ETV Bharat / city

ગુજરાતમાં ભાજપે વિકાસના કામને પ્રાધાન્ય આપીને ચૂંટણી પ્રચારની કરી શરૂઆત, નબળી કોંગ્રેસનો સીધો લાભ ‘આપ’ને મળશે?

author img

By

Published : Jul 15, 2021, 9:35 PM IST

Updated : Jul 15, 2021, 10:03 PM IST

ગુજરાતમાં ભાજપે વિકાસના કામને પ્રાધાન્ય આપીને ચૂંટણી પ્રચારની કરી શરૂઆત
ગુજરાતમાં ભાજપે વિકાસના કામને પ્રાધાન્ય આપીને ચૂંટણી પ્રચારની કરી શરૂઆત

ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તે અગાઉ ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ છે, અને ગુજરાત સરકારે વિકાસના કામોમાં તેજ રફતાર આપી છે. આ વિકાસ કામો પર 2022માં પ્રજા પાસે ફરીથી મત માંગી શકાય. ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ…

  • ગુજરાતમાં વિકાસના કામોના લોકાર્પણને અગ્રતા
  • અઘુરા વિકાસના કામોમાં ઝડપ કરવા આદેશ
  • ડીસેમ્બર, 2022 પહેલા મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરાશે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017માં યોજાઈ ત્યારે ભાજપને 99 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો, અને સામે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. ફાયદા નુકસાનની વાત કરીએ તો 2017માં ભાજપને 16 ટકાનું નુકસાન થયું હતું અને કોંગ્રેસને 16 ટકાનો ફાયદો થયો હતો. 182 બેઠકોની વિધાનસભાની ચૂંટણી હવે 2022માં આવી રહી છે, ત્યારે હવે ગુજરાતમાં ભાજપ પક્ષની સરકારે વિકાસના કાર્યો કરીને પ્રજા સમક્ષ તેના ગુણગાન ગાવા માટે તખ્તો તૈયારી કરી દીધો છે.
કેન્દ્રમાંથી આદેશ છે કે 2022 પહેલા વિકાસના કામ પૂર્ણ કરો
હવે 2022માં ભાજપ કોંગ્રેસની સાથે હવે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી હશે. એટલે કે ત્રિપાંખિયો જંગ ખેલાશે. માટે ભાજપ માટે 2022માં કપરા ચઢાણ થાય તેવી સંભાવનાઓ હાલ ઉભી થતી દેખાઈ રહી છે. માટે ગુજરાત સરકારે આગોતરા આયોજનના ભાગરૂપે આદરેલા વિકાસના કામોને ઝડપી પુરા કરવા માટેના કેન્દ્રમાંથી આદેશો આપ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવીને ગયા, તેમણે પણ સરકારી અધિકારીઓને અને પ્રધાનોને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે અધુરા રહેલા વિકાસના કામોને ગતિ આપે, અને 2022 પહેલા પૂર્ણ કરે. તેના ભાગરૂપે જ સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દર પંદર દિવસે વિકાસના કામોની સમીક્ષા કરી રહ્યા છે.
ગાંધીનગર અને અમદાવાદમાં નવા પ્રકલ્પોનું ઉદઘાટન પીએમ મોદી કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જૂને ગાંધીનગરમાં બનેલ ફાઈવ સ્ટાર હોટલ અને ગાંધીનગર રેલવે સ્ટેશન તેમજ વડનગર રેલવે સ્ટેશન તેમજ અમદાવાદના સાયન્સ સિટીમાં બનેલ નવા પ્રકલ્પોનું વર્ચ્યુલી ઉદઘાટન કરશે. ગાંધીનગરમાં બનેલ હોટલ અને રેલવે સ્ટેશન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેમજ સાયન્સ સિટીમાં બનેલ એકવાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક પણ વર્લ્ડ કલાસ બનાવવામાં આવી છે. 