ETV Bharat / city

સરકાર અને તંત્રને વિનંતી છે કે તાયફાઓ છોડી પુરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરે : અર્જુન મોઢવાડિયા

author img

By

Published : Sep 13, 2021, 7:44 PM IST

ગુજરાતમાં ભાદરવો ભારે થયો છે. જામનગર અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. જેને લઈ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે.

કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા
કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા

  • કાર્યકરો સ્થાનિક તંત્ર સાથે સંપર્ક કરી રાહતકાર્યમાં જોડાઇ જાય: અમિત ચાવડા
  • વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે
  • વહિવટી તંત્ર તાકીદે ગ્રામજનોની મદદે પહોંચે તેવી નમ્ર વિનંતી: અર્જુન મોઢવાડિયા

અમદાવાદ- ગુજરાતના અનેક જિલ્લાઓમાં આભ ફાટવાના કારણે ખાનાખરાબી સર્જાઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ વરસાદની પરિસ્થિતિને લઇને કોંગ્રેસના તમામ સેવાદળના સ્વયંસેવક અને કાર્યકરોને વિનંતી કરી છે કે, સ્થાનિક તંત્ર સાથે સંપર્ક કરી રાહતકાર્યમાં જોડાઇ જાય.

સ્થાનિકોએ સ્થળાંતર કરવાનું થાય તો માલસામાનની ચિંતા કર્યા વગર કરવું

અમિત ચાવડાએ બીજી તરફ સરકારને પણ વિનંતી કરી છે કે, જે પણ રાહત કાર્ય કરવાના હોય તે શરૂ કરી દેવામાં આવે, હાલ કોઈપણ પરિવારને કોઈપણ પ્રકારની તકલીફ ન સર્જાય અને તેના સર્વે અંગે વળતર માટે એક વ્યવસ્થા અત્યારથી જ ઉભી કરવા તંત્રને પણ સૂચન કર્યું છે. સ્થાનિક લોકોને વિનંતી કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સ્થળાંતર કરવાનું થાય તો માલસામનની ચિંતા કર્યા વગર પ્રથમ સ્થળાંતર થઈ જાય જેથી જાનહાનિ ન થાય.

જામનગર અને સૌરાષ્ટ્રના અનેક ગામો સંપર્ક વિહોણા

જામનગર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પુરની સ્થિતી છે. જે અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વપ્રમુખ અર્જુન મોઢવાડિયાએ હતું કે, અતિ ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના ઘણા ગામો જળબંબાકાર થયા છે. મારી પાસે જામનગરના બાંગા અને અલીયાબાડા ગામના કેટલાક વિડીયો આવ્યા છે. વિડીયો મોકલનાર અશોક વાટલીયાના ફોનની બેટરી ડાઉન થઈ ગઈ હોવાથી તેમનો સંપર્ક કરી શકાયો નથી, પરંતુ આખુ ગામ જળબંબાકાર થઈને તાલુકા મથક અને અન્ય ગામોથી વિખુટુ પડી ગયું છે. બચાવ કાર્ય માટે ગ્રામજનો વહિવટી તંત્રનો સંપર્ક કરી રહ્યા છે, પરંતુ ભાજપના આગેવાનો અને ચુંટાયેલા પ્રતિનિધિઓ નવી સરકાર બનાવવામાં અને સરકારમાં હોદ્દાઓ મેળવવામાં અને ઉજવણી કરવામાં મસ્ત છે. રાજ્યની જનતા પ્રત્યેની પોતાની ફરજ ભુલી ચૂક્યા છે.

કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા

લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે- કોંગ્રેસ

અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતુ કે, અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોના લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા ચાતક નજરે બચાવ કાર્યની રાહમાં બેઠા છે. મારી રાજ્ય સરકાર અને વહિવટી તંત્રને વિનંતી છે કે, સરકાર બનાવવાના અને તેની ઉજવણીના કામો તો થતા રહેશે. સત્તામાં બેઠેલા લોકો રાજ્યના લોકો પ્રત્યેની પોતાની જવાબદારી ભુલી જાય તે જરા પણ યોગ્ય નથી. કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા વહિવટી તંત્ર તાકીદે આ ગ્રામજનોની મદદે પહોંચે તેવી નમ્ર વિનંતી છે.

સરકાર તાયફાઓમાં મસ્ત રહેલી છે - કોંગ્રેસ

વધુમાં ઉમેર્યુ હતું કે, જામનગરમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાથી કેટલાય વિસ્તાર બેટમાં ફેરવાઈ સંપર્ક વિહોણા બન્યા છે. આ સ્થિતી અચાનક નથી સર્જાઈ હવામાન વિભાગ અને વિવિધ ખાનગી સંસ્થાઓ દ્વારા સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જો કે, મુખ્યપ્રધાન બદલવામાં અને નવી સરકાર રચવાના તાયફામાં વ્યસ્ત રાજ્યની ભાજપ સરકાર દ્વારા રાહત અને બચાવ માટેની કોઈ આગોતરી તૈયારી કરવામાં આવી નહીં. જેના કારણે આજે અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા છે. આ માટે જવાબદાર એકમાત્ર રાજ્યની ભાજપ સરકાર છે. સત્તાના નશામાં અને તાયફાઓમાં મસ્ત ભાજપ સરકાર પોતાની જવાબારીઓ ભુલી બેઠી છે. આવી સરકારને જનતા ક્યારેય માફ નહીં કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.