નવી દિલ્હી : G20 સમિટની તૈયારીઓ વચ્ચે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રાજધાની દિલ્હીમાં પાંચથી વધુ મેટ્રો સ્ટેશનો પર ખાલિસ્તાન તરફી સૂત્રો લખનારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ચારેય શીખ ફોર જસ્ટિસ સંસ્થાના સભ્યો છે. મુખ્ય આરોપીની પંજાબમાંથી ધરપકડ કરવામાં આવી છે. જો કે આ અંગે હજુ વધુ માહિતી સામે આવી રહી નથી. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ ચારેય આરોપીઓની પૂછપરછમાં વ્યસ્ત છે.
ભારત વિરોધી ગતિવિધિઓ : ઉલ્લેખનીય છે કે એસએફજે - SFJ નો ભાગેડુ આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુ પોતાના સંગઠન દ્વારા ભારત વિરોધી ગતિવિધિઓ કરી રહ્યો છે. શીખ ફોર જસ્ટિસ સાથે સંકળાયેલા લોકોએ 27 ઓગસ્ટે દિલ્હીમાં લગભગ અડધો ડઝન મેટ્રો સ્ટેશનોની દિવાલો પર ખાલિસ્તાન ઝિંદાબાદ તેમજ પંજાબ ભારતનો ભાગ નથી અને દિલ્હી ખાલિસ્તાન બની જશે જેવા સૂત્રો લખ્યા હતા. ખાલિસ્તાન સમર્થકોએ શિવાજી પાર્ક, માદીપુર, મહારાજા સૂરજમલ સ્ટેડિયમ અને પંજાબી બાગ મેટ્રો સ્ટેશન સહિત અડધો ડઝન મેટ્રો સ્ટેશનની દિવાલો પર આવા સૂત્રો લખ્યા હતા.
મેટ્રો પોલીસે ગુનો નોંધ્યો : મેટ્રો પ્રશાસન અને પોલીસને આ અંગેની માહિતી મળતા જ તેઓ ત્યાં પહોંચી ગયા અને તરત જ સૂત્રોચ્ચાર હટાવ્યા. બાદમાં ચૂનો ઘોળનાર બોલાવીને લખવામાં આવેલા સૂત્રોને દૂર કરાયા હતા. આ મામલે મેટ્રો પોલીસે ગુનો નોંધ્યો હતો. સ્પેશિયલ સેલ પણ મામલાની તપાસ કરી રહી છે. મેટ્રો સ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આ આરોપીઓ સુધી પહોંચી ગઇ છે.
હજુ વધુ ધરપકડો થઇ શકે : સ્થાનિક પોલીસની સાથે સાથે તમામ સુરક્ષા એજન્સીઓને પણ સીસીટીવી ફૂટેજ સાથે સ્થાનિક બાતમીદારો પાસેથી ઇનપુટ મળ્યા હતા. આ પછી પંજાબ સહિત અન્ય કેટલાક રાજ્યોમાં સ્થાનિક એજન્સીઓ સાથે સ્પેશિયલ સેલ શીખ ફોર જસ્ટિસના સભ્યોની શોધ કરી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસમાં હજુ પણ કેટલાક લોકોની ધરપકડ થઇ શકે છે.
ભારતમાં શીખ ફોર જસ્ટિસ પ્રતિબંધિત : વર્ષ 2007માં અમેરિકામાં આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ શીખ ફોર જસ્ટિસની શરૂઆત કરી હતી. SFJનો મુખ્ય એજન્ડા પંજાબમાં અલગ ખાલિસ્તાન બનાવવાનો છે. પન્નુ અવારનવાર સંગઠન દ્વારા ભારત વિરોધી અભિયાન ચલાવે છે અને ખાલિસ્તાનની માંગણી કરતા રહે છે. ખેડૂતોના આંદોલન દરમિયાન પણ આંદોલનકારીઓને ઉશ્કેરવામાં તેમનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. ખાલિસ્તાન સમર્થકો ભારતમાં રહે છે અને તેના માટે કામ કરે છે અને ખાલિસ્તાનની માંગ ઉઠાવતા રહે છે. જોકે,એસએફજે પર ભારતમાં પ્રતિબંધ છે અને ભારતે તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.