ETV Bharat / city

વિકાસ દિન : કેન્દ્રીય પ્રધાન અમિત શાહના હસ્તે રાજ્યમાં 5300 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ

author img

By

Published : Aug 7, 2021, 3:58 PM IST

અમિત શાહના હસ્તે રાજ્યમાં 5300 કરોડના વિકાસના કામનું લોકાર્પણ
અમિત શાહના હસ્તે રાજ્યમાં 5300 કરોડના વિકાસના કામનું લોકાર્પણ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી(CM Rupani ) સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને આજે શનિવારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે "વિકાસ દિન" ની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ( Union Home Minister Amit Shah ) વર્ચ્યુઅલ રીતે 5300 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું હતું.

  • રાજ્યમાં 5 વર્ષની ઉજવણીમાં આજે શનિવારે વિકાસ દિનની ઉજવણી
  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 5300 કરોડના કામનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત
  • સરકાર અને સંગઠનમાં કોઈ મતભેદ નહિ હોવાનો નીતિન પટેલનો દાવો

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી(CM Rupani )ને પાંચ વર્ષ પૂર્ણ થતા સરકાર દ્વારા 9 દિવસ અલગ અલગ વિષયો પર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે શનિવારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે "વિકાસ દિન"ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક જ મંચ પરથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાં એક જ સમયે તે 5300 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે ગાંધીનગર પાસે આવેલા નવા બ્રિજનું પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે( Union Home Minister Amit Shah ) વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહના લોકસભા વિસ્તારમાં 900 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: "રૂપાણી સરકારના પાંચ વર્ષ" : મુખ્યપ્રધાનની જાહેરાત, "કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ બનાવાશે"

સરકાર અને સંગઠનમાં કોઈ મતભેદ નહિ

વિકાસની ઉજવણી નિમિત્તે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી જે રીતે વિકાસનો પાયો નાખી ગયા છે તે વિકાસનો પાયો અમે આગળ વધાર્યો છે, જ્યારે સંગઠનના તમામ જૂના જોગીઓને પણ નીતિન પટેલે યાદ કર્યા હતા. આ ઉપરાંત, જીતુ વાઘાણી, ભીખુ દલસાણીયા, ભૂપેન્દ્ર યાદવ તમામે સરકાર અને સંગઠન એક સાથે મળીને ગુજરાતના વિકાસમાં અવિરત પણે કાર્ય કર્યું છે. વધુમાં નીતિન પટેલે પોતાના ભૂતકાળને યાદ કરતા જણાવ્યું હતું કે, હું ૧૯૯૦માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યો હતો અને ત્યારે મે કહ્યું હતું કે, જો દેશ અને રાજ્યનો વિકાસ કરવો હોય તો રાજકીય સ્થિરતા જરૂરી છે, આમ સંગઠનનો સહયોગ અને પ્રજાનું કામ કરવાથી હાલ ગુજરાત ગૌરવવંતુ બન્યું છે.

ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું હવે ગુજરાત શું કરશે ?

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જ્યારે ૧૯૬૦માં ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને અલગ અલગ રાજ્ય બન્યાં ત્યારે લોકો વાતો કરી રહ્યા હતા કે, હવે ગુજરાત શું કરશે કેવી રીતે આવક મેળવશે તે ગુજરાત પાસે તો ફક્ત દરિયાકિનારાનો કાળો પટ્ટો જ છે, ત્યારે હાલ વર્તમાન સમયમાં ગુજરાત શ્રેષ્ઠ તરીકે સ્થાન મેળવનાર રાજ્ય બન્યું છે, પરંતુ ભવિષ્યમાં સમય સાથે ચાલીને ગુજરાતનો અવિરતપણે વિકાસ કરવાની વાત પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવી હતી. કેન્દ્ર સરકારના તમામ વિભાગની મદદ મેળવીને ગુજરાતને ઉત્તમ કે સર્વોત્તમ બનાવવાની જાહેરાત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ ઉજવણી ફક્ત સરકારની નહીં, પરંતુ ગુજરાત રાજ્યના 6.5 કરોડ જનતાની ઉજવણી છે.

