ETV Bharat / bharat

Sikkim Flood : સિક્કિમમાં 25000થી વધુ લોકો પૂર પ્રભાવિત, મોતનો આંક વધ્યો, પૂરમાંથી બચાવેલા 26 વિદ્યાર્થીઓ ઘેર રવાના કરાયા

author img

By PTI

Published : Oct 7, 2023, 5:27 PM IST

Sikkim Flood : સિક્કિમમાં 25000થી વધુ લોકો પૂર પ્રભાવિત, મોતનો આંક વધ્યો, પૂરમાંથી બચાવેલા 26 વિદ્યાર્થીઓ ઘેર રવાના કરાયા
Sikkim Flood : સિક્કિમમાં 25000થી વધુ લોકો પૂર પ્રભાવિત, મોતનો આંક વધ્યો, પૂરમાંથી બચાવેલા 26 વિદ્યાર્થીઓ ઘેર રવાના કરાયા

સિક્કિમમાં તીસ્તા નદીમાં અચાનક આવેલા પૂરને કારણે મૃત્યુઆંક વધીને 27 થઈ ગયો છે. ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર આ પૂરથી 25 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂરમાં ફસાયેલા મેઘાલયના 26 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરી ઘેર મોકલવામાં આવ્યાં છે તેની માહિતી મેઘાલય સીએમ સંગમાએ આપી છે.

સિક્કિમ : શિલોંગથી બહાર પડેલી સત્તાવાર યાદી મુજબ સિક્કિમમાં ફસાયેલા મેઘાલયના 26 વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યાં છે. સિક્કિમમાં વાદળ ફાટવાથી આવેલા પૂરમાં ફસાયેલા મેઘાલયના 26 વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે અને તેઓ શિલોંગ તરફ જવાના રસ્તે છે તેવી માહિતી આપતાં એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.

26 વિદ્યાર્થીઓ ઘર તરફ રવાના : પીટીઆઈના હવાલે ખબર રેસ્ક્યૂ કરવામાં આવેલા આ 26 વિદ્યાર્થીઓ પાંચ વાહનોમાં સિક્કિમના મજીતરથી નીકળ્યા હતાં અને તેઓ શુક્રવારે મધ્યરાત્રિની આસપાસ પશ્ચિમ બંગાળના સિલિગુડી પહોંચ્યા હતાં. બચાવ કામગીરીમાં સામેલ અધિકારીએ પીટીઆઈને આ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને રવાના કરવા શુક્રવારે રાત્રે જ સિલિગુડીથી શિલોંગ સુધી પરિવહન માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મેઘાલયના સીએમે આપી માહિતી : સિક્કિમમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે મેઘાલય સરકારે હેલ્પલાઈન નંબર 1800 345 3644 સક્રિય કર્યો છે. મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ કે સંગમાએ પોતાના સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, " મેઘાલયના 26 વિદ્યાર્થીઓ સાથેની એક બસ ગઈકાલે સાંજે સિલીગુડી થઈને સિક્કિમના મજિતરથી નીકળી હતી અને કોકરાઝાર વટાવી ગઈ છે. તે શિલોંગ તરફ જતો રસ્તો છે. અમારા વિદ્યાર્થીઓને સુરક્ષિત જોઈને આનંદ થયો." સંગમાએ કહ્યું કે સિક્કિમમાં અભ્યાસ કરતા મેઘાલયના વિદ્યાર્થીઓએ સિક્કિમની વર્તમાન પરિસ્થિતિને કારણે પોતાના ઘેર પાછા ફરવા માટે મદદ મેળવવા માટે તેમનો સંપર્ક કર્યો હતો.

ઉત્તર સિક્કિમમાં બુધવારે આવ્યું હતું ભારે પૂર : આપને જણાવીએ કે બુધવારે વહેલી સવારે ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર વાદળ ફાટવાથી તીસ્તા નદીમાં અચાનક ભારે પૂર આવ્યું હતું. જેમાં સાત સૈનિક સહિત 26 લોકો માર્યા ગયા હતાં અને 142 લોકો ગુમ થયા હતાં. અચાનક આવેલા પૂરમાં 1,200 થી વધુ મકાનોને નુકસાન થયું હતું અને હિમાલયમાં આવેલા આ મનોહર રાજ્યમાં 13 પુલ પણ ધોવાઈ ગયા હતાં.