127 કરોડના ખર્ચે 11 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં રોબોટિક ગેલેરી બનાવાઈ છે. આ રોબોટિક ગેલેરીમાં 79 પ્રકારના લગભગ 200થી વધુ રોબોટ મુકાયા છે. આ પ્રકલ્પોનું ઉદઘાટન કરવા વડાપ્રધાન ખુદ આવવાના હતા, પણ વ્યસ્તતાને કારણે તેઓ આવી શકે તેમ નથી, જેથી વર્ચ્યુલી ઉદઘાટન કરીને જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે.
અમદાવાદ અને સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરાશે?
તદઉપરાંત અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, કોરોનાની બીજી લહેર જેવી પૂર્ણ થવા આવી અને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના કામમાં ઝડપ આવી છે. વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધીનો ફેઝ ચાલુ થયો છે, પણ એપરલ પાર્કથી થલતેજ અને નારોલથી સાબરમતી સુધીના ટ્રેકનું કામ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. સુત્રોના કહેવા પ્રમાણે ડીસેમ્બર 2022 પહેલા મેટ્રો ટ્રેનનો સેકન્ડ ફેઝ ચાલુ કરી દેવાશે. સુરતમાં પણ મેટ્રોનું કામ ચાલે છે અને ત્યાં સરથાણાથી ડ્રીમ સિટી સુધીના ફર્સ્ટ ફેઝનું કામ ચાલી રહ્યું છે, અને ડિસેમ્બર 2022 સુધી ટ્રાયલ રન લેવાશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ ઝડપી થઈ રહ્યું છે
બીજી તરફ અમદાવાદ-મુબંઈ વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તે પ્રોજેક્ટમાં જાપાનનો સહયોગ છે. તેના કામમાં ખૂબ ઝડપ આવી છે. જો કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠકારે સરકારના વિરોધને કારેમ મહારાષ્ટ્ર સાઈડમાં કામ અટક્યું છે. પણ પહેલા ફેઝમાં અમદાવાદથી વલસાડ સુધી શરૂ કરાશે, તેવી જાહેરાત કરાઈ છે અને તે માટે જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું છે.
રોડના કામોમાં પણ ઝડપ આવી છે
ત્રીજુ અમદાવાદમાં સરખેજથી ગાંધીનગર સિક્સ લેનનું કામ ચાલે છે. તે રૂટ પર ચાર ઓવર બ્રિજનું લોકાર્પણ થઈ ગયું છે. અને બીજા ત્રણ બ્રિજનું કામ ચાલે છે. સરખેજ ગાંધીનગર જવાના રોડ પર કયાંય ચાર રસ્તા પર સીગ્નલ પર ઉભા નહી રહેવું પડે. સરખેજથી ગાંધીનગરનો રૂટ 33 કિલોમીટરનો છે, જે ખૂબ જ ઓછા સમયમાં અને ટ્રાફિક વગર પહોંચી શકાશે. ચોથુ અમદાવાદ રાજકોટ વચ્ચે ફોર લેનનું કામ ચાલે છે. તેનું કામ હાલ ધીમું ચાલી રહ્યું છે. પણ 2022 ડીસેમ્બર પહેલા રાજકોટ અમદાવાદ વચ્ચેના ફોર લેન શરૂ કરવાનું આયોજન છે.
ધોલેરા ‘સર’ને પ્રમોટ કરાઈ રહ્યું છે
ધોલેરામાં આતરરાષ્ટ્રીય એરપોર્ટ સ્થાપવાની જાહેરાત કરાઈ ચુકી છે. ધોલેરા સરમાં બીજા ઉદ્યોગો સ્થપાય તે માટે ગુજરાત સરકારે ધોલેરા સરનું પ્રમોશન શરૂ કર્યાના અહેવાલો છે. તે સિવાય અનેક નાના મોટા વિકાસના કામો ચાલી રહ્યા છે, તેને ઝડપથી પુરા કરવા માટે ગુજરાત સરકારે અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. વિશ્વની કોઈ મોટી કંપની ધોલેરામાં પ્રોજેક્ટ નાંખે તેવી વાત છે.

