ETV Bharat / city

રજવાડામાં વહેંચાયેલા ભારતને એક કરનાર લોખંડી પુરૂષ સરદાર, જાણો તેમના વિશે....

author img

By

Published : Oct 31, 2021, 12:05 AM IST

રજવાડામાં વહેંચાયેલા ભારતને અખંડ રૂપ આપનાર લોખંડી પુરૂષ સરદાર
રજવાડામાં વહેંચાયેલા ભારતને અખંડ રૂપ આપનાર લોખંડી પુરૂષ સરદાર

અખંડ ભારતના શિલ્પી, સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે તેમના જીવનમાં ઘણા મોટા સંઘર્ષો કર્યા છે. ભારતને આઝાદી તેમજ રજવાડાઓમાં વહેંચાયેલા ભારતને એક કરી અખંડતાની ઈંટ રાખી ભારતને એક અમુલ્ય વારસો આપ્યો છે, ત્યારે તેમની 146મી જન્મજયંતી (Sardar Patel Birth Anniversary) પર વાંચો ETV Bharatનો વિશેષ અહેવાલ.

  • સરદારનું ગણતંત્રની લડતમાં મહત્વનું યોગદાન
  • ભારતના ગણતંત્રની લડતમાં વડાપ્રધાન પદ પણ જતુ કર્યું
  • નિઝામને કાઢી મૂકવા માટે ઓપરેશન પોલો ચલાવ્યું
  • 562 રજવાડાઓને એક કરીને ભારતને એક કર્યું
  • મિત્રોના આગ્રહના લીધે રાજકારણમાં જોડાયા

અમદાવાદઃ એક રાજકીય તથા સામાજિક અને લોખંડી નેતા એટલે સરદાર વલ્લભભાઇ પટેલ (Sardar Patel Birth Anniversary). જેમણે દેશના ગણતંત્રની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું હતું. ભારત અને સમગ્ર દુનિયામાં તે સરદારના નામથી સંબોધાય છે. તેમજ દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે. ભારતના ગણતંત્ર પર સરદારનો સિંહ ફાળો રહ્યો છે, ત્યારે ચાલો જાણીએ શું હતું તેમનું બલીદાન, ETV Bharatનો વિશેષ અહેવાલ.

સરદારનો જન્મ અને લગ્ન

સરદાર પટેલનો જન્મ ગુજરાતના નડિયાદમાં પાટીદાર જ્ઞાતિમાં થયો હતો. તેઓ ઝવેરભાઈ પટેલ અને લડબા દેવીના ચોથા સંતાન હતા. સોમાભાઈ, નરસીભાઈ અને વિઠ્ઠલભાઈ તેમના મોટા ભાઈઓ હતા. તેમના માતાપિતા ખેતી કામ સાથે જોડાયેલા હતા. તેમની ચોક્કસ કોઈ જન્મ તારીખ સામે આવી નથી, પરંતુ તેમની મેટ્રીકની પરીક્ષાના ફોર્મ પરથી તેમના જન્મ તારીખ ૩૧ ઓક્ટોબર તરીકે માનવામાં આવે છે. આ બાદ તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા હતા અને તેમના માતાપિતા ત્યાં ખેતીકામ કરીને પરિવારનું ભરણ પોષણ કરતા હતા. તેમણે તેમનું શિક્ષણ મુખ્યત્વે પોતાની રીતે જ મેળવ્યું હતું. તેઓ 18 વર્ષના થયા ત્યારે તેમના નજીકના જ ગામના 13 વર્ષીય ઝવેરબા સાથે લગ્ન થયા.

સરદારની રાજકારણની શરૂઆત

સરદાર વલ્લભભાઈ પટેલે તેમના મિત્રોના આગ્રહને કારણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. સરદાર પહેલા 1917માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધિકારી તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારબાદ તે અમદાવાદના મેયરની ચૂંટણીમાં એક મતથી હારી ગયા હતા, પરંતુ તે ફરીથી ચૂંટણીમાં એક મતથી જ જીત્યા હતા. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી હતી. તેમણે 1934 અને 1937ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. બસ ત્યારથી ભારત દેશ આઝાદ કરવાનો પાયો નંખાયો હતો.

સરદારની ભારતના રાજકીય એકીકરણ માટેની લડત

સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને એક કરવા માટે 600થી વધુ રજવાડાઓને ભારત સાથે જોડાઈ જવાની કે પછી સ્વતંત્રતા સ્વીકારવાની તક આપી હતી. ભારતીય રાષ્ટ્રીયતાવાદીઓ તેમજ આમ જનતાના ઘણા ખરા ભાગને ડર હતો કે જો આ રજવાડાઓનો સમન્વય નહીં થાય તો મોટાભાગનો જન સમુદાય તેમજ પ્રાંતો ખંડિત રહી જશે. કોંગ્રેસ તેમજ ઉપરી અંગ્રેજ અધિકારીઓનું માનવું હતુ કે રજવાડાઓને ભારતના રાજ્ય સંગઠનમાં સમન્વિત કરવાની કામગીરી સરદાર ઉત્તમ રીતે પાર પાડી શકશે. 6મે, 1947થી સરદારે રાજાઓની સાથે મંત્રણા ચાલુ કરી પોતાની વાત રજૂ કરી હતી. જેના થકી રાજાઓ ભારતની બનવાવાળી સરકાર સાથે મંત્રણા કરવા રાજી થાય તથા સંભવિત ઘર્ષણો ઉભા ન થાય તેની તકેદારી લઈ શકાઈ હતી.

