ETV Bharat / city

લવ જેહાદ મુદ્દે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

author img

By

Published : Aug 26, 2021, 9:53 PM IST

Updated : Aug 27, 2021, 3:16 PM IST

લવજેહાદ મુદ્દે ગુજરાત સરકારે રજૂ કરેલા જવાબમાં હાઈકોર્ટે અરજી ફગાવી છે ત્યારે સરકારે આ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે.

રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે
રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે

  • લવ જેહાદ મુદ્દે રાજ્ય સરકારે સ્ટેન્ડ જાહેર કર્યું
  • નામ - ધર્મ બદલવાનો ઢોંગ કરનારીને યુવતીઓને છેતરનારા વિરુદ્ધ થશે કડક કાર્યવાહી
  • ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયકએ રાજ્ય સરકારનો પોલિટીકલ એજન્ડા નથી
  • લવ જેહાદના કાયદાના અમલીકરણ ઉપર રોક લગાવતા હાઇકોર્ટના હુકમને ગુજરાત સરકાર સુપ્રિમ કોર્ટમાં પડકારશે

ગાંધીનગર : ગુજરાત હાઇકોર્ટમાં લવ જેહાદ મુદ્દે ચાલી રહેલી કાર્યવાહીમાં ગુજરાત સરકારે રજૂ કરેલા જવાબમાં હાઈકોર્ટે અરજી ફગાવી છે ત્યારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ બાબતે રાજ્ય સરકાર આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે.

જેહાદી તત્વોને નાથવા માટે અમે લવ-જેહાદનું કાયદારૂપી શસ્ત્ર
ગુજરાતમાં હિંદુ સહિત તમામ ધર્મની બહેન-દિકરીઓને સુરક્ષિત કરવાના મક્ક્મ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યાં છીએ. દિકરીઓ સાથે દુરવ્યવહાર કરનારા જેહાદી તત્વોને નાથવા માટે અમે લવ-જેહાદનું કાયદારૂપી શસ્ત્ર રાજકીય દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે ઉગામ્યું છે. ખોટા હિંદુ નામ ધારણ કરી, હિંદુ ચિહ્નો ધારણ કરી, લોભ-લાલચ કે પ્રલોભનથી ફસાવીને બહેન-દિકરીઓ સાથે વિશ્વાસધાત કરીને કરવામાં આવતા લગ્નો ઉપર રોક લગવવાના શુભ ઇરાદાથી રાજય સરકારે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરી બહેન દિકરીઓને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.

પોલિટિકલ એજન્ડા નહીં
શસ્ત્ર ઉગામીને બહેન દીકરીઓને સુરક્ષિત કરવા માટે લાવવામાં આવેલ આ કાયદોએ પોલિટિકલ એજન્ડા નહીં પણ દુરવ્યવહાર પ્રત્યેની વ્યથાને વ્યવસ્થામાં પરિવર્તિત કરવાનો સનિષ્ઠ પ્રયાસ છે. બહેન – દીકરીઓને ફસાવવાના આ હિન પ્રયાસને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં. રાજ્ય સરકારે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરી બહેન દિકરીઓને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે કેટલાંક વિરોધી તત્વોએ આ કાયદાનું ખોટું અર્થઘટન કરીને કોર્ટમાં પિટિશન કરી હતી અને હાઈકોર્ટ દ્વારા મનાઈ હુકમ અપાતા આ મનાઈહુકમને ગુજરાત સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવશે.

ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ, ૨૦૦૩ની જોગવાઈઓમાં સરકારે સુધારો કર્યો
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ, 2003ની જોગવાઈઓમાં સરકારે સુધારો કર્યો છે જે મુજબ લાલચને લગતી જોગવાઈમાં વધુ સારી જીવનશૈલી, દૈવી-કૃપા જેવી અન્ય જોગવાઈ ઉમેરવામાં આવેલ. કપટયુક્ત સાધનોની જોગવાઈમાં ધાર્મિક ચિહ્નો વિગેરેનો ખોટો ઉપયોગ પણ ઉમેરવામાં આવેલ છે. આ ઉપરાંત કલમ-૩ની જોગવાઈમાં બળ, લાલચ, કપટ વગેરે માધ્યમો થકી કરાતા ધર્મપરિવર્તનમાં લગ્નના માધ્યમથી ધર્મપરિવર્તન ન કરી શકાય તે માટે સુધારો કર્યો છે. જેનુ ધર્મ-પરિવર્તન કરવામાં આવેલ હોય તેનાથી નારાજ વ્યક્તિ ઉપરાંત તેમના નજીકના સંબંધીઓ પણ પોલીસમાં ફરિયાદ કરી શકે તે માટે જોગવાઈ ઉમેરવામાં આવી હતી.

