ETV Bharat / city

CMને ફરિયાદ કરવા ગીર સોમનાથના વૃદ્ધ 443 કિમી સાઈકલ ચલાવી ગાંધીનગર પહોંચ્યા

author img

By

Published : Sep 8, 2020, 6:21 PM IST

લોકોને સરકાર સામે ફરિયાદો હોય છે, જેની રજૂઆત કરવામાં અવનવી રીતો પણ અપનાવતા હોય છે. આવી જ અનોખી રીતે CM રૂપાણીને ફરિયાદ કરવા એક વૃદ્ધ ગાંધીનગર પહોંચ્યા છે. આ વૃદ્ધ ગીર સોમનાથથી 443 KM દૂર આવેલા ગાંધીનગર સુધી સાયકલ પર આવી CM રૂપાણીને ફરિયાદ કરવા આવ્યા છે. જો કે તેમને CM રૂપાણીને મળવા દેવામાં આવ્યા ન હતા.

CM રૂપાણીને ફરિયાદ
CMને ફરિયાદ કરવા ગીર સોમનાથના વૃદ્ધ 443 કિમી સાઈકલ ચલાવી ગાંધીનગર પહોંચ્યા

ગાંધીનગર : રાજ્યમાં સામાન્ય માણસ હોય કે અમીર માણસ હોય તમામ લોકોને રાજ્ય સરકારથી ફરિયાદ છે, પરંતુ જનતાની ફરિયાદ કોઈ સાંભળતું નથી. ત્યારે ગીર સોમનાથનો એક ખેડૂત સુત્રાપાડાથી સાઈકલ લઈને 443 કિલોમીટરનો પ્રવાસ ખેડી ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરવા પહોંચ્યો હતો.

CM રૂપાણીને ફરિયાદ
CMને ફરિયાદ કરવા ગીર સોમનાથના વૃદ્ધ 443 કિમી સાઈકલ ચલાવી ગાંધીનગર પહોંચ્યા

લોકડાઉન પૂર્ણ થયા બાદ અનલોક દરમિયાન રાજ્ય સરકારે તમામ સરકારી કચેરીઓ શરૂ કરી છે, પરંતુ હજૂ સુધી જાહેર જનતા માટે સચિવાલયના દરવાજા ખોલવામાં આવ્યા નથી. ત્યારે મંગળવારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આવેલા વાવડી ગામથી એક વૃદ્ધે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળવા માટે સુત્રાપાડાથી ગાંધીનગર સુધીનો 443 KMનો પ્રવાસ સાયકલ મારફતે કર્યો હતો. ત્યારે મંગળવાર સવારે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યા તેમને ગેટ નંબર 1 પાસે અટકાવી દેવામાં આવ્યા હતા.

વૃદ્ધ ગીર સોમનાથથી 443 KM દૂર આવેલા ગાંધીનગર સુધી સાયકલ પર આવી CM રૂપાણીને ફરિયાદ કરવા આવ્યા

વૃદ્ધની ફરિયાદ છે કે, ખોટા દસ્તાવેજો ઉભા કરી એક ખાનગી કંપની દ્વારા તેમની જમીન ગેરકાયદેસર રીતે પડાવી લેવામાં આવી છે. જ્યારે જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉ આ જમીન મૂળ માલિકને પરત કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ફરીથી એ જ જિલ્લા કલેકટર કચેરીમાંથી ખાનગી કંપનીને જમીન પરત આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે બાબતે હજૂ સુધી નિરાકરણ આવ્યું નથી. ત્યારે આ બાબતની ફરિયાદ લઇને વૃદ્ધ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળીને રૂબરૂ રજૂઆત કરવાની ઇચ્છા દર્શાવી હતી, પરંતુ નીતિ નિયમોને અનુસરીને તેમને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળવા દેવામાં આવ્યા ન હતા. જો કે, બ્લોક નંબર 1ની અંદર આવેલા PROને રજૂઆત કરવા જવા દેવામાં આવ્યા હતા.

મહત્વની વાત છે કે, 26 ઓગસ્ટના રોડ રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં 'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહીબિશન) એકટ-2020'ને મંજૂરી આપવામાં આવી છે. જે બાદ ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આ નિર્ણયને આવકાર્યો હતો. ભાજપ પ્રદેશ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈપણ સ્વરૂપે જમીન હડપવી કે, જમીન હડપવાના હેતુથી કરેલી અન્ય ગતિવિધિ પ્રતિબંધિત, ગેરકાનૂની અને દંડનીય અપરાધ ગણાશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નિર્ણયથી ખેડૂતો સહિત તમામ કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ થશે, કડક સજાની જોગવાઈથી ભૂમાફિયાઓ અંકુશમાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 433 કિલોમીટર દૂરથી ગાંધીનગર સુધીની પ્રવાસ કર્યો છે, પરંતુ તેઓને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળવાનો મોકો મળ્યો ન હતો ત્યારે રાજ્યની સંવેદનશીલ સરકાર વૃદ્ધ પ્રત્યે કેવું વલણ રાખશે વૃદ્ધ ને ન્યાય મળશે કે નહીં તે જોવું રહ્યું..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.