વિકાસનો મુદ્દો ચૂંટણીમાં ગાજશે?
ગુજરાતમાં સત્તા સ્થાને રહેલી ભાજપ વિકાસના મુદ્દાને મજબૂત રીતે આગળ લઈ જઈને 2022ની ચૂંટણીમાં તેને એનકેશ કરી શકે છે, ચૂંટણીપ્રચારનો મુદ્દો પણ બનાવશે. ભાજપને અત્યાર સુધી હિન્દુત્વાદી છબી અને વિકાસના મુદ્દા પર મત મળ્યા છે, અને 2022માં પણ આ બે મુદ્દાને આગળ કરીને પ્રજા પાસેથી મત માંગશે તેમાં કોઈ શંકા નથી. તેમ છતા આગામી ચૂંટણી ભારે રસાકસી ભરી બનશે.
કોંગ્રેસમાં એક સાંઘો તો તેર તૂટે તેવી સ્થિતિ
સામે કોંગ્રેસમાં એક સાંઘો તો તેર તૂટે તેવી સ્થિતિ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કારમી હાર પછી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હતું. ત્રણ મહિના વીતી ગયા છતાં નવા પ્રમુખ કે વિપક્ષના નેતાનું નામ હાઈકમાન્ડ નક્કી કરી શકી નથી. બીજી તરફ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાં સાવ નિરસ છે, તેમને કોઈ ગણકારતું નથી. કોંગ્રેસના અગ્રણી નેતાઓમાં કોઈ મનમેળ નથી, અને અસંતોષ ખૂબ છે. કાર્યકર્તાઓ પાર્ટીના નેતાઓથી નારાજ છે.
નબળી કોંગ્રેસનો સીધો લાભ આમ આદમીને થશે
કોંગ્રેસ પાસે કોઈ સબળ રીતે નેતૃત્વ કરી શકે તેવા વ્યક્તિ નથી. શંકરસિંહ વાઘેલાને કોગ્રેસમાં લાવવાની વાત ચાલે છે, પણ હાઈકમાન્ડ શંકરસિંહથી નારાજ છે, સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલના અવસાન પછી કોંગ્રેસમાં હાઈકમાન્ડ અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે મોટી ખાઈ સર્જાઈ છે. તે જગ્યા હજી પુરી કરી શકાઈ નથી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું આફટર કોવિડ નિધન થયું, ત્યાર પછી પ્રભારી પણ નિમાયા નથી. એટલે કે ગુજરાત કોંગ્રેસમાં સાવ નિરાશાજનક માહોલ છે, અને તેનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને જશે, તેવી શકયતાઓ છે.
2022ની વિધાનસભામાં આમ આદમીના ધારાસભ્યો હશે
આમ આદમી પાર્ટીએ સુરતથી પગપેસારો કર્યો છે. 27 કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા પછી તેમના જોશ આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર લડવાનો નિર્ધાર કર્યો છે. કોર્પોરેશનની ચૂંટણી પછી આમ આદમી પાર્ટીમાં જોડાનારી સંખ્યા ત્રણ ગણી વધી છે. પત્રકાર ઈશુદાન ગઢવી, ઉદ્યોગપતિ મહેશ સવાણી, એક્ટર વિજય સુંવાળા જેવા અનેક મોટા માથા ‘આપ’માં જોડાઈ રહ્યા છે. નબળી કોંગ્રેસનો સીધો લાભ આમ આદમી પાર્ટી લઈ જઈ રહી છે, અને આગામી 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધારાસભ્ય બનશે. વિધાનસભામાં એન્ટ્રી નક્કી છે.
એકલી વિકાસની રાજનીતિ નહી ચાલે
આમ 2022માં ત્રિપાંખિયો જંગ થશે, તેમાં ભાજપે નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડશે, આમ જનતાના કામ કરવા પડશે. એકલી વિકાસની રાજનીતિ પણ નહી ચાલે. કોરોના પછી મંદી અને મોંઘવારી પર કાબુ મેળવવો પડશે તો જ ભાજપને મત મળશે તે પણ હકીકત છે. ભાજપ પક્ષે થોડુક ચિંતન તો કરવું જ પડશે.

