ETV Bharat / city

ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે કેન્દ્રીય આરોગ્ય ટીમ ત્રીજી વખત રાજ્યની મુલાકાતે, સીએમ રૂપાણી સાથે કરશે બેઠક

author img

By

Published : Jul 16, 2020, 9:36 PM IST

ગુજરાતમાં કોરોના વાઇરસનું સતત વધતું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરો ઉપરાંત ગ્રામ્ય સ્તરે પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવતા રાજ્યના આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે. તેવામાં કેન્દ્રીય આરોગ્ય ટીમ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહી છે. જે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે પણ બેઠક કરશે.

ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે કેન્દ્રીય ટીમ ત્રીજી વખત ગુજરાતની મુલાકાતે, સીએમ રૂપાણી સાથે કરશે બેઠક
ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે કેન્દ્રીય ટીમ ત્રીજી વખત ગુજરાતની મુલાકાતે, સીએમ રૂપાણી સાથે કરશે બેઠક

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ બેકાબૂ થઇ રહ્યું છે. શહેરો તથા ગામડાઓમાં સતત કોરોના પોઝિટિવ કેસમાં ઉછાળો આવી રહ્યો છે જે એક ચિંતાજનક બાબત છે. ત્યારે નીતિ આયોગ અને વરિષ્ઠ આરોગ્ય તજજ્ઞોની કેન્દ્રીય ટીમ બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવી છે જે રાજ્યમાં કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરશે.

આ ટીમ સુરત અને અમદાવાદની મુલાકાત લેશે

આ પહેલા પણ સીએમ રૂપાણીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને કરેલા અનુરોધને પગલે મે મહિનામાં એઇમ્સ નવી દિલ્હીના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા અને ડૉ. મનિષ સુનેજા અમદાવાદમાં કોવિડ-19 ની સ્થિતિને લઇને માર્ગદર્શન અને સમીક્ષા માટે આવ્યા હતા. ત્યાર બાદ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવકુમાર અગ્રવાલે પણ ગુજરાતની મુલાકાત લીધી હતી.

નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલ, ICMRના ડાયરેકટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવ, એઇમ્સના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાની આ ટીમ ગુરુવારે સાંજે અમદાવાદથી હવાઇ માર્ગે સુરત જવા રવાના થયા હતા.

સુરતમાં આ તજજ્ઞ ટીમ સુરત જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ કોવિડ-19 અંતર્ગત સુરતમાં વિશેષ ફરજ પર મુકાયેલા વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.

કેન્દ્રીય ટીમના સભ્યો શુક્રવારે સવારે સુરતમાં ફિલ્ડ વિઝીટ કરશે અને બપોરે અમદાવાદ આવશે તેમજ અમદાવાદ શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારોની મુલાકાત લીધા પછી અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજશે. જ્યારે સુરત અને અમદાવાદની મુલાકાત બાદ આ ટીમના સભ્યો શુક્રવારે સાંજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક યોજશે.

રાજ્યમાં કોરોના સંદર્ભની કામગીરી પર દેખરેખ માટે ખાસ નિમાયેલા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ પણ આ ટીમ સાથે રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.