કલમ 3 અને 4બની રજૂઆત
આ કાયદાની સુધારેલ કલમ-૩ મુજબ કોઈ પણ વ્યક્તિનું એક ધર્મથી અન્ય ધર્મમાં ધર્માંતરણ બળજબરી/દબાણ (force) દ્વારા, અથવા લાલચ/પ્રલોભન (allurement) દ્વારા અથવા કપટયુક્ત સાધનો (fraudulent means) દ્વારા અથવા લગ્ન (marriage) દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ છે. તદુપરાંત સુધારેલા અધિનિયમની કલમ 4-બએ નક્કી કરે છે કે કોઈપણ લગ્ન કે જે એક ધર્મના વ્યક્તિ દ્વારા બીજા ધર્મની વ્યક્તિ સાથે ગેરકાયદેસર ધર્માંતરણ કરવાના હેતુથી કરવામાં આવે તેને ફેમિલી કોર્ટ દ્વારા રદબાતલ જાહેર કરવામાં આવશે.

કલમ 5 કાયદાની હાર્દ છે : જાડેજા
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે આ કાયદાની કલમ-૫ જે આ કાયદાનું હાર્દ છે તે જોગવાઈ પણ આ સુધારેલા કાયદામાં યથાવત રાખવામાં આવેલ જેથી જ્યારે કોઇ વ્યક્તિ, ધર્મગુરુ કે મૌલવી કોઇ વ્યક્તિનું એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવા ધારે તો મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી મેળવવી ફરજીયાત બનાવવામાં આવેલ છે અને જે વ્યક્તિનું ધર્મ પરિવર્તન કરવામાં આવે તેના દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવાની જોગવાઈ છે અને કોઇ વ્યક્તિ આ જોગવાઈનું ઉલ્લંઘન કરે તેને એક વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે.

હાઇકોર્ટ મુદ્દે જાડેજાનું નિવેદન
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે કેટલીક વ્યક્તિઓ દ્વારા આ કાયદાની જોગવાઇઓને પડકારતી અરજીઓ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલ જેની સુનવણી દરમિયાન, 2021ના સુધારેલા આ કાયદાના હેતુઓ તેમજ ઉપરોક્ત પાસાઓને ધ્યાનમાં લીધા બાદ, ગુજરાતની નામદાર ઉચ્ચ અદાલતે તેના તારીખ 19 ઓગસ્ટ 2021 વચગાળાનો આદેશ આપતા સ્પષ્ટતા કરી છે કે, આ અરજીઓની અંતિમ સુનાવણી બાકી છે ત્યાં સુધી કલમ 3,4,4ક,4ખ,4ગ,5,6ક ને બળજબરી/દબાણ અથવા પ્રલોભન/લાલચ અથવા કપટયુક્ત માધ્યમો વિના લાગુ પાડી શકાશે નહીં. આમ, ઉપરોક્ત સંજોગોમાં કે જેમાં લગ્ન દ્વારા વ્યક્તિને એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્માંતરિત કરવા માટે બળ, લાલચ અથવા કપટનું માધ્યમ અપનાવામાં આવેલ હોય તો તેવા ધર્મ પરિવર્તનનો હાલમાં પણ અધિનયમની કલમો મુજબ પ્રતિબંધિત રહેશે અને ઉપરોક્ત કલમો 3,4,4ક,4ખ,4ગ,5,6ક લાગુ પડશે. જ્યારે રાજય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ આ સુધારા અરજીને હાઇકોર્ટ દ્વારા સ્વીકારવામાં ન આવતાં, હાઇકોર્ટના હુકમને સુપ્રિમ કોર્ટ સમક્ષ પડ્કારવામાં આવશે.

Last Updated : Aug 27, 2021, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.