ETV Bharat / bharat

#JeeneDo: સગીરાઓ પર ગેન્ગરેપ અને ગોવાના મુખ્યપ્રધાનના નિવેદન બાદ મહિલાઓ અને પર્યટકો પૂછી રહ્યા છે સવાલ…

author img

By

Published : Aug 2, 2021, 10:44 PM IST

દેશનું મશહૂર પર્યટન સ્થળ ગોવા આજકાલ ચર્ચામાં છે. જોકે, તેનું કારણ ત્યાંની ખૂબસુરતી કે પર્યટકો નહિં પરંતુ તાજેતરમાં જ 2 સગીરાઓ પર થયેલા દુષ્કર્મ અને તેને લઈને રાજ્યના મુખ્યપ્રધાને આપેલું નિવેદન જવાબદાર છે. ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતના વિવાદાસ્પદ નિવેદન બાદ તમામ વર્કિંગ વુમન્સથી લઈને પર્યટકો અને રાજકીય લોકો સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. ગોવામાં ખરેખર થયું શું હતું ? મુખ્યપ્રધાને શું નિવેદન આપ્યું હતું ? જાણવા માટે વાંચો, આ અહેવાલ...

#JeeneDo
#JeeneDo

  • ગોવામાં 2 સગીરાઓ પર સામૂહિક દુષ્કર્મનો મામલો
  • ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતનું વિવાદાસ્પદ નિવેદન
  • નિવેદન બાદ ચોતરફથી કરાઈ રહ્યો છે પ્રમોદ સાવંતનો વિરોધ

પણજી : ગોવામાં 2 સગીરાઓ પર થયેલા સામૂહિક દુષ્કર્મ બાદ દેશના સૌથી પ્રચલિત પર્યટન સ્થળ ગોવામાં મહિલા સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. મોડીરાત્રે 2 સગીરાઓ પર સામૂહિક દુષ્કર્મ થતા આ અંગે ગોવાના મુખ્યપ્રધાનને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપવાની જગ્યાએ સગીરાઓ અને તેમના પરિવારજનો પર જ સવાલ ઉઠાવ્યા હતા. તેમનું આ નિવેદન બળતામાં ઘી ઠામવા જેવું સાબિત થયું હતું.

#JeeneDo: સગીરાઓ પર ગેન્ગરેપ અને ગોવાના મુખ્યપ્રધાનના નિવેદન બાદ મહિલાઓ અને પર્યટકો પૂછી રહ્યા છે સવાલ…

ગોવાના મુખ્યપ્રધાને શું કહ્યું હતું ?

ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું હતું કે, છોકરીઓ આટલી રાત્રે બહાર શા માટે હતી ? બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ માતા-પિતાની જવાબદારી છે. તેમણે ગોવા વિધાનસભામાં પણ કહ્યું હતું કે, જો છોકરીઓ મોડીરાત્રે બીચ પર ફરે છે, તો તેમના માતા-પિતાને આત્મનિરીક્ષણની આવશ્યક્તા છે. તેમનું વિવાદાસ્પદ નિવેદન કંઈક આ પ્રકારે હતું.

આપણે સીધો પોલીસને દોષ આપીએ છીએ. 10 છોકરીઓ બીચ પર પાર્ટી કરવા જાય છે. જેમાંથી 4 આખી રાત બીચ પર રહે છે અને 6 ઘરે પાછી જાય છે. 2 છોકરીઓ અને 2 છોકરાઓ આખી રાત બીચ પર રોકાય છે. બાળકોએ બીચ પર આટલો લાંબો સમય ન રહેવું જોઈએ.

વિરોધીઓએ ઉઠાવ્યા સવાલ, મુખ્યપ્રધાનનું રાજીનામુ માગ્યું

રાજ્યના મુખ્યપ્રધાનના આ નિવેદન બાદ તેમની ચોતરફથી નિંદા થઈ રહી છે. સામાજિક સંસ્થાઓથી લઈને વિપક્ષ અને સોશિયલ મીડિયા સુધી ગોવામાં કાયદો અને વ્યવસ્થા તેમજ મુખ્યપ્રધાન પર સવાલો ઉભા કર્યા છે.

