ETV Bharat / city

'આગામી મુખ્યપ્રધાન પાટીદાર હોવા જોઈએ', જાણો નરેશ પટેલના આ નિવેદન બાદ શું થયું ?

author img

By

Published : Jun 17, 2021, 9:21 PM IST

Updated : Jun 17, 2021, 9:55 PM IST

દર વર્ષે વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) આવતાની સાથે જ વિવાદો શરૂ થતા હોય છે. ત્યારે 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) અગાઉ જ્ઞાતિવાદ (Casteism) ને લઈને વિવાદ ઉભો થયો છે. ખોડલધામમાંથી પાટીદાર આગેવાન નરેશ પટેલે 'આગામી મુખ્યપ્રધાન પાટીદાર હોવા જોઈએ' તેવું નિવેદન આપ્યા બાદ વિવિધ સમાજના તેમજ પાર્ટીઓના આગેવાનોએ પોતાની જ્ઞાતિના મુખ્યપ્રધાન બનાવવાની માગ કરી છે.

Casteism In Politics of Gujarat
Casteism In Politics of Gujarat

  • નરેશ પટેલના આગામી મુખ્યપ્રધાનને લઈને કરાયેલા નિવેદન બાદ સર્જાયો વિવાદ
  • જ્ઞાતિવાદ રૂપી ઉધઈ રાજકારણની ઈમારતને ખાઈ રહી છે - રાજકીય વિશ્લષક
  • જ્ઞાતિવાદને માળિયે મૂકીને મુદ્દાઓ પર રાજકારણ થાય તેમાં જ સૌનું ભલું

અમદાવાદ : 2022માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) માં ભાજપ-કોંગ્રેસ તેમજ હાલમાં જ ગુજરાતમાં સક્રિય થયેલી આમ આદમી પાર્ટીએ તૈયારીઓને શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા દરેક પક્ષ પોતાની તૈયારીઓને મજબૂતી આપતો હોય છે. તેવામાં ધાર્મિક સંસ્થા ખોડલધામ ખાતેથી નરેશ પટેલ દ્વારા 'આગામી મુખ્યપ્રધાન પાટીદાર હોવા જોઈએ' તેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ વિવિધ જ્ઞાતિના વગદાર લોકોએ પણ પોતાની જ્ઞાતિના મુખ્યપ્રધાન હોવા અંગે નિવેદનો આપ્યા હતા. જે પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે, ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદનો પગપેસારો થઈ ચૂક્યો છે.

જ્ઞાતિવાદનું ગણિત
જ્ઞાતિવાદનું ગણિત


જાણો શું હતું નરેશ પટેલનું નિવેદન…

13 જૂનના રોજ રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત ખોડલધામ મંદિરમાં ગુજરાતભરના કડવા-લેઉઆ પાટીદાર સમાજના નામાંકિત સંસ્થાઓના આગેવાનોની એક મિટિંગનું આયોજન થયું હતું. આ મિટીંગ બાદ પત્રકાર પરિષદ સંબોધતી વખતે પાટીદાર આગેવાન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, "દરેક સમાજ ઈચ્છે છે કે તેમનો મુખ્યપ્રધાન બને, તો સ્વાભાવિક છે કે પાટીદારો પણ ઈચ્છે છે કે તેમના સમાજના મુખ્યપ્રધાન હોય."

જાણો શું હતું નરેશ પટેલનું નિવેદન


નરેશ પટેલના નિવેદન પર ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા

ગત 16 જૂનના રોજ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની મુલાકાત લીધી હતી. જ્યા તેમણે નિવેદન આપ્યું હતું કે, "રાજ્યમાં જ્ઞાતિવાદનું રાજકારણ નથી ગરમાયું. ખોડલના ધામમાંથી તેમણે (નરેશ પટેલ) પોતાની લાગણી વ્યક્ત કરી હતી કે આમારા સમાજમાંથી મુખ્યપ્રધાન હોવો જોઈએ. તો સામે અમારી પણ એવી લાગણી છે કે બક્ષીપંચ, દલિત, આદિવાસી જેવા નાના સમાજમાંથી કોઈ ગુજરાતના મુખ્યપ્રધાન બને. પણ આ મુખ્યપ્રધાન પ્રજાલક્ષી હોવા જોઈએ. લોકોના પ્રશ્નોને વાચા આપનાર હોવા જોઈએ. મુખ્યપ્રધાન કોણ બનશે, એ તો છેલ્લે પ્રજા અને પાર્ટી જ નક્કી કરશે."