અમિત શાહના હસ્તે રાજ્યમાં 5300 કરોડના વિકાસના કામનું લોકાર્પણ
અમિત શાહના હસ્તે રાજ્યમાં 5300 કરોડના વિકાસના કામનું લોકાર્પણ

અમિત શાહે વિધાનસભાના દિવસો કર્યા યાદ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના ભૂતકાળના દિવસોની યાદ કર્યા હતા અને ગુજરાત વિધાનસભામાં જ્યારે તેઓ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હતા તે સમયને યાદ કરીને વિપક્ષ પર નિશાન ટાંક્યું હતું. આ બાબતે તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભામાં સૌની યોજનાનું જ્યારે જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે વિપક્ષ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવતા હતા કે, આટલી મોટી પાઇપલાઇનમાં પાણી આવશે કે હવા આવશે, ત્યારે સૌની યોજના અત્યારે સફળ નીવડી છે અને સૌરાષ્ટ્રના તમામ ગ્રામ્ય વિસ્તારો અને રાજ્યની તમામ જગ્યા પર નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે, ત્યારે હું તમને કહેવા માગું છું કે, વિપક્ષના મિત્રો જોઈલો બનાસકાંઠા સુધી પાણી પહોંચ્યું છે.

આ પણ વાંચો: "પાંચ વર્ષ નારી ગૌરવના'' : મુખ્યપ્રધાન દ્વારા મહિલા ઉત્કર્ષલક્ષી વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ

સરકાર દ્વારા અનેક જાહેરાત કરાઈ

કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્ય સરકારના વિકાસ દિનની ઉજવણીમાં જોડાયા હતા, ત્યારે તેઓએ જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, ભાવનગર, અમરેલી જેવા અનેક વિસ્તારોમાં સડક બનાવવાનું કામ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવશે, જ્યારે દિલ્હી મુંબઈ વચ્ચેનો જે કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે, તેનું પણ કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદ ધોલેરાનો હાઇવે, અમદાવાદ સારંગપુર હનુમાન સુધીના રસ્તાનું કામકાજ, જૂનાગઢના ભેસાણથી પરબ વાવડી સુધીના રસ્તાનું નવિનીકરણ કરવામાં આવશે. આમ કરોડોના ખર્ચે ગુજરાત રાજ્યના અનેક રસ્તાનું નવિનીકરણની જાહેરાત પણ નીતિન ગડકરીએ કરી હતી.

અમિત શાહના હસ્તે રાજ્યમાં 5300 કરોડના વિકાસના કામનું લોકાર્પણ
અમિત શાહના હસ્તે રાજ્યમાં 5300 કરોડના વિકાસના કામનું લોકાર્પણ

વતન પ્રેમ યોજનાની જાહેરાત

વિકાસ કાર્યક્રમ નિમિત્તે રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ વતન પ્રેમ યોજનાની પણ જાહેરાત કરી હતી. જેમાં વિદેશમાં અને વિશ્વના ખૂણેખૂણામાં વસનારા ગુજરાતીઓ પોતાના વતન પ્રત્યે ફરજ બજાવી પોતાના વતનનો વિકાસ વધુમાં વધુ કરે તે માટેની પણ યોજનાની જાહેરાત કરી હતી. જેમાં ૪૦ ટકા જેટલી રકમ રાજ્ય સરકાર સહાય તરીકે આપશે, આમ ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂલ, આંગણવાડી, લાઇબ્રેરી, દવાખાના બનાવવા માટેની પણ યોજના રાજ્ય સરકારે જાહેરાત કરી છે. આ ઉપરાંત એસટી બસ સ્ટેશનના પણ લોકાર્પણ કરવામાં આવ્યા હતા અને ભારત બેન્ઝ 6 નવી બસો પણ લોકાર્પણ અને લીલી ઝંડી એક જ મંચ પરથી આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.