ETV Bharat / bharat

ભારતના સ્વતંત્રતા સંગ્રામનો અતિમહત્વનો વળાંકઃ જલિયાંવાલા બાગ

author img

By

Published : Sep 4, 2021, 6:12 AM IST

ભારતના સ્વતંત્રતા સંગ્રામનો અતિમહત્વનો વળાંકઃ જલિયાંવાલા બાગ
ભારતના સ્વતંત્રતા સંગ્રામનો અતિમહત્વનો વળાંકઃ જલિયાંવાલા બાગ

જો કોઈ ચોક્કસ ક્ષણ હોય કે જેણે ભારતની સ્વતંત્રતા માટેના સંઘર્ષને સ્પષ્ટ રીતે સાકાર કર્યો હોય, તો તે 13 એપ્રિલ, 1919 ના રોજ ઘટિત જલિયાંવાલા બાગ હત્યાકાંડ હતો. લોહીથી લથપથ જમીન અને ગોળીઓથી વીંધાયેલી દીવાલોએ આંદોલનનું નેતૃત્વ કરતા નેતાઓનો અંતરાત્મા હચમચાવી દીધો હતો. આઝાદીના આ 75 માં વર્ષ નિમિત્તે ચાલો આપણે તે નિર્દોષ લોકોને યાદ કરવા થોભીએ, જેઓને બ્રિટિશ સરમુખત્યારશાહી દ્વારા કતલ કરવામાં આવ્યાં હતાં.

  • જલિયાંવાલા બાગની ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ભૂમિકા
  • 13 એપ્રિલ 1919ના રોજ હજારો નિર્દોષ લોકોને અહીં વીંધી નાંખવામાં આવ્યાં હતાં
  • આ ઘટનાએ દેશભરમાં પેદા કર્યો સ્વતંત્ર ભારતના આંદોલનનો જુવાળ

અમૃતસરઃ હત્યાકાંડ પહેલાં બ્રિટીશ ભારતની ઉત્તર-પશ્ચિમ સરહદમાં ઘણું બધું બની રહ્યું હતું. 1913નું ગદર આંદોલન અને 1914ની કોમાગાતા મારુ ઘટનાએ પંજાબના લોકોમાં ક્રાંતિની લહેર શરૂ કરી હતી. જ્યારે 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું ત્યારે ઘણાં ભારતીય સૈનિકોને યુરોપિયન દેશોમાં લડવા માટે મોકલવામાં આવ્યાં હતાં. આ મહાન યુદ્ધમાં લડતાં બ્રિટિશ આર્મીમાં 1.95 લાખ ભારતીય સૈનિકો પૈકી 1,10,000 પંજાબના હતાં.

ભારતના સ્વતંત્રતા સંગ્રામનો અતિમહત્વનો વળાંકઃ જલિયાંવાલા બાગ

બ્રિટિશરોને સૈનિકોના બળવાનો ભય હતો

આ સૈનિકો વચ્ચે રાષ્ટ્રવાદ અને દેશભક્તિ ઉભરી રહી હતી તેઓ પ્રથમ વખત દેશની બહાર નીકળ્યાં હતાં અને યુરોપમાં થતી હલચલોથી માહિતગાર બન્યાં હતાં.. તેઓએ વિશ્વમાં જોયું અને જાણ્યું કે દેશનો અર્થ શું છે? બ્રિટિશરોને ડર હતો કે જો આ સૈનિકો બળવો કરશે તો તેમને કાબૂમાં રાખવા મુશ્કેલ બનશે. તેમને રોકવા માટે સરકાર પાસે કોઈ કડક કાયદા ન હતાં. પંજાબમાં બદલાતા વાતાવરણને જોતાં અંગ્રેજો નવા કાયદા વિશે વિચારતા હતાં અને રોલેટ કાયદો આ ઉકળતા ચરુમાંથી બહાર આવ્યો હતો.

રોલેટ કાયદાનો વિરોધ શરુ થઈ ચૂક્યો હતો

ચર્ચાના તબક્કે પણ આ કાયદા સામે વિરોધ પ્રદર્શિત થયો. સ્થાનિક અખબારોએ તેની વિગતવાર ચર્ચા કરવાનું શરૂ કર્યું અને કઠોર કાયદાનો વિરોધ વ્યાપકપણે ફાટી નીકળ્યો. પંજાબના ઘણાં ભાગોમાં પણ વિરોધ પ્રદર્શન થયાં. અમૃતસરમાં પણ સુનિશ્ચિત વિરોધ ચાલી રહ્યો હતો. તમામ વિરોધ છતાં રોલેટ એક્ટ 18 માર્ચ, 1919 ના રોજ પસાર કરવામાં આવ્યો.

