ETV Bharat / city

ગુજરાતમાં અશાંત ધારો શા માટે ? તેનાથી શું થશે ફાયદો ?

author img

By

Published : Jul 28, 2021, 9:43 PM IST

Updated : Jul 28, 2021, 10:06 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( Chief Minister Vijay Rupani )એ સુરતના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં અશાંત ધારાની મુદત વધુ 5 વર્ષ લંબાવી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. શું છે આ અશાંત ધારો ( Ashant Dharo ) ? કોને લાગુ પડે છે ? તેનાથી શું ફાયદો થાય છે? વિગેરે બાબતો માટે ETV Bharatનો વિશેષ અહેવાલ…

ગુજરાતમાં અશાંત ધારો
ગુજરાતમાં અશાંત ધારો

  • ગુજરાતમાં અશાંત ધારો 1991થી અમલી
  • વખતોવખત તેમાં સુધારા વિધેયક આવ્યા
  • અમદાવાદમાં કુલ 873 વિસ્તારોમાં અશાંત ધારો લાગું

અમદાવાદ : ગુજરાતમાં 1969 અને 1985-86માં કોમી તોફાનો થયા હતા, જેમાં સૌથી વધુ કોમી રમખાણો અમદાવાદમાં થયા હતા, ત્યારે હિન્દુ પરિવારોએ શહેર વિસ્તારોમાંથી મકાનોનું સ્થળાંતર કરીને શહેરની બહાર સલામત વિસ્તારમાં આવી ગયા હતા. આ ઉપરાંત, લઘુમતી સમાજના લોકોએ શહેર વિસ્તારમાં મકાનો ખરીદીને ત્યાં વસવાટ શરૂ કર્યો હતો. રમખાણવાળા વિસ્તારોમાં મિલકતોનું ખરીદ વેચાણ અટકાવવાના આશયથી રાજ્ય સરકારે( Chief Minister Vijay Rupani ) 1991માં અશાંત ધારો લાવ્યા હતા. તે બાદ વખતોવખત જેમ જેમ જરૂર પડી તેમ તેમ તેમાં સુધારા વધારા કરવામાં આવતા હતા. હાલ વધુ નવા વિસ્તારોને અશાંત ધારા ( Ashant Dharo )માં સમાવી લેવામાં આવ્યા છે.

ગુજરાતમાં અશાંત ધારો

કોમી રમખાણોવાળા વિસ્તારોમાં અશાંત ધારો લાગું

અશાંત વિસ્તારો કે જે વિસ્તારમાં કોમી તોફાનોના બનાવ બન્યા હતા, તેવા વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે છે, તેમજ ખોટી કનડગત કે હેરાનગતિ ન થાય, ધાકધમકીથી મિલકતો પચાવી ન પાડે અને નાગરિકોની શાંતિ અને સલામતી જોખમાય નહી તે માટે અશાંત ધારો લાવવામાં આવ્યો હતો. કોઈ એક ચોક્કસ સમુદાયના લોકોની ખૂબ વસ્તી વધી ન થાય અને ખાસ કરીને એક ધાર્મિક સમુદાય બીજા ધાર્મિક સમુદાયને મિલ્કત વેચી ન જાય તે પ્રકારની મિલકતને તબદિલી નિયંત્રિત કરતો કાયદો એ અશાંત ધારો કહેવાય છે. આવા વિસ્તારમાં મિલકતની તબદિલી માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડે છે.

અશાંત ધારાના ભંગ બદલ સજાની શું જોગવાઈ ?

અશાંત ધારાનો ભંગ સાબિત થાય તો 3થી 5 વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાની દંડની જોગવાઈ છે, અથવા તબદિલ થયેલી મિલકતના જંત્રીના ભાવના 10માં ભાગની રકમમાંથી જે વધુ હોય તે દંડ પેટે ભોગવવાની રહે છે.

