ETV Bharat / city

અમદાવાદ-મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રાજકારણના આટાપાટામાં અટવાયો

author img

By

Published : Dec 11, 2020, 9:37 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાનો છે. જેના માટે જાપાન સાથે ટેકનિકલ કોલોબરેશન કરીને બુલેટ ટ્રેનને ભારત લાવવાની યોજના બનાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની મદદથી અમદાવાદ-મુંબઇ વચ્ચે 508 કિલોમીટર વિસ્તારમાં બુલેટ ટ્રેનની લાઇન નાખવાનું શરૂ કરી દીધું છે, પરંતુ બુલેટ ટ્રેનને રાજકારણનું ગ્રહણ લાગ્યું છે. જેથી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો છે અને હાલ અમદાવાદથી વાપી સુધી બુલેટ ટ્રેન દોડાવવા માટે ચક્રો ગતિમાન થયાં છે. જુઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર રાજકારણના ગ્રહણને લઇ ETV Bharatનો સ્પેશ્યિલ રિપોર્ટ.

અમદાવાદ-મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રાજકારણના આટાપાટામાં અટવાયો
અમદાવાદ-મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રાજકારણના આટાપાટામાં અટવાયો

  • જાપાનની મદદથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આવ્યો
  • અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનમાં 3 કલાકનો જ સમય
  • મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ તો બુલેટ ટ્રેનનું સ્વપ્ન રોળાયું

અમદાવાદઃ બુલેટ ટ્રેનના આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત રૂપિયા 1.08 લાખ કરોડ મૂકવામાં આવી હતી. જેમાંથી 81 ટકા રકમ જાપાન પાસેથી ઉછીની લેવાઇ હતી. આ પ્રોજેક્ટનું મુખ્ય લક્ષ્ય એ હતું કે ઓછામાં ઓછું ડિસેમ્બર 2023 સુધીમાં પ્રથમ પ્રવાસ શરૂ થઇ જાય. 2022માં ભારતને આઝાદ થયે 75 વર્ષ થશે, તેથી કેન્દ્ર સરકારને આશા છે કે તે વર્ષના ઓગસ્ટ મહિનામાં જ બુલેટ ટ્રેન શરૂ થઇ જશે, પરંતુ રાજકારણના આટાપાટામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખોરંભે પડી રહ્યો છે.

જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ ખાતમુહૂર્ત કર્યું હતું

2017માં જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિન્જો આબેની સાથે મળીને વડાપ્રધાન મોદીએ આ પ્રોજેક્ટ સંયુક્ત રીતે શરૂ કર્યો હતો. શિન્જો આબેએ અમદાવાદ આવીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખાતમુહૂર્ત કર્યું હતું. બુલેટ ટ્રેન કલાકના 320 કિલોમીટરની ઝડપે દોડે છે. ધ નેશનલ હાઇસ્પિડ રેલ કોર્પોરેશન (NHSRC) એવો દાવો કરે છે કે, અમદાવાદથી મુંબઇ વચ્ચેના પ્રવાસનો સમય ઘટીને 3 કલાકનો થઇ જશે. જો કે, બુલેટ ટ્રેનની લાઇનનું ભૂમિપૂજન થયું તે તારીખ પછી મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ અને ત્યાર પછી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે આવ્યા, ત્યારે તેમણે સૌપ્રથમ નિવેદન આપ્યું હતું કે મુંબઈને બુલેટ ટ્રેનની જરૂર નથી. તેમ કહીને તેમણે PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ પર પાણી ફેરવી નાંખ્યું છે. હાલ મહારાષ્ટ્ર સરકાર તરફથી કોઈ જ રિસ્પૉન્સ મળતો નથી.

મહારાષ્ટ્રમાં ખીચડી સરકાર આવી

અત્રે નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાઈ જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળી, ખીચડો થયો. ભાજપ અને શિવસેનાની યુતિ તૂટી. શિવસેનાએ સીએમ પદ માગ્યું, ભાજપે ન આપ્યું, જે પછી ભાજપ અને શિવસેના અલગથલગ થઈ ગયા. ત્યાર પછી શિવસેનાએ શરદ પવારના એનસીપી અને કોંગ્રેસનો ટેકો લઈને ગઠબંધન સરકાર બનાવી. બસ ત્યારથી મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે મોદીથી નારાજ થયાં અને તેમણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઠંડુ પાણી રેડી દીધું હતું.

