જામનગર: જામનગર જિલ્લાપંચાયતના ત્રણ આરોગ્ય કર્મચારીઓ કે જેઓ સરકારી સમરસ હોસ્ટેલમાં ફરજ દરમિયાન કોરોના સંક્રમિત બન્યા હતા. આ ત્રણેય કર્મચારીઓએ 10 દિવસ જામનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અને ત્યારબાદ 5 દિવસનો કોરેન્ટાઈન પિરિયડ પૂર્ણ કરીને કોરોનામુક્ત થતાં જામનગર જિલ્લા પંચાયતના પટાંગણમાં ત્રણેય કોરોના વોરિયર્સનું પુષ્પવૃષ્ટિથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સેવાને બિરદાવવામાં આવી હતી.
જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ૩ કર્મચારીઓ અલિયાબાડાના હેલ્થવર્કર વીરેન્દ્રસિંહ જાડેજા, રેફ્યુજીના ફાર્માસિષ્ટ કૃણાલ સાગઠીયા અને લાખાબાવળના એમ્બ્યુલન્સ ડ્રાઇવર કાસમ ભાઈ આ ત્રણેય કોરોના વોરિયર્સ કે જેઓ પોતાની ફરજ નિષ્ઠા દરમિયાન કોરોના સંક્રમિત બન્યા હતા.
તેઓને જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ હતી, અને પાંચ દિવસ માટે જામનગરની આયુર્વેદ હોસ્પિટલમાં કોરેન્ટાઈન કરીને રાખવામાં આવ્યા હતા.જયાંથી આજે ત્રણેય કોરોના યોધ્ધાને રજા આપવામાં આવી છે.હજુ પણ દેશ માટે કોરોના સામે લડવાનો જુસ્સો અને જોમ બતાવી પોતાની અડગ ફરજનિષ્ઠાનો પરિચય આપ્યો છે.
તેઓની ફરજ નિષ્ઠા જોઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ. જી. બથવાર, જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ ના પ્રમુખ શ્રી વી પી જાડેજા તથા જિલ્લા પંચાયત કર્મચારી મહાસંઘના પ્રમુખ શ્રી દેવેન્દ્ર સિંહ પરમાર દ્વારા તેમને અભિનંદન પાઠવી તેમના સારા આરોગ્ય માટે શુભ કામના પાઠવી છે. આ ત્રણેય કોરોના યોદ્ધાઓનું આજે જામનગર જિલ્લા પંચાયતના પટાંગણમાં પુષ્પવૃષ્ટિ કરી સન્માન કરવામાં આવ્યું હતું.