- નગરપાલિકા દ્વારા નગરજનોને ફિલ્ટર યુક્ત પાણી મળી રહે તે હેતુથી બનાવાયો છે ફિલ્ટર પ્લાન્ટ
- સાત વર્ષના વાણા વહી ગયા છતાં ફિલ્ટર પ્લાન્ટ ચાલુ ન થતાં નગરજનોનો તંત્ર સામે રોષ
- ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ દ્વારા ફિલ્ટર પ્લાન્ટ મુદ્દે પ્રાદેશિક કમિશનરને કરાઇ રજૂઆત
અમદાવાદ: ધંધુકામાં છેલ્લા સાતેક વર્ષ અગાઉ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જે આજે બિસ્માર હાલતમાં દ્રષ્ટિગોચર થાય છે. લોકોને ફિલ્ટર યુક્ત શુદ્ધ અને સ્વચ્છ પાણી મળી રહે અને પાણીજન્ય રોગોનો ઉપદ્રવ ના સર્જાય, લોકોને દૂષિત પાણીથી સ્વાસ્થ્ય ના જોખમાય તે હેતુથી ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવેલો, પરંતુ આજે ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન ભાસી રહ્યો છે. એવી તો કઈ આંટીઘૂંટીઓનું સર્જન થયું કે પાલિકા તંત્ર ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું? ફિલ્ટર પ્લાન્ટ બનતા લોકોને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી મળશે તેવી આશા ઠગારી નીવડી છે.
ફિલ્ટર પ્લાન્ટના પ્રારંભ અર્થે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાને રજૂઆત
ધંધૂકા મત ક્ષેત્રના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવવા બાબતે અગાઉ નગરપાલિકાને લેખિત રજૂઆત કરેલી તેમ છતાં ઉકેલ ન આવતા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદને લેખિત રજૂઆત ન કરતા જણાવેલું કે કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે. તેવા સમયે ધંધુકાના નગરજનો ગટરનું દૂષિત પાણી પીવાના પાણીમાં ભળતાં દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ પ્લાન્ટ ચાલુ કરવા રજૂઆત કરેલી છે.
આ પણ વાંચો: ઉર્જા પ્રધાન સૌરભ પટેલે કર્યું બોટાદમાં 8.50 કરોડના ફિલ્ટર પ્લાન્ટનું લોકાપર્ણ
વિધાનસભાના પહેલા સત્રમાં જ ફિલ્ટર પ્લાન્ટ બંધ
ધારા સભ્યના જણાવ્યા પ્રમાણે જ્યારે તેઓ વિધાનસભામાં ચૂંટાઈને આવ્યા પછી વિધાનસભાના પહેલા સત્રમાં જ આ ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવા અંગે ધારાસભામાં રજૂઆત કરેલ, વિધાનસભામાં મળતા દરેક સત્રમાં ધંધુકાના ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવવાના મુદ્દે રજૂઆત કરેલી પરંતુ આજ દિવસ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. જે ખેદજનક બાબત છે. હવે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાને લેખિત રજૂઆત કરી લોકોના હિતમાં ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવવા રજૂઆત કરેલી છે.
આ પણ વાંચો: પાટણ નગરપાલિકાએ ફિલ્ટર પ્લાન્ટ નજીકનું ગેરકાયદેસર દબાણ દૂર કર્યુ
ધંધુકા પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
નગરસેવક અમિત રાણપુરાના જણાવ્યા પ્રમાણે તેમના દ્વારા ધંધુકા પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરેલી છે. હાલ નગરના મોટાભાગના વિસ્તારોમાં ગટર મિશ્રિત પાણી મળી રહ્યું છે. જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યાં છે. સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે ત્યારે લોકો દુષિત પાણી પીવા મજબૂર બન્યા છે. નગરજન શીતલ બેન ચૌહાણએ જણાવ્યું હતું કે, ધંધુકામાં પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળે છે. પરિણામે ઘણા સમયથી દૂષિત પાણી મળી રહ્યું છે. ધંધુકામાં બનાવેલા ફિલ્ટર પ્લાન્ટને જો ચાલુ કરવામાં આવે તો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે, લોકોનું સ્વાસ્થ્ય જોખમાતું અટકી શકે તેમજ રોગચાળાથી બચી શકે.