ETV Bharat / bharat

નવલાં નોરતાનો શુભારંભ : પ્રથમ નોરતે આ રીતે કરો માઁ શૈલપુત્રીની આરાધના

author img

By

Published : Oct 7, 2021, 4:00 AM IST

Updated : Oct 7, 2021, 12:00 PM IST

શક્તિ આરાધનાનું મહાપર્વ નવરાત્રીનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે ETV Bharat આપના માટે લઇને આવ્યું છે, માતા નવદુર્ગાના નવ સ્વરુપોની શાસ્ત્રોક્ત પૂજા આરાધનાનો પ્રસાદ. માતાની આરાધના, આધ્યાત્મજીવનનો આગવો અનુભવ અને રાત્રીના ઝગમગતા તારલાઓ વચ્ચે ખેલાતા ગરબાની અદભૂત ત્રિવેણી એવી નવરાત્રીની શક્તિ-ભક્તિ આગામી વરસ સુધી ભક્તને અનોખું બળ પૂરતી રહે છે. નવરાત્રીમાં પ્રથમ નોરતાના દિવસે માઁ શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે.

worship of maa shailputri
પ્રથમ નોરતે આ રીતે કરો માઁ શૈલપુત્રીની આરાધના

  • નવરાત્રીના આજે પ્રથમ દિવસે માઁ શૈલપુત્રીની આરાધના
  • માઁ ભવાનીના નવમાનું એક રૂપ માનવામાં આવે છે માઁ શૈલપુત્રી
  • માતા શૈલપુત્રીનું વાહન વૃષભ માનવામાં આવે છે

ન્યૂઝ ડેસ્ક : ધન્ય ધરા ગુર્જરી એટલા માટે કહેવાય છે કે, શક્તિ ઉપાસનાના પવિત્ર તીર્થધામ ગુજરાતની રક્ષા કરે છે. ઉત્તરે વિરાજતાં માઁ અંબાજી શક્તિપીઠ સહિતના ધામ આદ્યશક્તિ ભવાનીના ભક્તો માટે એક એવું આસ્થાનું ધામ છે, કે જ્યાં નવરાત્રીના દિવસોમાં જ નહીં વર્ષભર ભક્તો માઁને નમવા આવતા રહેતા હોય છે.

કપરા કાળમાં ભક્તને અનોખું બળ

ગયા વર્ષને જેમ આ વર્ષે પણ કોરોના મહામારીને લઇને અલગ પ્રકારના વાતાવરણમાં નવરાત્રીના નવ દિવસ જવાના છે એ નિશ્ચિત છે, ત્યારે માઁ આદ્યશક્તિની ભક્તિ માટે શિરમોર સમાં નવરાત્રીના દિવસોનું ઉપાસના અને અનુષ્ઠાનને શ્રદ્ધાથી અનુસરતા ભાવિકો માટે સહસ્ત્રગણું મહત્ત્વ સમાયેલું છે. નવરાત્રીના નવ દિવસ માતાની આરાધના, આધ્યાત્મક જીવનનો આગવો અનુભવ અને રાત્રીના ઝગમગતા તારલાઓ વચ્ચે ખેલાતા ગરબાની અદભૂત ત્રિવેણી રચે છે, કે જે કપરા કાળમાં ભક્તને અનોખું બળ પૂરતી રહે છે.

પ્રથમ નોરતે કરો માઁ શૈલપુત્રીની આરાધના

ગુજરાતની પોતીકી સંસ્કૃતિમાં અભિન્ન અંગ સમાન નવરાત્રીમાં જાહેર કાર્યક્રમો નથી યોજાવાના, પરંતુ સીમિતપણે પણ ગરબા રમવાનો સાત્વિક આનંદ લોકો માણી શકશે, ત્યારે નવેનવ નોરતાંમાં માઁ ભવાનીના નવ સ્વરુપોની આરાધના કરતા તેમનો મહિમા સ્મરણ પણ કરીએ.

નવરાત્રીના પ્રથમ નોરતે માઁ શૈલપુત્રીની પૂજા

નવરાત્રીના પ્રથમ નોરતે માતા ભવાનીનું પ્રથમ સ્વરુપ પૂજાય છે તે છે શૈલપુત્રી સ્વરુપ. ભક્તો આ દિવસે માના સ્વરુપને જે પ્રકારે ચિંતવે છે, તે શૈલપુત્રી તરીકે મહિમાગાન કરવામાં આવે છે. શૈલ એટલે કે પર્વત. પર્વતના પુત્રી-શૈલપુત્રી કહેવાયા છે. માર્કંડેયપૂરાણમાં ઉલ્લેખયાં પ્રમાણે હિમાલયપુત્રીના આ સ્વરુપને નવદુ્ર્ગાના નવ સ્વરુપોમાં પ્રથમ સ્વરુપ તરીકે સ્થાન અપાયું છે. દેવીનું આ નામ હિમાલયને ઘેર પુત્રી તરીકે જન્મ લેવાથી પડ્યું છે. હિમાલય આપણી શક્તિ, દૃઢતા, આધાર તથા સ્થિરતાનો પ્રતિક છે. મનુષ્યજીવનમાં દૃઢતા, સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે, એટલે આ દિવસે આપણા જીવનમાં સ્થાયિત્વ તથા શક્તિમાન બનવા માટે માતા શૈલપુત્રી પાસે પ્રાર્થના કરવી જોઈએ. શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે.

વરદ હસ્તમાં ત્રિશૂળ અને વામ હસ્તમાં કમળ

હિમાલયની ઉત્તુગતાંના શિખરે વિરાજતા ચંદ્રની શીતળતા સમાન સાત્વિક ધ્યેય પ્રાપ્ત કરાવે તેવા માતા શૈલપુત્રીનું વાહન વૃષભ માનવામાં આવે છે. તેમના વરદ હસ્તમાં ત્રિશૂળ અને વામ હસ્તમાં કમળનું પુષ્પ ભક્તના માનસહૃદયમાં પમરાટ ફેલાવે છે. તેમની સ્તુતિ સ્વરુપે આ વચનો બોલવામાં આવે છે.

વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધકૃત શેખરામ્ । વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।


ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।

ભાલે દિવ્ય તેજસમાન ચંદ્રમાં ધારણ

અર્થાત હે માઁ ભગવતી આપ મનુષ્યોને મનવાંછિત લાભ અને ફળ આપનારા છો. આપ વૃષભ પર બિરાજમાન થઈ ત્રિશુલ અને કમળ ધારણ કરો છો. આપના ભાલે દિવ્ય તેજસમાન ચંદ્રમા ધારણ કરેલો છે. હે માઁ શૈલપુત્રી, તમે યશસ્વિની છો. સમસ્ત જગતને, ભક્તોને યશ અને તમામ સુખ આપનારા રક્ષા કરનારા છો.

માતાજીની મહાપૂજામાં નૈવેધ

ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂળાધારચક્રમાં સ્થિત કરે છે અને યોગસાધનાનો આરંભ કરે છે. પહેલાં દિવસે માતાજીની મહાપૂજા અંતર્ગત નૈવેધ તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવવામાં આવે છે.

Last Updated : Oct 7, 2021, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.