કોક હથિયારના ઘા કરી મારી નાખશે એવા જ વિચારો સતત આવ્યા કરે છે અને જયારે જયારે તેને કોઈ કાર્ય માટે ચપુ કે કાતર હાથમા લેવાના થાય ત્યારે તેને અત્યંત દહેશત અનુભવાય છે અને ઘા કરીને કહે છે કે આ વસ્તુ મારાં ઘરમાં ન જ જોય. એ મારાં દીકરાને મારી નાખશે.

(4) હું 3 દીકરાની મા છું. અત્યારે કોરોનાના કારણે બધું જ ઓનલાઇન ચાલી રહ્યું છે. ત્રણેયને ભણાવું છું. પણ મને એવા જ વિચારો આવે છે કે મારી ગેરહાજરીમા મારા દીકરાઓ ક્યાંક પોર્ન સાઈટ તો નહિ જોતા હોય ને? કેમ કે આવા કિસ્સાઓ ખૂબ જ વધી ગ્યા છે. જે મને ખૂબ જ ચિંતા કરાવે છે. હું કોઈ કામ પણ કરી શકતી નથી.

(5) મારાં સસરાને ડાયાબિટીસ છે. તેમને કોરોના થયો હતો. એને કોકે કહ્યું કે કોરોના જેને થયો હોય તેને નવા બધા જ રોગ થવાની સંભાવના છે. તો હવે આખો દીવસ તે એક જ વિચાર કર્યા કરે હવે તો મારું મરવાનું નકી જ છે. હું ટૂંક સમયમાં મરી જઈશ. રાત્રે ઊંઘ પણ કરતા નથી. દવા લીધી તો પણ ફેર પડતો નથી. શું કરવું સમજાતું નહી.


(6) મને સતત એમ જ થયાં કરે છે કે હું બહાર ઓફિસે જાવ છું ને મને કોરોના થઇ જશે તો? મારાં પરિવારનું શું થશે? મારે આવા વિચાર કરવા નથી છતાં ખબર નહિ આવા જ વિચારો કેમ આવ્યા કરે છે?

(7) હજુ મને પહેલા જેવા જ વિચારો આવે છે કે ક્યાંક મારાં ખોરાકમાં કોરોનાના જંતુઓ તો નહિ હોય ને?

અનિવાર્ય વિચાર દબાણ અથવા મનોદબાણ વિકૃતિના લક્ષણો છે

ઉપરોક્ત બધા અનિવાર્ય વિચાર દબાણ અથવા મનોદબાણ વિકૃતિના લક્ષણો છે તેમ કહી શકાય. અનિવાર્ય મનોદબાણ એવા પુનરાવર્તક, ચિંતા ઉશકેરક વિચારો, કલ્પનાઓ કે આવેશો હોય છે જે તર્ક વિસંગત અને અણગમતા હોવા છતાં વ્યક્તિના નિયંત્રણની બહાર હોય છે. તેનું દબાણ જ એટલું ભયંકર અને ભયાનક હોય છે કે વ્યક્તિના રોજિંદા જીવનને વેરવિખેર કરી નાંખે છે. વ્યક્તિ આવા વિચારોનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરે છે છતાં તેનાથી મુક્ત થઇ શકતી નથી. આ એક અનિવાર્ય વર્તન હોય છે. જે અનિવાર્ય વિચારોથી ઉત્પન્ન થતી ચિંતાને ઘટાડવાના પ્રયાસરૂપે ઉદભવે છે.

મનોદબાણ મનોભાર ઘટાડે છે

આ ક્રિયા માનસિક હોય છે. મહત્વની બાબત એ છે કે વ્યક્તિ એમ માને છે કે, આ મનોદબાણ મનોભાર ઘટાડે છે અથવા ભયજનક ઘટનાને અટકાવે છે. આ વિકૃતિનું એક કેન્દ્રીય પાસું એ છે કે તેમાં નિયંત્રણ ગુમાવ્યાંનો આત્મલક્ષી અનુભવ જોડાયેલા હોય છે. વ્યક્તિ આવા મનોદબાણથી મુક્ત થવા માટે કે પોતાની જાતને કાર્ય કરતા અટકાવવા માટે સંઘર્ષ કરે છતાં તેમાં સફળ થતી નથી.