1991માં ચીમનભાઈ પટેલે અશાંત ધારામાં સુધારા કર્યા

ગુજરાત કોમી રમખાણોનો ઈતિહાસ ધરાવે છે. 1991માં પૂર્વ મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલે 1986ના અશાંત ધારામાં કેટલાક સુધારા સાથે તેને લાગુ કરવાની સત્તાવાર જાહેર કરી હતી. 2002ના ગોધરાકાંડ બાદ વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વર્ષ 2022 સુધી ગોધરામાં પણ અશાંત ધારો લાગુ કર્યો હતો.

બે વર્ષ અગાઉ સુધારા વિધેયક પસાર થયું

બે વર્ષ અગાઉ ગુજરાત વિધાનસભામાં અશાંત ધારો 1991નું સુધારા વિધેયક આવ્યું હતું, તે સર્વાનુમતે પસાર થયું હતું. આ અશાંત ધારા અનુસાર જે મિલકત તે વિસ્તારમાં પૂર્વ મંજૂરી વગર એક ધાર્મિક સમુદાય બીજા ધાર્મિક સમુદાયની વ્યક્તિને ટ્રાન્સફર કરી શકતી નથી. હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, હિમંતનગર, ગોધરા અને કપડવંજ જેવા વિસ્તારોમાં આ ધારો લાગુ થયો છે. નવા વિધેયક અનુસાર અશાંત વિસ્તારની ફરતે 500 મીટરની જગ્યામાં પણ આ જોગવાઈઓ લાગુ રહેશે.

ગુજરાતમાં અશાંત ધારો
ગુજરાતમાં અશાંત ધારો

બે વર્ષ અગાઉ અમદાવાદના 764 વિસ્તારો અશાંત ધારા હેઠળ

બે વર્ષ અગાઉ અમદાવાદ શહેરના 764 વિસ્તારોને અશાંત ધારા હેઠળ આવરી લેવાયા હતા, આવા વિસ્તારમાં સંપત્તિની લે-વેચ પર સરકારની નજર રહેશે. આ ઉપરાંત, એક વિસ્તાર પર કોઈ એક ધાર્મિક સમુદાયનો કબજો ન થઈ જાય તેનું પણ નિયંત્રણ રહેશે. સરકારની મંજૂરી વગર થયેલી મિલકતની લે-વેચ ગેરકાયદે ગણાય છે. પાવર ઓફ એટર્ની દ્વારા પણ મિલકત લે-વેચ કરી શકાશે નહી.

નારોલ અને વટવા 30 જૂન, 2023 સુધી અશાંત ધારા હેઠળના વિસ્તાર

ગુજરાત સરકારે એક વર્ષ અગાઉ નારોલ અને વટવા પોલીસ સ્ટેશન હેઠળના કુલ 109 વિસ્તારમાં પણ અશાંત ધારો 3 વર્ષ માટે લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. નારોલ અને વટવા વિસ્તારોમાં 30 જૂન, 2023 સુધી અશાંત ધારો લાગું કરવામાં આવ્યો છે. આમ અમદાવાદમાં કુલ 873 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ છે.

આ કાયદા અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં કેટલા કેસ આવ્યા ?

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં 27,044 કેસો આ ધારા અંતર્ગત આવ્યા છે. જેમાંથી 26,010 અરજીઓનો નિકાલ કરાયો છે. જેમાં ચાલુ વર્ષની 1034 અરજીઓ પેન્ડિંગ છે. સરકારને આ કેસોથી 5,40,880 રૂપિયાની રેવન્યુ પ્રાપ્ત થઈ છે. અરજી નિકાલનો સામાન્ય સમય એક મહિનાનો હોય છે. જે કેસ પ્રમાણે 90 દિવસ સુધો લંબાવી શકાય છે. છેલ્લા એક વર્ષમાં અશાંત ધારા અંતર્ગત એક જ કોમની હોય તેવી 8,828 અરજીઓ આવી છે. જ્યારે ભિન્ન કોમની હોય તેવી 351 અરજીઓ આવેલી છે.

ગુજરાતમાં અશાંત ધારો
ગુજરાતમાં અશાંત ધારો

કેવી રીતે રજૂ કરી શકાય છે કેસ ?

