ETV Bharat / city

જૂનાગઢ જિલ્લાના શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રોજ માત્ર 20 લોકોના થઈ રહ્યા છે કોરોના ટેસ્ટ

author img

By

Published : Apr 24, 2021, 3:23 PM IST

Updated : Apr 24, 2021, 5:17 PM IST

કેન્દ્ર અને રાજ્ય સરકારના કોરોના સંક્રમિત વ્યક્તિઓના ટેસ્ટના દાવાની પોલ જૂનાગઢ જિલ્લાનું શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોલી રહ્યું છે. પ્રતિદિન માત્ર 20 જેટલા વ્યક્તિઓના ટેસ્ટ થઈ રહ્યા છે. આટલો નીચો આંકડો હોવાનું કારણ આરોગ્ય કેન્દ્રમાં કોરોના સંક્રમિત વ્યક્તિના ટેસ્ટ માટેની કીટ માત્ર 20ની સંખ્યામાં જ પૂરી પાડવામાં આવે છે. જ્યારે ગામની વસતિ 12 હજારની આસપાસ છે. આવી પરિસ્થિતિમાં જો આ જ પ્રમાણે ટેસ્ટ કરવાનો દર જોવા મળે તો એકમાત્ર શાપુર ગામમાં જ ટેસ્ટ થતા વર્ષો લાગી જાય તેમ છે. આવી પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બની શકે અને લાખો લોકોના જીવ પણ લઈ શકે છે.

કેન્દ્રને રાજ્ય સરકારના ટેસ્ટિંગના દાવાની પોલ ખોલતું શાપુર આરોગ્ય કેન્દ્ર
કેન્દ્રને રાજ્ય સરકારના ટેસ્ટિંગના દાવાની પોલ ખોલતું શાપુર આરોગ્ય કેન્દ્ર

  • કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેસ્ટિંગના દાવાની પોલ ખોલતું શાપુર આરોગ્ય કેન્દ્ર
  • અહીં પ્રતિદિન 20 જેટલા વ્યક્તિઓના કોરોના સંક્રમણના ટેસ્ટ થઈ રહ્યા છે
  • આ જ ગતિએ ટેસ્ટ ચાલુ રાખવામાં આવે તો કોરોના ટેસ્ટને લઈને વર્ષોનો સમય લાગી શકે છે
  • રાજ્ય અને કેન્દ્ર સરકારના ટેસ્ટના દાવાની પોલ ખોલતું જૂનાગઢ જિલ્લાનું શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

જૂનાગઢ: કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં હવે એક માત્ર ઉપાય તરીકે ટેસ્ટિંગ અને તેની સારવારને માનવામાં આવી રહ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ સમગ્ર દેશમાં અને સાથે-સાથે ગુજરાતમાં પણ યુદ્ધના ધોરણે ટેસ્ટિંગ થઈ રહ્યું હોવાનો દાવો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના દાવાની પોલ જૂનાગઢ જિલ્લાનું શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોલી રહ્યું છે. અહીં પ્રતિદિન 20 જેટલા વ્યક્તિઓના ટેસ્ટ થઈ રહ્યા છે. ત્યારબાદ એક પણ વ્યક્તિના ટેસ્ટ થઈ શકતા નથી. શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પ્રતિદિન આરોગ્ય વિભાગ દ્વારા 20 જેટલી ટેસ્ટિંગ કીટ આપવામાં આવી રહી છે. જેના કારણે ખુબ મોટી સંખ્યામાં ગામ લોકો ટેસ્ટ કરાવવા માટે આગળ આવી રહ્યા છે, પરંતુ કીટ નહીં હોવાને કારણે ટેસ્ટ થઈ શકતા નથી અને તમામ લોકોને પરત ફરવું પડે છે.

અહીં પ્રતિદિન 20 જેટલા વ્યક્તિઓના કોરોના સંક્રમણના ટેસ્ટ થઈ રહ્યા છે

આ પણ વાંચો: કોરોનાથી બચવા આણંદના રીક્ષાચાલકે પહેરી PPE કીટ, માસ્ક ન પહેરનારાઓ સામે બન્યા ઉદાહરણરૂપ

પ્રત્યેક વ્યક્તિના ટેસ્ટ થવાને લઈને વધુ સમય લાગી શકે છે

વાત જૂનાગઢ જિલ્લાની કરીએ તો જો આ જ પ્રમાણે ટેસ્ટિંગ કીટની અછતની વચ્ચે ટેસ્ટ કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં પ્રત્યેક વ્યક્તિના ટેસ્ટ કરવા પાછળ સો વર્ષ કરતાં વધુનો સમય લાગી શકે છે. આંકડાઓ ખૂબ જ ચિંતાજનક છે. 12 હજારની વસ્તીમાં પ્રતિદિન માત્ર 20 વ્યક્તિઓના ટેસ્ટ થઈ રહ્યા છે. આ દરમિયાન નેગેટિવ આવેલી કોઇપણ વ્યક્તિ દિવસ દરમિયાન એ કોઈપણ ટેસ્ટ ન થયેલી પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવવાથી તે પણ પોઝિટિવ બની શકે છે અને સરવાળે ટેસ્ટિંગનો ખર્ચ છે તે પણ માથે પડી શકે છે. આવી પરિસ્થિતિમાં શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાકિદે કીટ વધારવામાં આવે તેવી માંગ સ્થાનિક આગેવાનો પણ કરી રહ્યા છે.

