- અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસે વડાપ્રધાન મોદી સાથે કરી ફોન પર વાત
- કમલા હૈરિસે અને વડાપ્રધાન મોદી વચ્ચે કોરોના સહિત બીજા અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા
- ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસે વેક્સિન સપ્લાઈનું આપ્યું વચન
નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે ગુરુવારે મોડી સાંજે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ(Kamala Harris) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)વચ્ચે ફોન પર વાત થઈ હતી. બન્ને નેતાઓએ આ દરમિયાન કોરોના મહામારી સહિત ભારત-અમેરિકાની ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ ફોન કમલા હૈરિસથી વડાપ્રધાન મોદીને કરવામાં આવ્યો હતો. બન્ને નેતાઓ વચ્ચે કોરોના રસીની અછતને લઈને પણ ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો: ભારતને મદદ કરવા અમેરિકી સંસાધનો ભારત પહોંચાડવામાં આવશેઃ US સંરક્ષણ પ્રધાન
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આપી માહિતી
સમગ્ર બાબતની જાણકારી વડાપ્રધાન મોદી (Prime Minister Modi)એ ટ્વિટ કરીને આપી હતી. તેઓએ જણાવ્યું કે, કેટલાક સમય પહેલા જ ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ સાથે વાતચીત થઈ. તેઓએ કહ્યું કે, વૈશ્વિક રસી વહેંચણી માટેની અમેરિકી વ્યૂહરચનાના ભાગ રૂપે ભારતને રસી(vaccine)નો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે મારી હ્રદયથી શુભેચ્છા. મેં તેમનો અમેરિકી સરકાર, ઉદ્યોગપતિઓ અને વિદેશી ભારતીયો તરફથી મળેલા સમર્થન અને એકતા માટે પણ આભાર માન્યો.
ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસે વેક્સિન સપ્લાઈનું આપ્યું વચન
વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે, અમે ભારત- અમેરિકા રસી સહયોગને વધુ મજબૂત બનાવવાના ચાલુ પ્રયાસો અને કોરોના બાદની વૈશ્વિક આરોગ્ય અને આર્થિક અર્થવ્યવસ્થાના સુધારામાં અમારી ભાગીદારીના સંભવિત યોગદાનની પણ ચર્ચા કરી. તેમણે મહામારીના લાંબા ગાળાના સ્વાસ્થ્ય પ્રભાવને ધ્યાનમાં લેવા ભારત-અમેરિકાની ભાગીદારી તેમજ ક્વાડ રસીકરણ(Quad vaccination) પહેલની સંભાવના પર પ્રકાશ પાડ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્વાસ્થ્યની સ્થિતિ સામાન્ય થયા બાદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હૈરિસનું ભારત આવવાની આશા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: Mann ki Baat: દેશવાસીઓ સાથે વડાપ્રધાન મોદીનો સંવાદ કહ્યું- ચક્રવાત પ્રભાવિત રાજ્યોએ હિંમત દેખાડી