- દોષિતોના રિપોર્ટ સરકાર સુધી પહોંચશે
- શિક્ષણ મંત્રીએ કહ્યું ગેરરીતિ નહીં ચલાવાય
- નાગરાજનની તપાસ અધિકારી તરીકે નિમણૂક કરાઈ
ગાંધીનગર: નાપાસ થયેલા વિદ્યાર્થીઓને રિ-એસેસમેન્ટમાં પાસ કરાવવાના કથિત કૌભાંડને લઈને ગુરુવારે ગૃહમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સમક્ષ આ કેસને લઈને જણાવ્યું હતું કે, પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિના કેસની તપાસ માટે રાજ્યના ઉચ્ચશિક્ષણ નિયામક એમ. નાગરાજનની તપાસ અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે. રાજ્ય સરકાર આ કેસમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ છાવરવા દેવા માંગતી નથી.
2018માં આ ઘટના સામે આવી હતી
વર્ષ 2018માં ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં રિ-એસેસમેન્ટમાં થયેલી કથિત ગેરરીતિ માટે 2 સભ્યોની કમિટીની રચવામાં આવી હતી. તેમના દ્વારા રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિ કેસની યોગ્ય તપાસ કરી તેમાં કોણ દોષી છે અને તેમાં શું થયું છે? તે અંગેના યોગ્ય રિપોર્ટ યુનિવર્સિટીમાં સબમીટ કર્યા છે.
ચકાસણી અને અભ્યાસ કરી સરકારને રિપોર્ટ અપાશે
રાજ્ય સરકાર દ્વારા આ કેસમાં ઉચ્ચ શિક્ષણ નિયામક અને IAS અધિકારી નાગરાજનની તપાસ અધિકારી તરીકે નિમણૂક કરાઇ છે. જેઓ રિપોર્ટમાં યોગ્ય ચકાસણી અને અભ્યાસ કરીને જે કોઇ દોષી હશે, તેનો રિપોર્ટ સરકારને આપશે તેમ શિક્ષણપ્રધાને જણાવ્યું હતું.
વધુ વાંચો: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSમાં પાસ કરવાનું કૌભાંડ સામે આવ્યું