મોટાભાગના રાજવીઓને વાટાઘાટોમાં સામેલ કર્યા

સરદારે બેઠકો ગોઠવીને મોટાભાગના રાજવીઓને વાટાઘાટોમાં સામેલ કર્યા હતા. આ વખતે તેમણે કહ્યું હતુ કે, કોંગ્રેસ તથા રજવાડાઓ વચ્ચે કોઈ મુળભુત તકરાર છે નહીં, છતાં તેમણે એ વાત ઉપર ભાર આપ્યો હતો કે, 15 ઓગસ્ટ 1947નાં દિવસે રજવાડાઓએ ભારતની સાથે સમન્વિત થઈ જવાનુ રહેશે. તેમણે 565 રાજવીઓને એ બાબત ઉપર સંમત કર્યા હતા કે તેમની પ્રજાની લાગણીઓ વિરુદ્ધ જઈને ભારતથી સ્વતંત્ર રહેવું તે અશક્ય જણાતું હતું, ત્યારે 3 રાજવીઓને બાદ કરતા બીજા બધા રજવાડાઓ ભારતમાં વિલીન થઈ ગયા પરંતુ જમ્મુ કશ્મીર, જૂનાગઢ તથા હૈદરાબાદના રાજાઓ સરદારની સાથે સંમત થયા નહોતા.

16 માંથી 13 પ્રતિનિધિઓએ સરદારનું નામ સુચવ્યું

1946માં કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં સરદારે નેહરુની તરફેણમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. આ ચૂંટણીમાં ચૂંટાઈ આવનારા પ્રમુખ, સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારના નેતા બનવાના હતા. જ્યારે ગાંધીજીએ 16 રાજ્યોના પ્રતિનિધિઓ તથા કોંગ્રેસને યોગ્ય ઉમેદવાર નીમવા જણાવ્યું, ત્યારે 16 માંથી 13 પ્રતિનિધિઓએ સરદારનું નામ સુચવ્યું હતું. આમ છતાં ગાંધીજીની ઈચ્છાને માન આપી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાની તક જતી કરી હતી અને ગૃહપ્રધાનની ભૂમિકામાં તેમણે કેન્દ્રીય-તંત્ર હેઠળ ભારતનું એકીકરણ કર્યું હતું, પરંતુ માત્ર નેહરુને કારણે જમ્મુ કાશ્મીરનું પુર્ણ સમન્વય બાકી રહી ગયું હતું. નેહરુના કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ, સરદારે ભારતની સંવિધાન સભાની સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારીઓને દીશા આપવા માંડી હતી.

ભારતના પ્રથમ વડાપ્રધાનનું પદ પણ જતું કર્યું

સરદાર પટેલે હૈદરાબાદના નિઝામને કાઢી મૂકવા માટે ઓપરેશન પોલો ચલાવ્યું હતું. વર્ષ 1948માં ઓપરેશન પોલો એક ગુપ્ત ઓપરેશન હતું. આ ઓપરેશન દ્વારા નિઝામ ઉસ્માન અલી ખાન આસિફને સત્તાથી અપમાનિત કરી કાઢી મૂકાયો અને હૈદરાબાદને ભારતનો ભાગ બનાવવામાં આવ્યું હતું. આમ સરદાર પટેલે ભારતને આઝાદ કરાવવામાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો હતો અને ખેડૂતો માટે પણ એનક સારા કામ કર્યા હતા. જેથી તેમને ‛સરદાર’નું બિરુદ પણ મળ્યું હતું. સરદારે ભારતના એકીકરણ અને સ્વંત્રતતા માટે અર્થાત મહેનત કરી હતી. જેમાં દેશના એકીકરણ માટે સરદારે ભારતના પ્રથમ વડાપ્રધાનનું પદ પણ જતું કર્યું હતું.

સરદાર પટેલનું નિધન

વલ્લભભાઈ પટેલ આમ તો ભારતની સ્વતંત્રતાના મુખ્ય શિલ્પી અને રક્ષક હતા અને દેશની આઝાદીને મજબૂત કરવામાં તેમનું યોગદાન અજોડ છે, ત્યારે 15 ડિસેમ્બર, 1950 ના રોજ હ્રદય રોગના હુમાલાને કારણે તેમનું અવસાન થયું હતું, તેમના વંસજોમાં પુત્ર ડાહ્યાભાઈ પટેલ અને પુત્રી મણીબેન પટેલ હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.