ETV Bharat / city

જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયનો પક્ષી વિભાગ પ્રવાસીઓ માટે કરાયો બંધ

author img

By

Published : Jan 9, 2021, 7:57 PM IST

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયનો પક્ષી વિભાગ પ્રવાસીઓ માટે કરાયો બંધ
સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયનો પક્ષી વિભાગ પ્રવાસીઓ માટે કરાયો બંધ

જૂનાગઢ જિલ્લામાં સંભવિત બર્ડ ફ્લુનો ખતરો ધીરે ધીરે વધી રહ્યો છે. બે દિવસ અગાઉ માણાવદરમાં મૃત્યુ પામેલા પચાસ કરતાં વધુ પક્ષીઓ પૈકી બે પક્ષીનો બર્ડ ફ્લુ ટેસ્ટ પોઝિટિવ આવતા રાજ્યનો પ્રથમ કેસ જિલ્લામાં નોંધાયો હતો. ત્યારે શનિવારે વધુ 50 જેટલા કાગડાઓના મોત માંગરોળ તાલુકાના લોએજ ગામમાં થતા જિલ્લામાં બર્ડફલુના ખતરાને લઈને ચિંતા વધી છે. ત્યારે શહેરમાં આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં મુલાકાતીઓ માટે પક્ષી વિભાગ 9 જાન્યુઆરીથી અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયનો પક્ષી વિભાગ કરાયો બંધ
  • બર્ડ ફ્લુને લઈને લેવાયો નિર્ણય, જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો
  • પ્રાણી સંગ્રહાલયમાં કર્મચારીઓને પ્રવેશ માટે રખાતી તકેદારીઓ

જૂનાગઢઃ કોરોના સંક્રમણ વચ્ચે હવે નવું એક સંકટ બર્ડફલુના રૂપમાં જોવા મળી રહ્યું છે. શુક્રવારે રાજ્યનો પ્રથમ કેસ જિલ્લાના માણાવદરમાં જોવા મળ્યો હતો. જેને ધ્યાને રાખીને જૂનાગઢમાં આવેલા એશિયાના સૌથી જૂના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય તકેદારીઓના પૂરતા પાલન માટે પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓએ સાવચેતીપૂર્વક પક્ષી વિભાગ સક્કરબાગમાં આવતા તમામ મુલાકાતીઓ માટે 9 જાન્યુઆરીથી અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સક્કરબાગમાં આવતા મુલાકાતીઓ પક્ષી વિભાગ સિવાય અન્ય જગ્યા પર તમામ પ્રકારની સાવચેતીઓ અને તકેદારીના પૂરતાં પાલન કરવાની શરતે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં જવા માટે મંજૂરી આપવામાં આવી છે, પરંતુ એક પણ પ્રવાસીને પક્ષી વિભાગ તરફ જવા પર સંપૂર્ણ પણે મનાઈ ફરમાવવામાં આવી છે. પક્ષી વિભાગમાં કામ કરતા તમામ કર્મચારીઓને PPE કીટ સહિત તમામ પ્રકારની સાવચેતીઓના ચુસ્તપાલન કરવાની સાથે પક્ષી વિભાગમાં જવા માટેની તાકીદ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયનો પક્ષી વિભાગ પ્રવાસીઓ માટે કરાયો બંધ

સક્કરબાગમાં તકેદારીના પગલાં લેવાની શરુઆત

જિલ્લાના માણાવદર અને 9 જાન્યુઆરી માંગરોળ તાલુકાના લોએજ ગામમાં 50 કરતાં વધુ કાગડાઓના મોત થયા છે. જેને લઇને જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં બર્ડ ફ્લુને લઈને સાવચેતીઓ રાખવામાં આવી રહી છે. ઉત્તરાયણનો તહેવાર પણ ખૂબ જ નજીક જોવા મળે છે ત્યારે સંભવીત બર્ડફલુના ખતરાને લઈને પક્ષીઓની સારવાર પણ મુશ્કેલ બની શકે છે. વધુમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હાલ પૂરતા તમામ પક્ષીઓને સુરક્ષિત કરવામાં આવ્યા છે. તેમજ પ્રાણીસંગ્રહાલયના બહારના એક પણ પક્ષીને લાવવા પર પૂરતો પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યું છે.

બર્ડફલુના ખતરાને ધ્યાને રાખી બંધ રાખવામાં આવ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 13 જેટલા વિદેશી અને 38 જેટલા વિદેશી પક્ષીઓ મળીને કુલ 300 જેટલા પક્ષીઓ ની પ્રજાતિઓ પ્રવાસીઓના નિદર્શન માટે મુકવામાં આવી હતી. પરંતુ બર્ડફલુના ખતરાને ધ્યાને રાખીને આ તમામ પક્ષીઓ પ્રવાસીઓ માટે જોવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.