આરોગ્ય કેન્દ્રના તબીબી કર્મચારીઓ પણ જોવા મળ્યા નિ:સહાય

24 એપ્રિલે ETV Bharatની ટીમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાપુરમાં ટેસ્ટિંગ કીટને લઈને રિયાલિટી ચેક કર્યું હતું. તેમાં ખૂબ જ ચિંતા ઉપજાવે તેવા દૃશ્યો સામે આવ્યા છે. શાપુરમાં આટલી ઓછી સંખ્યામાં ટેસ્ટ થવાને લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ પણ પોતે નિ:સહાય હોવાનું જણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, અમે પ્રતિદિન 100 કરતાં વધુ ટેસ્ટિંગ કીટની માંગ કરી રહ્યા છે, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા અમને માત્ર 20ની સંખ્યામાં ટેસ્ટિંગ કીટ પૂરી પાડવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં અમે 20થી વધુ ટેસ્ટ કરી શકવા માટે અસમર્થ છીએ, ત્યારે શાપુર ગામમાં પ્રતિદિન બે થી ત્રણ વ્યક્તિઓ કોરોના સંક્રમણને કારણે મોતને ભેટી રહ્યા છે. તેમ જ ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં 20ની સંખ્યાનો ટેસ્ટિંગ આંકડો ખૂબ જ ચિંતા ઉપજાવી શકે છે.

આ પણ વાંચો: ભાવનગરના સેન્ટરોમાં કોવિડ રેપીડ ટેસ્ટ કીટ થઇ ખાલી, લોકોને જરૂરિયાત હોય તો જ ટેસ્ટ કરાવવા અપીલ

લોક પ્રતિનિધિએ ઉચ્ચારી આંદોલનની ચીમકી

સમગ્ર મામલાને લઈને શાપુર જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશ કણસાગરાએ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી હતી અને પ્રતિદિન 20 જેટલા વ્યક્તિઓના ટેસ્ટ થઈ રહ્યા છે. તેને લઈને ખૂબ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દુર્દશા કરવા માટે બેઠા હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ ગામમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકો જાગૃત થઇને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સામેથી ટેસ્ટ કરાવવા માટે આવી રહ્યા છે, પરંતુ અહીં ટેસ્ટિંગ કીટની ખુબ અછત હોવાને કારણે અહીંથી ટેસ્ટ કરાવ્યા વગર જ પરત ફરે છે, ત્યારે ટેસ્ટિંગ કીટની અછત ખૂબ મોટી મહામારીને જન્મ આપી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા મહામારીના સમયમાં પણ આટલી મોટી નિષ્કાળજી દાખવવામાં આવી રહી છે. તેને સામે તેઓ હવે આગામી દિવસોમાં આંદોલન કરવાની ફરજ પડે તો પણ કરવાની તૈયારી દર્શાવી છે.

આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીનો ફોન એક વર્ષ બાદ પણ થતો નથી રિસીવ

જૂનાગઢ જિલ્લામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જવાબદારી જિલ્લા પંચાયત નીચે આવતા આરોગ્ય અધિકારીની હોય છે. પાછલા એક વર્ષથી જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી મહેતાએ ફોન ઉઠાવવા સુધીની તસ્દી લીધી નથી. પાછલા એક વર્ષથી જિલ્લા આરોગ્ય અધિકારી ફોન ઉપાડીને કોઈપણ પ્રકારની માહિતી આપવા માટે શા માટે આટલું અંતર રાખી રહ્યા છે તે સમજાતું નથી. હવે જ્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ જ તેમની પાસે ટેસ્ટિંગ કીટની માંગ કરી રહ્યા છે, ત્યારે તેમને પણ આ નિષ્ઠુર અને બેદરકાર જિલ્લા આરોગ્ય અધિકારી પ્રતિદિન 100 કરતાં વધુની ટેસ્ટિંગ કીટની જરૂરીયાતની સામે માત્ર 20 ટેસ્ટિંગ કીટ ફાળવીને શાપુર ગામના સંક્રમિત લોકોને ખૂબ નુકસાન પણ કરી રહ્યા છે.

Last Updated : Apr 24, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.