સામાન્યતઃ જે વિસ્તારમાં એક ધર્મના વ્યક્તિ બીજા ધર્મના વ્યક્તિને પ્રોપર્ટી વેચવા માગતો હોય, ત્યાં રજિસ્ટ્રારની ઓફિસમાં મહેસુલ ભવન ખાતે તેની નોંધણી કરાવવાની રહે છે. જેની અરજી પર કલેક્ટર નિર્ણય લે છે. જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશન દ્વારા તેની તપાસ કરવામાં આવે છે. જેનો રિપોર્ટ ઉચ્ચ પોલીસ અધિકારીને મોકલી અપાય છે. જે રિપોર્ટ કલેક્ટરને આપવામાં આવે છે. તેના આધારે કલેક્ટર તે અરજીનો નિકાલ કરે છે.

આ ધારાથી પ્રોપર્ટીના ખરીદ-વેચાણમાં પળોજણ વધી

આ ધારા બાબતે ઓલ ઇન્ડિયા મજલિસે મુસલમિનના ગુજરાત પ્રવક્તા દાનીશ કુરેશીએ, ETV Bharatને જણાવ્યું હતું કે, ખરેખરમાં આ કાયદો બંધારણની વિરુદ્ધ છે. આ મુદ્દે 1991માં તત્કાલીન અમદાવાદ કલેક્ટરે રાજ્યના મુખ્ય સચિવને પત્ર પાઠવ્યો હતો. સમાન્યતઃ જ્યારે આ ધારો લાગુ ન હતો ત્યારે અમદાવાદના 16 પૈકી દરેક ઝોનમાં દર વર્ષે 12થી 15 હજાર જેટલી પ્રોપર્ટી વેચાણની નોંધણી થટી હતી. જે આજે ઘટીને તમામ ઝોનની થઈને 25 હજાર જેટલી જ થાય છે.

પોલિટિકલ લાભ લેવા માટે બન્યો કાયદો ?

દાનીશ કુરેશીએ ETV Bharatને જણાવ્યું હતું કે, ખરેખર આ કાયદો પોલિટિકલ લાભ મેળવવા માટે બનાવવામાં આવેલો છે. જેનાથી જુદા-જુદા ધર્મો વચ્ચે ખાઈ થઇ રહી છે. આ કાયદાથી સરકારને પણ ફાયદો નથી. કારણ કે, તેનાથી મહેસૂલી આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. વળી આ પ્રકારના કાયદામાં અનેક પ્રકારની પરમિશનની જરૂર હોવાથી ભ્રષ્ટાચાર પણ વધ્યો છે. અલગ-અલગ ધર્મના કિસ્સામાં તો 99 ટકા કેસોમાં વેચાણની પરમીશન અપાતી જ નથી.

વકીલોને ઘી-કેળા

પ્રોપર્ટી ખરીદવાની પ્રક્રિયા જટિલ બની ગઈ છે. સામાન્યતઃ ખરીદનાર અને વેચનાર વ્યક્તિ પોતાના નામથી અરજી કરતા હોય છે, પરંતુ કાયદાની જટિલતાને જોતા તેઓ એડવોકેટ મારફતે તેના જ નામથી અરજી કરવાનું પસંદ કરતા હોય છે. પરિણામે ભ્રષ્ટાચાર પણ વધ્યો છે.

સરકારી કચેરીમાં ધક્કા વધ્યા

આ મુદ્દે બોલતા સોશિયલ એક્ટિવિસ્ટ છે શહેનાઝ શેખે ETV Bharatને જણાવ્યું હતું કે, આ કાયદો ખૂબ જ અટપટો છે. લોકોએ એક સરકારી કચેરીથી બીજી કચેરીએ ધક્કા ખાવા પડે છે. દરેક ધર્મના લોકો પ્રોપર્ટીની ખરીદ-વેચાણ કરતા હોય છે. જેથી આ કાયદો દૂર થાય તો દરેક ધર્મના લોકોને ફાયદો થાય.

Last Updated :Jul 28, 2021, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.