નરેશ પટેલના નિવેદન પર ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા


ક્ષત્રિય સમાજે પણ કરી પોતાના સમાજના મુખ્યપ્રધાન બનાવવાની માગ

ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલના નિવેદન બાદ રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી જાડેજાએ નિવેદન આપ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને મુખ્યપ્રધાન બનાવવામાં આવે. આ સાથે તેમણે કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજનો દેશની અખંડતા તેમજ વિકાસમાં સિંહ ફાળો રહ્યો છે. હાલમાં રાજકારણમાં પણ અનેક ક્ષત્રિય સમાજના આગેવાનો છે. જેમને આગામી દિવસોમાં ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવા જોઈએ.

જાણો રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી જાડેજાનું શું કહેવું છે


રાજકારણમાં જ્ઞાતિવાદની લાગી છે ઉધઈ - રાજકીય વિશ્લેષક

ગુજરાતના રાજકારણ (Politics Of Gujarat) વિશે રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલનું માનવું છે કે, ગુજરાતના રાજકારણની ઈમારત પર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ્ઞાતિવાદ (Casteism) ની ઉધઈ લાગી જતી હોય છે. જે ગુજરાત માટે સારી બાબત નથી. કારણ કે, ગુજરાતમાં રાજકારણ જ્ઞાતિવાદ વગર લડવામાં આવવું જોઈએ પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના રાજકારણ પર જ્ઞાતિવાદની ઉધઈ લાગી ગઈ છે. દરેક જ્ઞાતિને એક એવા પ્રકારની ઇચ્છા રહેલી હોય છે કે રાજ્યમાં મુખ્યપ્રધાન તો પોતાની જ જ્ઞાતિના હોવા જોઈએ. તેઓનું આ વિચારવા પાછળનું કારણ એ છે કે, જો તેમની જ્ઞાતિના મુખ્યપ્રધાન આવશે તો તે જ્ઞાતિ વિશે વધુ વિચારશે.

જાણો રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલનું શું કહેવું છે


ગુજરાતના સ્થાનિક મુદ્દા પર થવું જોઈએ રાજકારણ

ગુજરાતના રાજકારણ(Politics Of Gujarat) માં જ્ઞાતિવાદના સમીકરણો પર ચૂંટણીઓ લડવામાં આવતી હોય છે. જેમાં અલગ અલગ જ્ઞાતિ પોતાની અલગ રણનીતિને આધારે ચૂંટણી લડતી હોય છે. તેવામાં એક નવો ચહેરો ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કર્યો છે. જેણે હાલમાં ચાલી રહેલા જ્ઞાતિવાદ (Casteism) ના વાવરથી દૂર રહીને ગુજરાતના લોકોને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર રાજકારણ કરવાની વાત કરી છે. જોકે, ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદ અનેક જ્ઞાતિઓને નુક્સાન કરી રહ્યું છે. જેની જગ્યાએ ગુજરાતના રાજકારણમાં ગુજરાતને લાગતા-વળગતા મુદ્દાઓ જેવા કે શિક્ષણ, બેરોજગારી, ભાવવધારો, આરોગ્ય સેવા, માળખાગત સુવિધાઓ સહિતના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવે તો ગુજરાતની જનતાને ચોક્કસ નવો વિકલ્પ અને કંઈક ફાયદો થઈ શકે છે.

ગુજરાતના રાજકારણના અન્ય સમાચાર -

બાપુની ઘરવાપસી: શંકરસિંહ વાઘેલા જોડાઈ શકે છે કોંગ્રેસમાં

ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ, ભાજપની બેઠક, AAP તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે, કૉંગ્રેસ જાહેર કરશે નવા પ્રદેશ પ્રમુખ

15 જૂનના રોજ યોજાશે ભાજપના ધારાસભ્યોની બેઠક

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનવા નેતાઓના ધમપછાડા, હાર્દિક પટેલને દિલ્હીનું તેડું

Last Updated : Jun 17, 2021, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.