ETV Bharat / city

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ખેડૂતે 700 નીલગીરી વાવી વધારાની આવક મેળવશે

author img

By

Published : Sep 22, 2020, 1:03 PM IST

ખેડૂતો પોતાના ખેતરના શેઢા ઉપર નીલગીરીના વૃક્ષો વાવીને વધારાની આવક મેળવી શકે છે. આ પ્રકારના વૃક્ષો વાવવાથી ખેતીના પાકને નુકસાનથી તેમજ સીધા પવનથી પણ બચાવી શકાય છે. ભરકુંડાના ખેડૂત સંજયભાઈ પટેલે તેમના ખેતરમાં શેઢા પર નીલગીરીનું વાવેતર કરી વધારાની આવક મેળવવાનું આયોજન હાથ ધર્યું છે.

ગુજરાતી સમાચાર
ahmedabad news

અમદાવાદ : જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભરકુંડાના ખેડૂત સંજયભાઈ પટેલે તેમના ખેતરમાં શેઢા પર નીલગીરીનું વાવેતર કરી વધારાની આવક મેળવવાનું આયોજન હાથ ધર્યું છે. સંજયભાઈ 40 વીઘા જમીન ધરાવે છે. સામાન્યપણે તેઓ ડાંગર અને ઘઉંની ખેતી કરે છે. વન વિભાગના માર્ગદર્શન હેઠળ તેમણે નીલગીરીના 700થી વધુ રોપાનું વાવેતર કર્યું છે.

સંજયભાઈએ નવ મહિના પહેલા નીલગીરીના રોપાનું વાવેતર કર્યું હતું. શેઢા પર નીલગીરીનું વાવેતર કરવા પાછળનો ઉદ્દેશ જણાવતા તેઓ કહે છે કે, ’શેઢા પર કોઇપણ પ્રકારની દવા, ખાતર કે પાણીની જરુર પડતી નથી. તેમજ વૃક્ષને વધુ માવજતની પણ આવશ્યકતા પણ નથી. આ વાવેતરનો લાભ મને 4 વર્ષે થશે. જે મારી ખેતી સિવાયની વધારાની આવક હશે.’

સંજયભાઈને વન વિભાગ તરફથી માહિતી મળી હતી કે, શેઢા-પાળા પર વૃક્ષોનું વાવેતર કરીને વધારાની આવક મેળવી શકાય છે. ત્યારબાદ તેમણે નર્સરીમાં જઈ નીલગીરીના ટીસ્યૂ કલ્ચર કરેલા રોપા લઈ તેનું વાવેતર કર્યું. વન વિભાગની નર્સરીમાંથી તે પ્રતિ છોડ રુપિયા 6 ના દરે લાવ્યા હતા.

ખેડૂતોને અપીલ કરતા કહે છે કે, આપણા ખેતરોમાં શેઢા પર જમીન પડતર રહે છે. તેનો ઉપયોગ કરીને આપણે વધારાની આવક મેળવી શકીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. ત્યારે ખેડૂતોએ પરંપરાગત ખેતી સાથે આ પ્રકારની વૈકલ્પિક ખેતી કરી વડાપ્રધાનના આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા સહભાગી થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.