મૃત્યુઆંક વધીને 27 : સિક્કિમમાં તીસ્તા નદીમાં અચાનક પૂરના કારણે વાદળ ફાટવાથી શનિવારે મૃત્યુઆંક વધીને 27 થઈ ગયો છે. આ દરમિયાન ગુમ થયેલા 141 લોકોની શોધખોળ ચાલુ છે. જમીન મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના સચિવ અને રાજ્ય રાહત કમિશનર દ્વારા શનિવારે જારી કરાયેલા અહેવાલ મુજબ બુધવારના વહેલી સવારે વાદળ ફાટવાથી આવેલા અચાનક પૂરમાં આઠ સૈનિકો સહિત 27 લોકોના મોત થયા છે અને 25,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ ઉપરાંત પૂરને કારણે 1200થી વધુ મકાનોને નુકસાન થયું છે અને 13 પુલ ધોવાઈ ગયા છે. આ દરમિયાન શનિવારે પશ્ચિમ બંગાળમાંથી અન્ય એક સૈનિકનો મૃતદેહ મળી આવ્યો હતો.

2,413 લોકોનું રેસ્ક્યૂ : રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 27 લોકોમાંથી ચાર મંગન જિલ્લામાં, છ ગંગટોક જિલ્લામાં અને નવ પાક્યોંગમાં મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનામાં આઠ જવાનો પણ શહીદ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં વિવિધ વિસ્તારોમાંથી 2,413 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રાજ્યભરમાં સ્થાપિત 22 રાહત શિબિરોમાં 6,875 લોકોએ આશ્રય લીધો છે. રિપોર્ટ અનુસાર પૂરના કારણે 26 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમાં ચાર જિલ્લા - મંગન, ગંગટોક, પાક્યોંગ અને નામચીમાં 25,065 લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

સરકારની સહાય જાહેર : સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમસિંહ તમાંગે પણ રાજ્યમાં અચાનક પૂરમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ અને રાહત શિબિરોમાં આશ્રય લઈ રહેલા પ્રત્યેક વ્યક્તિને 2,000 રૂપિયાની તાત્કાલિક રાહતની જાહેરાત કરી હતી.

ગુમ સૈનિકોને શોધતી ડોગ ટીમ : સીએમ તમાંગે પીટીઆઈને ઘટનાને લઇને જણાવ્યું કે રાજ્યને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હાલમાં અમે નુકસાન વિશે ચોક્કસ વિગતો આપી શકતા નથી. તે ત્યારે જ ખબર પડશે જ્યારે એક સમિતિ રચાશે અને તે તેનું વિશ્લેષણ પૂર્ણ કરશે. અમારી પ્રથમ પ્રાથમિકતા બચાવની છે. ફસાયેલા લોકોને અને તેમને તાત્કાલિક રાહત આપવાની છે. જિલ્લાઓ વચ્ચેનો માર્ગ સંપર્ક ખોરવાઈ ગયો છે અને પુલો ધોવાઈ ગયા છે. ઉત્તર સિક્કિમમાં સંચાર સેવાઓને ગંભીર અસર થઈ છે. બરડાંગ વિસ્તારમાંથી ગુમ થયેલા 23 આર્મી સૈનિકોમાંથી 8ના મૃતદેહ નીચાણવાળા વિસ્તારોમાંથી મળી આવ્યા છે, જ્યારે એકને બચાવી લેવામાં આવ્યો છે અને બાકીના ગુમ સૈનિકોની શોધ સિક્કિમ અને ઉત્તર બંગાળમાં ચાલી રહી છે. સંરક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ બરડાંગમાં ઘટના સ્થળ પર સેનાના વાહનોને કાદવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે સર્ચ ઓપરેશનમાં ડોગ ટીમ અને વિશેષ રડારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

  1. Sikkim flash floods : સિક્કિમમાં અચાનક પૂરના કારણે સર્જાયેલી તબાહીમાં 6 સૈનિકો સહિત 19નાં મોત, 103 ગુમ
  2. ઉત્તર સિક્કિમમાં હિમપ્રપાતથી સેના જવાનનું મોત
  3. Sikkim Flood: સિક્કિમમાં વાદળ ફાટ્યું, તિસ્તા નદીમાં પૂર, સેનાના 23 જવાન ગુમ

પીટીઆઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.