108 Ambulance : કપરા વરસાદી માહોલ વચ્ચે 29,000થી વધુ દર્દીઓને આ કર્મીઓએ હેન્ડલ કર્યાં

author img

By

Published : Jul 16, 2022, 7:03 PM IST

108 Ambulance : કપરા વરસાદી માહોલ વચ્ચે 29,000થી વધુ દર્દીઓને આ કર્મીઓએ હેન્ડલ કર્યાં

રાજ્યમાં સપ્તાહભર આપણે વિવિધ વિસ્તારોમાં મેઘકહેરનો અનુભવ કર્યો. એવામાં શહેર હોય કે ગામ, ઠેકઠેકાણે તબીબી સારવારની જરુર પડે તેવી પરિસ્થિતિઓ સામે એવી હતી. આ સમયે 108 એમ્બ્યુલન્સ (108 Ambulance) સેવાએ રંગ રાખ્યો છે. 7 દિવસમાં આ સેવાએ 29,000થી વધુ દર્દીઓને સમયસર હોસ્પિટલે પહોંચાડી જીવ બચાવ્યાં હતાં.

અમદાવાદ- મોતના મુખમાં ધકેલાઇ ગયેલા માણસને ફરી નવજીવન આપતી સંજીવની કદાચ માનવજાતિએ નથી જોઇ, પરંતુ આજના સમયમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 108 એમ્બ્યુલન્સ (108 Ambulance) સેવાએ સંજીવની કરતા લગીરેય ઊણી ઉતરે એવી નથી. શહેર હોય કે ગામ, રાત હોય કે દિન, ટાઢ હોય કે તડકો આ સેવા શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં અગણિત લોકોને નવજીવન આપી ચૂકી છે. અસંખ્ય લોકોના દુ:ખી ચહેરા પર જીવન આશાનું કિરણ રેલાવી ચૂકી છે. હજુય અહર્નિશ પણે એ જ માનવ સેવાનું દાયિત્વ નિભાવી રહી છે.

ભરાયેલાં પાણી વચ્ચે સતત કામગીરી
ભરાયેલાં પાણી વચ્ચે સતત કામગીરી

7 દિવસમાં જ 29,000થી વધુ દર્દીઓ હોસ્પિટલ પહોંચાડ્યાં- છેલ્લાં 7 દિવસથી રાજ્યભરમાં પડી રહેલા ભારે વરસાદની વચ્ચે પણ 108 એમ્બ્યુલન્સ (108 Ambulance) સેવાની ઉડીને આંખે વળગે એવી કામગીરી જોવા મળી રહી છે. છેલ્લાં 7 દિવસમાં જ 29,000થી વધુ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડીને 108 એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઇ છે. 108ના સ્ટાફે કર્તવ્યનિષ્ઠાથી આજે પણ ગુજરાતના કોઇપણ ખૂણે આરોગ્યની મુસીબતની પળોમાંથી પસાર થઇ રહેલા લોકોને સંકટની ઘડીએ જ્યારે ઘરના આંગણે તાબડતોબ 108 આવીને ઊભી રહે છે ત્યારે રાહતનો અહેસાસ થાય છે.

રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે અનેક ઇમરજન્સી ઊભી થઈ હતી
રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે અનેક ઇમરજન્સી ઊભી થઈ હતી

800થી વધુ એમ્બ્યુલન્સ - આકસ્મિક પરિસ્થિતિમાં જીવાદોરી સમાન 108ની (108 Ambulance) સેવાથી રાજ્યના તમામ નાગરિકો વાકેફ છે. અકસ્માત, કુદરતી કે કૃત્રિમ આફતો વખતે માનવ જીવોના સંરક્ષણ માટે 108 એમ્બ્યુલન્સની સેવા ખૂબ ઝડપી અને સંજીવની સમાન મનાય છે. ગુજરાતમાં 2007માં તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી. આ 108ની નિશુલ્ક સેવા આજે રાજ્યમાં આપાતકાલિન સ્થિતિમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 800થી વધુ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાતદિવસ કાર્યરત છે.