આ વખતે પણ વિકાસના મુદ્દે જ ચૂંટણી લડાશે : યગ્નેશ દવેસ્ટેટ મીડિયા કન્વીનર, ભાજપ.

ભારતીય જનતા પાર્ટીના સ્ટેટ મીડિયા કન્વીનર યગ્નેશ દવેએ ETV Bharatને જણાવ્યું કે "વિકાસના મુદ્દે જ ચૂંટણી લડતી આવી છે. આ વખતે પણ વિકાસના મુદ્દે જ ચૂંટણી લડાશે કોરોના કાળમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલા કાર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરાયેલા કાર્યો. 80 કરોડ લોકોને નિઃશુલ્ક અનાજ વિતરણ થયું, કોરોના કાળ દરમિયાન અપાયેલ મેડીકલ સેવાઓ, વેક્સિન વગેરે મુખ્ય મુદ્દાઓ રહેશે."

વિકાસના નામે ભાજપાને લોકો ઘરે મોકલશે તે વાત નક્કી : મનીષ દોશી

ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશીએ ETV Bharatને જણાવ્યું કે "મંદી મોંઘવારી અને મહામારીમાં સરકાર લોકોને રાહત આપવાની જગ્યાએ વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. એક તરફ લોકો હેરાન પરેશાન છે. મહામારીમાં સામન્ય જનતાએ ક્યાંક જીવ ગુમાવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. તેવામાં ખેડૂતોને શું મળ્યું? શિક્ષણની વાત કરીએ તો ત્યાં કયો વિકાસ થયો? આરોગ્યના નામે ઈન્ફ્રાસ્ટ્રક્ચર શૂન્ય છે. તો ગુજરાતમાં આ વખતે વિકાસના નામે ભાજપાને લોકો ઘરે મોકલશે તે વાત નક્કી છે. ગુજરાતની જનતાએ શિક્ષણ, આરોગ્ય અને પાયાની જરૂરિયાત જોઈએ છે. હવે ગુજરાતની જનતા ભાજપને સારી રીતે જાણી ગઈ છે. ૨૦૨૨ના ઇલેક્શનમાં ભાજપ વિકાસ અથવા ખરીદ પરતની રાજનીતિના હડકાંડા અપનાવે પરંતુ કોઈ પણ પ્રકારે પ્રજા ભાજપને સફળ થવા નહિ દે."

૨૦૨૨ની ચૂંટણીમાં દિલ્લીના વિકાસ મોડલનો ગુજરાતમાં પ્રચાર : ભેમાભાઈ ચૌધરી

આમ આદમી પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ ભેમાભાઈ ચૌધરીએ ETV Bharatને જણાવ્યું કે "ગુજરાતમાં ભાજપ વિકાસની પાછળ દોડી રહ્યું છે. પરંતુ કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં આ પ્રકારે વિકાસ કર્યો હોત તો કદાજ સાચી દિશામાં મોદી સરકારે વિકાસ કર્યો તેવું માની શકાય પરંતુ મોદી સરકાર માત્ર વિકાસના ગુણગાન ગાઈ રહ્યું છે. મંદી મહામારીની જ્યારે વાત આવે ત્યારે તેઓ ભાગી રહ્યા છે. ગુજરાતમાં લોકો બેરોજગાર થઈ રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીના દિલ્લીના વિકાસને જોવા માંગી રહી છે. આગામી ૨૦૨૨માં ચોક્કસ દિલ્લીના વિકાસ મોડલને લઈ ગુજરાતમાં પ્રચાર કરવામાં આવશે જેને ગુજરાતની જનતા સારી રીતે આવકારશે એટલે ભાજપને કોઈ ને કોઈ પ્રકારે ભ્રામકતા ફેલાવવા જોઈએ છે ખરો વિકાસ તો ગુજરાતમાં થઇ જ નથી રહ્યો."

ભરત પંચાલ બ્યૂરો ચીફ, ઈ ટીવી ભારત, ગુજરાત

Last Updated :Jul 15, 2021, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.