ચળવળનું નેતૃત્વ કરતાં નેતાઓને વિશ્વાસઘાત કરી પક્ડયાં

પ્રોફેસર પ્રશાંત ગૌરવે જણાવ્યું હતું કે આ વિરોધ પ્રદર્શનમાં ડો.સત્યપાલ મલિક અને બીજા ડો.સૈફુદ્દીન કિચલેવ નામના બે નેતાઓ અગ્રણી હતાં. મહાત્મા ગાંધીને પણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હકીકતમાં તેમણે 2 એપ્રિલ, 1919ના રોજ પંજાબમાં શરૂઆત કરી હતી પરંતુ તેમને પલવલ ખાતે રોકીને પરત મોકલવામાં આવ્યાં હતાં. મુશ્કેલી અનુભવતા બ્રિટિશરોએ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરતાં આ બે નેતાઓને સકંજામાં લેવાનું નક્કી કર્યું. અમૃતસર જિલ્લા કમિશનર માઇલ્સ ઇરવિંગે 10 એપ્રિલ, 1919 ના રોજ સત્યપાલ અને કિચલેવને તેમની ઓફિસમાં બોલાવ્યાં અને વિશ્વાસઘાત કરી ધરપકડ કરી. તેઓને અમૃતસરથી દૂર ખસેડીને ધર્મશાળામાં નજરકેદ કરવામાં આવ્યાં હતાં.

...અને જનરલ ડાયર ચિત્રમાં આવ્યાં

આ બે વરિષ્ઠ નેતાઓની ધરપકડ બાદ અમૃતસરમાં તણાવ વધ્યો હતો. કટરામાં જયમલ સિંહ, હોલ બજાર અને ઉચા પુલ વિસ્તારમાં 20,000થી વધુ લોકોએ વિરોધ કર્યો. એક કે બે હિંસક ઘટનાઓ બાદ પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓડવાયરે પરિસ્થિતિને સંભાળવા માટે જલંધર કેન્ટોનમેન્ટ બોર્ડમાંથી આર્મી ઓફિસર જનરલ આર ડાયરને બોલાવ્યાં હતાં. ગૌરવે કહ્યું કે, ડાયરનો ભારતીયો વિશે કટુતાભર્યો દ્રષ્ટિકોણ હતો.

ઘટનાના કલાકો દરમિયાનનો ઘટનાક્રમ

જલિયાંવાલા બાગ હત્યાકાંડના એક દિવસ પહેલાં જનરલ રેજીનાલ્ડ ડાયરે તેના સમગ્ર સશસ્ત્ર દળો સાથે અમૃતસરમાં કૂચ કરી અને કર્ફ્યુની જાહેરાત કરી. દુર્ભાગ્યે મોટાભાગના સ્થાનિક રહેવાસીઓને કર્ફ્યુ વિશે પણ ખબર નહોતી. કર્ફ્યુથી અજાણ લોકો જલિયાંવાલા બાગમાં સભા માટે ભેગા થયાં. આ સિવાય વૈશાખીના દિવસે દૂરસુદૂરથી આવેલી સંગત શ્રદ્ધાંજલિ આપવા શ્રીહરમંદિર સાહિબ પહોંચી હતી. ગોવિંદગઢ પશુ મેળામાં ભાગ લેવા આવતાં વેપારીઓ પણ ત્યાં હાજર હતાં.

જ્યારે જલિયાંવાલા બાગમાં વિરોધ સભાની તૈયારીઓ કરવામાં આવી હતી અને માઇક્રોફોન લગાવવામાં આવ્યા હતાં ત્યારે ઉપસ્થિત લોકોએ વિચાર્યું કે કોઇ ઘટના બનવાની છે. સભા 4થી4: 30 વાગ્યે નક્કી કરવામાં આવી હતી તે વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને બપોરે 3 વાગ્યે શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન જનરલ ડાયર ગ્રાઉન્ડ બંદોબસ્તમાં મૂકાયેલા લોકો પાસેથી દરેક અપડેટ મેળવતાં હતાં.

