ETV Bharat / bharat

HBD Jawed Akhtar: આનંદ બક્ષીએ જે ગીતકારના વખાણ કર્યા હતા તે જાવેદ અખ્તરનો આજે 79મો જન્મદિવસ છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2024, 10:18 PM IST

જાવેદ અખ્તરનો આજે 79મો જન્મદિવસ છે
જાવેદ અખ્તરનો આજે 79મો જન્મદિવસ છે

જાવેદ અખ્તર આ નામ આજે માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા હિન્દી સીનેમા પ્રેમીઓમાં જાણીતું છે. જાવેદ અખ્તર એટલે કસાયેલ કલમ. એક પંકાયેલા પટકથા લેખક, ગીતકાર, જાણીતા એક્ટિવિસ્ટ. આજે જાવેદ અખ્તરના 79મા જન્મ દિવસ પર વાંચો તેમના કેટલાક રોમાંચક કિસ્સા વિશે. Jawed Akhtar Screen Writer Poet Lyricist

મુંબઈઃ આજે મહાન ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરનો 79મો જન્મ દિવસ છે. જાવેદ અખ્તર વિશે કેટલુંય લખાયું છે, વંચાયું છે, કહેવાયું છે, સંભળાયું છે. અત્યારે સ્થિતિ એવી છે કે જાવેદ અખ્તર પોતાના વિશે જાણે છે તેનાથી વધુ તેમના ચાહકો તેમની જિંદગીના અંતરંગી અને રંગબેરંગી કિસ્સાઓ વિશે જાણે છે. આ લેખમાં આપણે જાવેદ અખ્તરના કેટલાક રોમાંચક કિસ્સાઓને મમળાવીશું.

લેખકોને અપાવ્યું માન-સમ્માનઃ 70ના દાયકામાં સલીમ જાવેદ જોડીએ બહુ નામ કમાવ્યું હતું. આ જોડીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લેખકોને પહેલા જે માન સમ્માન નહતું મળતું તે અપાવ્યું હતું. માન સમ્માન ઉપરાંત યોગ્ય નાણાકીય વળતર પણ સલીમ જાવેદે જ અપાવ્યું હતું તેમ કહી શકાય. સલીમ જાવેદે જે પટકથા લેખન કર્યુ તેમાં શોલેનો ઉલ્લેખ અનિવાર્ય છે. શોલે ઉપરાંત દિવાર, ત્રિશુલ, શક્તિ, શાન, કાલા પત્થર વગેરે મહત્વની ફિલ્મો છે. જાવેદ અખ્તર અમિતાભ બચ્ચનના 15થી વધુ ફિલ્મોના કલીગ રહી ચૂક્યા છે. તેમના પટકથા લેખનમાં હાથી મેરે સાથીનો કિસ્સો બહુ મશહુર છે.

હાથી મેરે સાથીઃ એક દિવસ સુપર સ્ટાર રાજેશ ખન્ના દોડતાં દોડતાં સલીમ જાવેદ પાસે આવ્યા. તેમણે સલીમ જાવેદને વિનંતી કરી કે હું હાથી મેરે સાથી મૂવિની સાઈનિંગ એમાઉન્ટ લઈ ચૂક્યો છું. આ રકમમાંથી મેં ઘર પણ ખરીદી લીધું છે. હું હવે ફિલ્મ છોડી શકું તેમ નથી અને મને લાગે છે કે આ ફિલ્મમાં હાથીને મારા કરતા વધુ મહત્વ આપવામાં આવશે. તમે જ કંઈક રસ્તો કાઢો. ત્યારે જાવેદ અખ્તરે રાજેશ ખન્નાને કહ્યું હતું કે, તમે નિરાંતે ફિલ્મ કરો હાથીનો રોલ મહત્વનો છે કેમકે વાર્તા હાથીની આસપાસ ગુંથાયેલ છે પરંતુ તમારો રોલ પણ એટલો જ મહત્વનો રહેશે આ ફિલ્મમાં તેની જવાબદારી અમારી. ત્યારબાદ રાજેશ ખન્નાએ આ ફિલ્મનુ શુટિંગ શરુ કરી દીધું અને ફિલ્મની સફળતા ઈતિહાસ બની ગઈ.

