ETV Bharat / city

રાજકોટમાં 4 ઇંચથી વધુ વરસાદ, વાવડીમાં એક ઘર પર પડી વીજળી

author img

By

Published : Sep 29, 2021, 5:36 PM IST

Latest news of Rajkot
Latest news of Rajkot

હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટમાં મંગળવારે મોડી રાત્રીથી જ ભારે વરસાદ જોવા મળ્યો હતો. રાતના 12 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ સવારના છ વાગ્યા સુધી યથાવત રહ્યો હતો. જે દરમિયાન ચાર ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં પડયો હોવાનું નોંધાયું છે. એવામાં બુધવારે સવારના સમયે થોડો સમય વાતાવરણ ખુલ્યા બાદ ફરી વરસાદી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. હજુ પણ હવામાન વિભાગ દ્વારા બે દિવસની ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ મનપા તંત્ર તેમજ રાજકોટ વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે અને નદી કાંઠાના નીચાંણવાળા વિસ્તારો પર સતત નજર રાખી રહ્યું છે.

  • રાજકોટમાં 4 ઇંચથી વધુ વરસાદ
  • વાવડીમાં ઘર પર પડી વીજળી
  • વાવડી ગામમાં ઘર પર વીજળી પડી

રાજકોટ: શહેરમાં મંગળવારે મોડી રાત્રે કડાકા અને ભડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. એવામાં રાત્રીના 1 થી 2 વાગ્યાની વચ્ચે શહેરના વાવડી વિસ્તારમાં આવેલા તથાગતનગરની શેરી નંબર 1 માં નરેશ પારઘીના મકાન પર વીજળી પડી હતી. જે દરમિયાન છતની દીવાલ પર મોટી મોટી તિરાડો પડી ગઇ હતી. ઘરમાં રહેલા તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો વીજળી પડવાને કારણે બળી ગયા હતા. જોરદાર અવાજ સાથે મકાન પર વીજળી પડવાને કારણે આસપાસના લોકો પણ ભયમાં મુકાયા હતા. તેમજ થોડા સમય માટે વિસ્તારમાં દોડાદોડીનો માહોલ સર્જાયો હતો. જોકે વીજળી પડવાની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

રાજકોટમાં 4 ઇંચથી વધુ વરસાદ, વાવડીમાં એક ઘર પર પડી વીજળી

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બંદરો પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ

રામનાથ મહાદેવના મંદિરમાં પાણી ઘુસ્યાં

રાજકોટમાં મંગળવારે રાત્રે મોડી રાત્રે 4 ઈંચ જેટલો વરસાદ આવવાની પગલે શહેરના નીચાંણવાળા વિસ્તારોમાં ગોઠણ સુધી પાણી ભરાયા હતા. રાજકોટની આજી નદી બન્ને કાંઠે વહેતી જોવા મળી હતી. એવામાં આજી નદીના કિનારે આવેલા રામનાથ મહાદેવ મંદિર પણ અડધું પાણીમાં ગરકાવ થઇ ગયું હતું, જ્યારે શહેરના મુખ્ય માર્ગો પર ખાડા પડવાના કારણે તેમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું હતું. હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને હાલ વહીવટી તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે.

રાજકોટમાં 4 ઇંચથી વધુ વરસાદ, વાવડીમાં એક ઘર પર પડી વીજળી
રાજકોટમાં 4 ઇંચથી વધુ વરસાદ, વાવડીમાં એક ઘર પર પડી વીજળી

આ પણ વાંચો: ભાવનગર શેત્રુંજી ડેમ 12 તારીખથી સતત ઓવરફ્લો 50 દરવાજા ખોલ્યા : શહેરમાં ઢીંચણ સુધીના પાણી

  • આજે 29 સપ્ટેમ્બરે કરજણ ડેમના ઉપરવાસમાં અવિરત વરસાદ પાડવાના કારણે કરજણ ડેમમાં 1 લાખ 63 હજાર ક્યુસેક પાણીની આવક થતા કરજણ ડેમના 9 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. જેથી કરજણ નદી બે કાંઠે વહી રહી છે. કરજણ ડેમના 9 દરવાજા માંથી 1 લાખ 54 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ કરજણ ડેમની જળ સાપટિ 115 ફુટ ને પાર થઈ જતા પાણી છોડવાની ફરજ પડી હતી. જોકે ડેમ તંત્ર દ્વારા એક કલાક પેહલા જાણ કરીને પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાજપીપલા નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી.જેને કારણે રાજપીપલા અને રામગઢ ને જોડતા રસ્તા પર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણુ થઈ ગયું છે ગ્રામજનો પાણી ઓસરે તેની રાહ જોઈને બેઠા છે.
  • આજે 29 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ડિપ્રેશનના પગલે દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા, વાડીનાર બંદરે 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ડીપ ડિપ્રેશનને કારણે દરિયો તોફાની બનવાની શક્યતા છે. સલામતીના ભાગ રૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. સાવચેતીના ભાગ રૂપે દરિયામાં ગયેલી તમામ બોટોને પરત બોલાવી લેવા પણ સૂચના અપાઈ છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને કોઈ ટોકન ઇસ્યુ ન કરવા તેમજ માછીમારી ન કરવા અંગે સ્પષ્ટ સૂચના અપાઈ છે.
  • ભરૂચમાં પણ આજે 29 સપ્ટેમ્બરે ભારે વરસાદના કારણે અંકલેશ્વર- સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા છે. શહેરની કડકિયા કોલેજ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થયો છે. ભરૂચના ફુરજા ચાર રસ્તા પર પાણી ભરાતાં ટેમ્પો તણાયી ગયો છે. રાતથી પડેલા વરસાદ ના પગલે ફુરજા, ચાર રસ્તા ના મુખ્ય માર્ગો પણ પાણી થઈ ગયા છે.અંકલેશ્વરના પીરામણ ગામ નજીક થી પસાર થતી આમલાખાડી ઓવરફ્લો થયો છે નેશનલ હાઇવે પરથી પીરામણ ગામને જોડાતા પુલ પરથી વરસાદી પાણી ફરી વળ્યું છે જેના કારણે માર્ગ બંધ થતાં વાહન ચાલકો અટવાયા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.