કોરોના બાદ રાજ્યમાં સિઝનલ ફ્લૂનો કાળો કહેર, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું કો-ઇન્ફેક્શન આવ્યું સામે

author img

By

Published : Sep 4, 2021, 10:12 PM IST

ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું કો-ઇન્ફેક્શન આવ્યું સામે
ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું કો-ઇન્ફેક્શન આવ્યું સામે ()

બે વર્ષથી કોરોનાની મહામારીએ કહેર વર્તાવ્યો છે, ત્યારે ચોમાસાની સિઝન શરૂ થતાં જ વાઇરલ ઇન્ફેકશનના અનેક કેસો સામે આવ્યા છે. જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ પણ નોંધાયા છે. આમ સિઝનલ ફ્લૂનો મારો વધતાની સાથે જ રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

  • ઓગસ્ટમાં મેલેરિયાના - 2451, ડેન્ગ્યુના- 1616 અને ચિકનગુનિયાના 687 કેસો સામે આવ્યા
  • ગત વર્ષ કરતા આ વર્ષે સિઝનલ ફ્લૂના કેસમાં વધારો થઈ રહ્યો છે
  • ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કો-ઇન્ફેક્શનના 27 કેસમાંથી ત્રણ દર્દીઓ ગુજરાતના આવ્યા સામે

ગાંધીનગર : રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વાઇરલ ઇન્ફેકશનના અનેક કેસો સામે આવ્યા છે. ઓગસ્ટમાં તમામ જિલ્લાઓમાં કુલ મેલેરિયાના - 2451, ડેન્ગ્યુના- 1616 અને ચિકનગુનિયાના 687 કેસો સામે આવ્યા છે, જે ગત વર્ષની સરખામણીમાં વધુ છે. સિઝનલ ફ્લૂનો મારો વધતાની સાથે જ રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

ગત વર્ષ કરતા આ વર્ષે કેસમાં વધારો

ગત વર્ષ કરતા આ વર્ષે સિઝનલ ફ્લૂના કેસમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે અગાઉ પણ રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે કોરોનાની પરિસ્થિતિના કારણે લોકો ઘરમાં જ રહ્યા હતા. પરંતુ આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે અને કેસમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે લોકો બહાર ફરવા નીકળી રહ્યા છે જેથી આ વર્ષે કેસમાં વધારો દેખાઈ રહ્યો છે.

રાજ્યમાં 80 લાખથી વધુ લોકોના લેવાયા સેમ્પલ

અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મહાનગરપાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસો સામે આવ્યા છે. જે અંગે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં વાયરલ અને બેક્ટેરીયલ ઇન્ફેક્શનમાં વધારો થયો છે, જેને લઇને રાજ્યમાં 80 લાખ 73 હજાર લોકોના લોહીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આમ વસ્તીના 12 ટકા જેટલા લોકોનું લોહીનું પરીક્ષણ કરીને બીમારીની જડ પકડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કો-ઇન્ફેક્શન

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી લેબમાં દેશના મુખ્ય જિલ્લાઓમાંથી 4963 નમૂનાઓ એકત્ર કરીને મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલ્સમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કો-ઇન્ફેક્શનના 27 કેસમાંથી ત્રણ દર્દીઓ ગુજરાતના જોવા મળ્યા છે. આ 4963 નમૂનાઓમાંથી 1989 દર્દીઓને ડેન્ગ્યુ વાયરસ પોઝિટિવ હતો અને 150 લોકોને ચિકનગુનિયા પોઝિટિવ હતો.

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના 329 કેસો

ગુજરાત રાજ્યના મેગાસિટી અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં સાદા મેલેરિયા અને 123 અને ઝેરી મેલેરિયાના નવ કેસ નોંધાયા છે. આ સાથે ડેન્ગ્યુના સૌથી વધુ 130 કેસ અને ચિકનગુનિયાના 67 કેસ નોંધાયા છે. આમ મચ્છરજન્ય રોગચાળાના ચાલુ મહિને કુલ 329 જેટલા કેસ નોંધાયેલા છે. આ આંકડા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા છે. ખાનગી દવાખાના કે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના આંકડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

580 જેટલી આરોગ્યની ટિમ કાર્યરત

વાઇરલ ફ્લૂની બીમારીઓ ગુજરાત રાજ્યમાં ફેલાઈ રહી છે, તેને ધ્યાનમાં લઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના અલગ-અલગ કોર્પોરેશન, જિલ્લા, તાલુકા વિસ્તારોમાં કુલ 580 જેટલી આરોગ્યની ટીમે વાયરલ બીમારીઓને કંટ્રોલ કરવા માટે કાર્યરત કરવામાં આવી છે. જ્યારે રોગચાળો વધારે હોય તેવા રાજ્યના 443 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં રોગચાળો વધે નહીં તે માટે 580 જેટલી આરોગ્યની ટીમને કાર્યરત કરવામાં આવી છે.