7 દિવસમાં 29000 હજાર દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યાં
7 દિવસમાં 29000 હજાર દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યાં

સગર્ભાઓ માટે ખાસ કાળજી - 108 GVK EMRIના ચીફ ઓપરેટિંગ ઓફિસર (108 Chief Operating Officer of GVK EMRI) જશંવત પ્રજાપતિ જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલના સમયમાં સમગ્ર રાજ્યના તમામ 257 તાલુકા, 18,000 જેટલા ગામો, 33 જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ આ 108ની (108 Ambulance) સેવાનું માળખું ફેલાયેલુ છે. ગણતરીની મિનિટમાં ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત, બિમાર કે ભોગ બનનાર વ્યક્તિ કે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર પુરી પાડવાનું કામ કરે છે. સગર્ભાઓને પ્રસૂતિ દરમિયાન ઝડપી ઘર સુધી પહોંચી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું અને તેને પીડાવિહિન પ્રસૂતિ કરાવવામાં આ 108ની સેવા ખૂબ મદદરૂપ બની છે.

આ પણ વાંચોઃ આ જિલ્લામાં કે 108 એમ્બ્યુલન્સ સૌથી ઓછા સમયમાં પહોંચે છે સ્થળ પર, જાણો કારણ

12.56 લાખ લોકોના જીવ બચાવ્યાં - રાજ્યમાં 108ની એમ્બ્યુલન્સ સેવા (108 Ambulance) શરૂ થયાથી આજ સુધીમાં 1.33 કરોડ લોકોએ આ એમ્બ્યુલન્સસેવાનો લાભ લીધો છે. રાજ્યમાં ખૂબ ગંભીર પરિસ્થિતિમાં 108ના કર્મીઓની સમયસરની સેવાના કારણે 12.56 લાખ લોકોના જીવ બચાવવાનું ભગીરથ કાર્ય પણ થયું છે, તો 1.19 લાખ મહિલાઓને સુખરૂપ પ્રસૂતિ પણ કરાવી શકાઇ છે. હાલમાં અંદાજીત 4,000થી વધુ 108 કર્મીઓ સેવા આપી રહ્યા છે. અદ્યતન સુવિધાઓ અને હાઇ ટેક્નોલોજીથી સજ્જ વાનના કારણે સમયસર કોલના સ્થળ પર પહોંચવામાં અને સતત મોનિટરીંગ કરવાના કારણે લોકોને પ્રાથમિક સારવાર આપવાથી માંડી તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચાડવા સહિતની કામગીરી કરે છે.

આ પણ વાંચોઃ Dhvani Project : ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ ફસાવાના બનાવો પર લાગશે આ રીતે પૂર્ણવિરામ

108 મોનિટરીંગ સેન્ટર- 108 મોબાઇલ એમ્બ્યુલન્સ (108 Ambulance) વાનમાં અદ્યતન ટેક્નોલોજીની વ્યવસ્થા, મેડિકલના સાધનો, દવાઓ, મશીનો અને વેન્ટિલેટર - ઓક્સિજન સહિતની સેવા અને ટ્રેનિંગબદ્ધ સ્ટાફ હોવાના કારણે પીડિત વ્યક્તિને તરત સેવા મળી રહે છે. સમયસર સારવાર મળવાના કારણે વ્યક્તિનો જીવ પણ બચાવી શકાય છે. ટેક્નોસેવી વ્યવસ્થાથી સજ્જ આ સેવાને વધુ પ્રભાવશાળી બનાવવા માટે 108 ગુજરાત મોબાઇલ એપ પણ તૈયાર કરવામાં આવી છે.

આ સમગ્ર સેવાનું મોનિટરીંગ ઇમરજન્સી મોનિટરીંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર (108 Monitoring Center) અમદાવાદથી સંચાલિત થાય છે, જ્યાં રોજના અંદાજીત 7000 જેટલા કોલ્સ લેવામાં આવે છે. રાજ્યમાં આરોગ્યની સેવાને ખૂબ ઝડપી ઘર ઘર સુધી પહોચાડવામાં 108 એમ્બ્યુલન્સ સેવા પીડિતને નવજીવન બક્ષનાર અને ઈમરજન્સીના કેસમાં સંજીવની સમાન સાબિત થઈ છે. જે રાજ્ય સરકારની એક મોટી સફળતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.