આ પણ વાંચો: Survey OF Saurashtra University : શું તરુણોને ઘરેથી ભાગી જવાનું થાય છે મન ? જાણો...

ચેપી રોગ થવાના વિચારોનું પ્રાધાન્ય વધુ જોવા મળે છે

મનોદબાણયુક્ત વિચારો વિવિધ વિષયો પર હોય છે, પરંતુ પોતાને અથવા બીજાને નુકસાન કરવા અંગેના અને ચેપી રોગ થવાના વિચારોનું પ્રાધાન્ય વધુ જોવા મળે છે. અનિવાર્ય મનોદબાણ વિકૃતિ ધરાવતા લોકો પુનરાવર્તક કાર્યોમાં વ્યસ્ત થવાને બદલે માત્ર અતિક્રમિ વિચારો જ અનુભવે છે. અનિવાર્ય મનોદબાણ વિકૃતિધારક વ્યક્તિઓને પોતાની ઇન્દ્રિયો કે પોતાના નિર્ણયો પર ભરોસો હોતો નથી.

આ પણ વાંચો: Survey Of Saurashtra University: શું તમને પણ થાય છે આવું ? આ ક્રોનીક સ્ટ્રેસ તો નથી ને..!

જૈવિક કારણો :

આવા વ્યક્તિના મગજના ચોક્કસ ક્ષેત્રોમા સીરોટોનિન નામના મજ્જાસંચારકની ઉણપ હોય શકે છે. સંજ્ઞાનાત્મક અને વાર્તનિક કારણો : આ વ્યક્તિ મા જડ અને નીતિવિષયક વિચારસરણીનું વલણ હોય છે. તેઓ પોતાના નિષેધક અતિક્રમિ વિચારોને અસ્વીકાર્ય હોય તેમ અનુભવે છે.

મનોવૈજ્ઞાનિક કારણો:

આ વ્યક્તિના એવા આવેશો હોય છે જેમાં વ્યક્તિએ જેનું દમન કર્યું હોય. જે આવા મનોદબાણ દ્વારા પ્રગટ થાય છે. આ ઉપરાંત નિષેધક વલણો, અકારણ વિચારો, અકારણ ચિંતાઓ, ભૂતકાળની ઘટનાઓ વગેરે જેવા કારણો હોય શકે છે.

ઉપાયો:

યોગ્ય નિદાન કરાવવું
સાયકોલોજીસ્ટની મદદ લેવી
કોઈ ગમતા કાર્યમાં વ્યસ્ત રહેવું
અમુક વાતો કે વિચારોને દબાવી રાખવા કરતા યોગ્ય વ્યક્તિ પાસે પ્રગટ કરવા.
નિયંત્રણ શકતી કેળવવી
અતિ હોય તો જ દવાનો ઉપયોગ કરવો
કુટુંબ કે મિત્રો સાથે હળવા મળવાનું રાખવું

ચિંતાને ઘટાડવા માટે બિનઅનુકુલનાત્મક પરિહાર વર્તનમાં વ્યસ્ત થવાનું વલણ

ટૂંકમાં કહી શકાય કે ઘણી ચિંતા વિકૃતિઓ જૈવિક અને મનોવૈજ્ઞાનિક ઘટકોના સંયોજનમાંથી ઉદભવે છે. સંપૂર્ણ સ્વરૂપમાં વિકૃતિના વિકાસ માટે વ્યક્તિમાં ભય પામવાનું અને ચિંતાને ઘટાડવા માટે બિનઅનુકુલનાત્મક પરિહાર વર્તનમાં વ્યસ્ત થવાનું વલણ હોવું જરૂરી છે.

Last Updated :Jul 20, 2021, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.