બુલેટ ટ્રેન અમારી પ્રાથમિકતા નથીઃ ઉદ્ધવ ઠાકરે

વાસ્તવમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એવું એક જાહેર નિવેદન કર્યું હતું કે, બુલેટ ટ્રેન એ તેમની પ્રાથમિકતા નથી. ઠાકરેનું માનવું છે કે, વડાપ્રધાન મોદી આ પ્રોજેક્ટ માટે ખુબ જ મહત્વકાંક્ષી બન્યાં છે. તેથી તે મુંબઇ-અમદાવાદ પ્રોજેક્ટની ઉપેક્ષા કરે છે. અફવા તો એવી પણ ચાલી રહી છે કે રાજ્યના મુખ્યપ્રધાનની પ્રતિષ્ઠાના મુદ્દે જે રીતે વાત કરી રહ્યાં છે તેને જોતાં મહારાષ્ટ્રનો કયો ખેડૂત રાજ્યના ભોગે રાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે પોતાની કૃષિલાયક જમીનનું વેચાણ કરશે? તે પ્રશ્ન ઉભો થયો. મહારાષ્ટ્રમાં જમીન સંપાદન મામલે પણ ગૂંચવાડો ઉભો થયો હતો.

બુલેટ ટ્રેનની ડિઝાઈન અને કન્સ્ટ્રકશન માટે લાર્સન ટુબ્રોને કોન્ટ્રેક્ટ

19 ઓકટોબરના રોજ બુલેટ ટ્રેનના ડિઝાઈન અને કન્સ્ટ્રક્શન કામ માટેની બીડ ખોલવામાં આવી હતી. જેમાં લાર્સન ટુબ્રોએ ઓછી બીડ ભરી છે. આ કોન્ટ્રેક્ટ લાર્સન એન્ડ ટુબ્રોને આપવામાં આવ્યો હતો.

અમદાવાદ વાપી વચ્ચે બુલેટ ટ્રેનમાં ચાર સ્ટેશન

નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, આ ટેન્ડરમાં કુલ 508 કિલોમીટરમાંથી 47 ટકા વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. જેમાં ઝરોલી ગામ કે જે ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર છે, ત્યાંથી વાપી અને વડોદરા વચ્ચેનો વિસ્તાર છે. તેમાં કુલ 4 સ્ટેશન વાપી, બિલિમોરા, સુરત અને ભરૂચ તથા સુરત ડેપોનો સમાવેશ કરવામાં આવશે.

વાપીથી વડોદરા સુધીની રેલ લાઈનનું કામ વહેલું પુરું થશે

બીજી તરફ એવું ગણિત લગાવી શકાય કે, અમદાવાદ મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનને વાપીથી વડોદરા સુધીના રેલ લાઈનનું કામ વહેલું થશે. કારણ કે, મહારાષ્ટ્રમાં શિવસેના અને ત્યાંના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનો વિરોધ છે. જો કે, મહારાષ્ટ્રમાં વિરોધપક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ અંગે અગાઉ એવું જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં પણ બુલેટ ટ્રેન દોડશે, ભલે આ મુદ્દે રાજકારણ રમાતું હોય. હાલ ગુજરાતના વિસ્તારોમાં બુલેટ ટ્રેનનું કામ ઝડપી થશે અને રેલ લાઈન તૈયાર થઈ જશે પછી વાપીથી વડોદરા વચ્ચે ટ્રાયલ રન પણ થશે તેવી સંભાવના છે.

મહારાષ્ટ્રમાં સત્તા પલટાશે પછી મુંબઈ સુધી જશે બુલેટ ટ્રેન

જે હોય તે પણ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ રાજકારણમાં અટવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે માટે હાલ અમદાવાદથી વાપી સુધી બુલેટ ટ્રેન દોડાવાશે, તે નક્કી છે, પછી ભવિષ્યમાં જ્યારે મહારાષ્ટ્રમાં સત્તા પલટાશે ત્યારે તેને મુંબઈ સુધી લંબાવી દેવાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.