લગભગ 5 -5: 15 વાગ્યાની આસપાસ જનરલ ડાયર 25 સૈનિકોની 4 ટુકડીઓ સાથે જલિયાંવાલા બાગ પહોંચ્યાં. ગોરખા રેજિમેન્ટ અને અફઘાન રેજિમેન્ટના 50 સૈનિકો સાથે જનરલ ડાયરે બાગમાં પ્રવેશ કર્યો અને તરત જ ગોળી ચલાવવાનો આદેશ આપ્યો. પ્રોફેસર પ્રશાંત ગૌરવે જણાવ્યું કે ફાયરિંગ સાંજે 5.30 વાગ્યે શરૂ થયું હતું. ભીડને વિખેરવા કોઈ ચેતવણી, હવામાં ગોળીબાર કે એવા પ્રયાસો કરવામાં આવ્યા ન હતાં. લોકોને સીધા જ ગોળી મારવામાં આવી અને પોઇન્ટ 303 કેલિબરના 1650 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યાં અને લોકો મૃત્યુ પામવા લાગ્યાં.

કેટલા લોકો માર્યાં ગયાં તેનો અહેવાલ શંકાસ્પદ

જ્યારે લોકોએ મૃતકો અને ઘાયલોને જોયાં ત્યારે લોકોએ ગોળીઓથી ભાગવાનો પ્રયાસ કરતાં નાસભાગ મચી ગઈ. બાગની અંદરનો કૂવો મૃતદેહોથી ભરાઈ ગયો હતો. શરૂઆતમાં, ઓ'ડ્વાયરે અહેવાલ આપ્યો હતો કે મેદાનમાં હાજર 5000 લોકોમાંથી 200 લોકો માર્યા ગયાં હતા. પંજાબના મુખ્ય સચિવ જેપી થોમસન લખે છે કે 291 લોકો માર્યા ગયાં હતાં જેમાંથી 211 અમૃતસર શહેરના હતાં. જ્યારે હન્ટર સમિતિએ કહ્યું કે 379 લોકો માર્યા ગયાં હતાં આ ખૂબ જ વિચિત્ર છે અને સમજવાની જરૂર છે કે, ગૌરવનો તર્ક કહે છે કે 275 લોકો ગોળીઓથી મૃત્યુ પામ્યાં હતાં અને 104 મૃતદેહો કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યાંં હતાં હતો.

મદન મોહન માલવિયા તપાસ સમિતિના વડા હતાં અને તેમણે કહ્યું કે 1000 લોકો માર્યા ગયાં. કોંગ્રેસની તપાસ સમિતિએ કહ્યું કે 1200 લોકો માર્યા ગયાં અને 2600 ઘાયલ થયાં. સ્વામી શ્રદ્ધાનંદ પણ ત્યાં ગયા અને તેમણે કહ્યું કે 1500 લોકો મૃત્યુ પામ્યાં છે. "તો કુલ મળીને ડેટા 1000-1500 ની વચ્ચે છે. તે બ્રિટિશરનો રેકોર્ડ છે જે સતત વધતો રહ્યો છે પરંતુ 379 કોઈ પણ રીતે યોગ્ય નથી. એકંદરે એવું કહી શકાય કે કેટલા લોકો માર્યા ગયાં તે સ્પષ્ટ નથી પરંતુ એક વસ્તુની ખાતરી છે કે હજારો લોકો માર્યા ગયાં, "ગૌરવે કહ્યું.

શહીદ ઉધમસિંહે ઓડવાયરને ઢાળી દીધો હતો

ભારતીયોના આક્રોશ પછી ગોરી સરકારે જનરલ ડાયરને સસ્પેન્ડ કરવો પડ્યો હતો અને તેે ચૂપચાપ બ્રિટન પહોંચી ગયો હતો. શહીદ ઉધમ સિંહે 13 માર્ચ, 1940ના રોજ લંડનમાં માઈકલ ઓડવાયરને ગોળી મારીને હત્યાકાંડનો બદલો લીધો હતો. 1961માં, ભારત સરકારે આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક સ્મારક બનાવ્યું હતું, જેનું ઉદ્ઘાટન આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.