  • કોંગ્રેસ પ્રવક્તા એલ્ટન ડીકોસ્ટાએ કહ્યું કે, અમે બહાર જવામાં શા માટે ડરીએ?, ગોવામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઠીક નથી. આરોપીઓને જેલમાં હોવું જોઈએ. જેથી કાયદામાં માનનારા લોકો શાંતિથી બહાર ફરી શકે.
  • ગોવા ફોરવર્ડ પાર્ટીના ધારાસભ્ય વિજય સરદેસાઈએ કહ્યું હતું કે, મુખ્યપ્રધાનનું નિવેદન પક્ષપાતભર્યું છે. નાગરિકોની સુરક્ષાની જવાબદારી પોલીસ અને રાજ્ય સરકારની છે. જો તે અમને સુરક્ષા ન અપાવી શકતા હોય તો તેમને મુખ્યપ્રધાનની ખુરશી પર બેસવાનો કોઈ અધિકાર નથી.

મહિલા કોંગ્રેસ મુખ્યપ્રધાનના ઘર સામે ધરણા કરી રાજીનામાની માગ કરી

ગોવાના બેનોલીમ બીચ પર 2 સગીરાઓ પર ગેન્ગરેપ અને ત્યારબાદ મુખ્યપ્રધાનના નિવેદનનો ચોતરફ વિરોધ થઈ રહ્યો છે. ગોવા મહિલા કોંગ્રેસે શુક્રવારે મુખ્યપ્રધાન આવાસ સામે વિરોધ પ્રદર્શન યોજીને મુખ્યપ્રધાનના રાજીનામાની માગ પણ કરી હતી.

જ્યારથી રાજ્યમાં BJP સત્તામાં આવી, ત્યારથી ગુનાઓ વધ્યા : મહિલા કોંગ્રેસ પ્રમુખ

ગોવા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બીના નાયકે કહ્યું હતું કે, ગોવા શાંતિપ્રિય રાજ્ય છે, પરંતુ જ્યારથી BJPની સરકાર આવી છે, ત્યારથી ગોવામાં ભયનો માહોલ છે. રાજ્યમાં આરોપીઓ બેફામ બન્યા છે અને મહિલા વિરોધી ગુનાઓથી લઈને મર્ડરના જેવા ગુનાઓની સંખ્યા વધી છે.

ગોવામાં એક અઠવાડિયામાં સરેરાશ 4 ગુનાઓ નોંધાય છે : AAP નેતા

આમ આદમી પાર્ટીના નેતા અનુરાધા ગાવડેના જણાવ્યા પ્રમાણે, ગોવામાં એક અઠવાડિયામાં મહિલા અત્યાચારના સરેરાશ 4 ગુનાઓ નોંધાય છે. સવાલ એ છે કે, ગોવામાં મહિલાઓની સુરક્ષા માટે કાયદો છે ? શું ગોવામાં ખરેખર મહિલાઓ સુરક્ષિત છે ?

શું કહેવું છે ગોવાની વર્કિંગ વુમન્સનું ?

  • પ્રતિભા બોરકર નામક મહિલાએ ગોવાના મુખ્યપ્રધાનના નિવેદનની નિંદા કરતા જણાવ્યું હતું કે, અપરાધિઓની સાથે સાથે સામાન્ય લોકોમાં પણ કાયદાનો ડર હોવો જોઈએ અને રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની જાળવણીનું કામ મુખ્યપ્રધાનનું છે. જેનાથી તેમણે છટકવું ન જોઈએ.
  • પ્રિયા રાઠોડ નામક મહિલાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં મહિલાઓ તેમને જે ગમે તે પહેરી શકે છે, તેમને જ્યાં ગમે ત્યાં ફરી શકે છે. ઘણી બધી મહિલાઓ આજના સમયમાં નોકરીઓ કરે છે. તેમણે કોઈપણ સમયે બહાર જવું પડી શકે છે. આ મહિલાઓની સુરક્ષા કોણ કરશે ? આરોપીઓમાં ડર ત્યારે જ બેસશે જ્યારે મહિલા સુરક્ષાને લઈને કડક કાયદો હશે.

શું કહેવું છે પર્યટકોનું ?

ગોવાનો દેશના સૌથી મોટા પર્યટન સ્થળોમાં સમાવેશ થાય છે. અહીં ભારત કરતા વિદેશથી વધુ લોકો ફરવા આવે છે. જેમાં મોટાભાગની મહિલાઓ હોય છે. ગોવાના બીચ પર સગીરાઓ સાથે સામૂહિક દુષ્કર્મ અને ત્યારબાદ મુખ્યપ્રધાનના નિવેદનને લઈને પર્યટકોમાં પણ રોષ છે. તેઓ ઈચ્છે છે કે, રાજ્યમાં આવનારા દરેક પર્યટકની સુરક્ષા પણ નિશ્ચિત કરવામાં આવે. જેના કારણે પર્યટકો પણ ડર વગર શાંતિથી ફરી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.