રાજ્યમાં આરોગ્યનું સર્વેલન્સ યથાવત

રાજ્યના આરોગ્ય વિભાગમાં જે વિસ્તારમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કે સામે આવી રહ્યા છે, તે વિસ્તારોમાં પણ સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આમ વાયરલ અને બેક્ટેરીયલ ઇન્ફેક્શનમાં વધારો ન થાય તે માટે પણ 10 લાખથી વધુના જથ્થામાં દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે. જ્યારે આવનારા દિવસોમાં પણ જે તે વિસ્તારમાં સર્વેલન્સ લોહી પરીક્ષણ સહિતની તમામ કામગીરી યથાવત રાખવામાં આવશે.

સ્વચ્છતામાં બીજા ક્રમે આવતા સુરતમાં પણ રોગચાળામાં વધારો

સુરત શહેરમાં રોગચાળાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, તે કામગીરીને જોતા સુરત શહેરમાં ગત વર્ષે જુલાઈ 2020માં 67 કેસ, ઓગસ્ટ 2020માં 53 કેસમાં રોગચાળો જોવા મળ્યો હતો. શહેરમાં આ વર્ષે જુલાઈ 2021માં 140 કેસ, ઓગસ્ટમાં 97 કેસ નોંધાયા છે. ગત વર્ષ 2020 કરતા આ વર્ષે 2021માં શહેરમાં રોગચાળાનો પ્રભાવ વધતો જોવા મળ્યો છે.

રાજકોટમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો

રાજકોટમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. આ અંગે રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી અને બાયોલોજીસ્ટ વૈશાલીબેને ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ડેન્ગ્યુના 38 અને ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા છે. આ કેસ જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના છે. ગત વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 62 અને ચિકનગુનિયાના 19 કેસ નોંધાયા છે. વર્તમાન વર્ષની સરખામણીમાં આ કેસ ઓછા છે. આ સિવાય રાજકોટમાં સામાન્ય તાવ, શરદી, ઉધરસ તેમજ ઝાડા ઉલ્ટીના કેસમાં પણ વધારો નોંધાયો છે. ખાસ ચોમાસાની ઋતુને લઈને આ રોગચાળો વકર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભાવનગરમાં રોગચાળાનો આંકડો ઓછો

ભાવનગરમાં ચિકનગુનિયા અને મેલેરિયાના કેસો સામે નથી આવ્યા. ચિકનગુનિયાનો એકેય કેસ એક વર્ષમાં નથી પણ છેલ્લા આઠ મહિનામાં મેલેરિયાના માત્ર 6 કેસ નોંધાયેલા છે. કોરોનાના કેસ ઓછા થયા અને ઓગસ્ટમાં ડેન્ગ્યુના 39 કેસ સામે આવ્યા હતા. જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં માત્ર 37 કેસ જ હતા. હવે છ મહિના જેટલા કેસ સીધા એક મહિનામાં આવતા મહાનગરપાલિકાએ અર્બન વિભાગને કામે લગાડી દીધું છે. આમ શહેરમાં ચિકનગુનિયાના- 0, મેલેરિયા - 6 કેસ ગત આઠ મહિનામાં અને ડેન્ગ્યુના જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં કુલ 76 કેસ નોંધાયેલા છે.

જૂનાગઢમાં વાયરલ ઈન્ફેક્શનના કેસ વધારે આવે છે

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોજ 350થી 400 દર્દીઓ ઓપીડીમાં આવે છે, તે આગામી મહિના કરતાં વધારે છે. હાલ વાયરલ ઈન્ફેક્શનના કેસ વધારે આવે છે. જેમાં મેલેરિયાના કેસ છે. જૂનાગઢમાં ડેન્ગ્યૂ કે ચિકનગુનિયાના સાવ સામાન્ય એકલદોકલ કેસ નોંધાયા છે. આ વર્ષે જૂનાગઢમાં વરસાદ ઓછો છે અને ક્યાંય વરસાદી પાણી ભરાયા નથી, જેથી મચ્છરજન્ય રોગ ફેલાયો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.