શોલેઃ રમેશ સીપ્પી નિર્દેશીત આ ફિલ્મની દરેક બાબતો દરેક સીનેમા પ્રેમી જાણે છે. તેમ છતાં સૂરમા ભોપાલીનો ઉલ્લેખ કરવો જરૂરી છે. કહેવાય છે કે સાચે જ ભોપાલમાં રહેતા સૂરમા ભોપાલીએ લેખક જોડી જાવેદ અખ્તર પર કેસ કર્યો હતો. આ ઉપરાંત ધર્મેન્દ્રનો ટાંકી પર ચઢીને હેમામાલિનીની માસીને વખોડતો બહુ ચર્ચીત સીન જાવેદ અખ્તરે એરપોર્ટ પર ઊભા ઊભા કારના બોનેટ પર રફ લખ્યો હતો. તેને ફેર કર્યો હતો તેમના એક સહાયકે. જો કે આ સીન શોલે ફિલ્મની સૌથી મોટી ઓળખ પૈકીનો એક બની રહ્યો.

1942 એ લવસ્ટોરીઃ આ ફિલ્મમાં જાવેદ અખ્તરે એક ગીતકાર તરીકે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. જો કે જાવેદ અખ્તરને ખુશી એ વાતની છે કે મહાન અને સમર્થ ગીતકાર આનંદ બક્ષીએ તેમને એપ્રિશિયેટ કર્યા હતા. આ ફિલ્મના ગીતો સાંભળ્યા બાદ આનંદ બક્ષીએ જાવેદ અખ્તરને કહ્યું હતું કે, મને ખબર છે કે તમે સારા ગીતો લખી શકો છો પરંતુ આટલા સારા ગીતો લખી શકો છો તે ખબર નહતી. આ એપ્રિશિયેશન જાવેદ અખ્તર માટે બહુ ખાસ છે.

એક દો તીન ચાર.....: તેજાબ ફિલ્મના આ ગીત માટેનો જાવેદ અખ્તરનો કિસ્સો બહુ ફેમસ છે. આ ગીતની રચના થઈ ત્યારથી જ તે પ્રખ્યાત થશે તે નક્કી હતું. આ ગીતની રચના સાથે સંકળાયેલ દરેક જણ આ ગીતની સફળતા માટે નિશ્ચિત હતા. આ ગીત અભિનેત્રી માધુરી દિક્ષીત માટે બનાવાયું હતું. આ ગીતે જ માધુરીને સ્ટારડમ અપાવ્યું હતું. જો કે ફિલ્મ નિર્માણની મધ્યમાં ફિલ્મના નાયક અનિલ કપૂરે જાવેદ અખ્તરને ખાસ વિનંતી કરી કે મારા પાત્ર માટે પણ આ જ ગીતનું મેલ વર્ઝન લખો. જાવેદ અખ્તરે શરુઆતમાં તો આનાકાની કરી પણ અનિલ કપૂરની મક્કમ માંગણી સામે તેમણે જુકવું પડ્યું. આ ફિલ્મનું ઘણું નિર્માણ પૂર્ણ થઈ ગયા બાદ જાવેદ અખ્તરે અનિલ કપૂર માટે એક દો તીન ચાર...ગીતનું મેલ વર્ઝન લખ્યું. આ મેલ વર્ઝન પણ ખૂબ હિટ થયું હતું.

મી. ઈન્ડિયા અને રૂપ કી રાની ચોરો કા રાજાઃ બોની કપૂરે મી. ઈન્ડિયા ફિલ્મ બનાવી હતી. જેના પટકથા લેખક સલીમ જાવેદ હતા અને ગીતકાર પણ જાવેદ અખ્તર હતા. આમ જાવેદ અખ્તરે બેવડી ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ખૂબ જ હિટ થઈ ગઈ. તેનું હવા હવાઈ ગીત પણ ખૂબ હિટ થયું હતું. આ ગીતને લીધે શ્રીદેવીના સ્ટારડમમાં ધરખમ વધારો થયો હતો. જો કે આ ફિલ્મની સફળતાનું પુનરાવર્તન કરવા માટે બોની કપૂરે રુપ કી રાની ચોરો કા રાજા ફિલ્મ બનાવી. આ ફિલ્મ બોક્ષ ઓફિસ પર ધબાય નમઃ થઈ ગઈ હતી. રુપ કી રાની ચોરો કા રાજા ફિલ્મની પટકથા અને ગીતો જાવેદ અખ્તરે લખ્યા હતા. જો કે આ ફિલ્મ મી. ઈન્ડિયા જેવો જાદુ ન કરી શકી.

લગાનઃ આમિર ખાન લગાન ફિલ્મના ગીતો જાવેદ અખ્તર પાસે લખાવવા ગયા ત્યારે જાવેદ અખ્તરનું રીએક્શન બહુ વિચિત્ર હતું. જાવેદ અખ્તરે સ્ટોરી સાંભળીને કહ્યું હતું કે, આવી બકવાસ પટકથા મેં ક્યારેય સાંભળી નથી. જો કે આમિર ખાને જાવેદ અખ્તર પાસે જ ગીતો લખાવવાનો આગ્રહ રાખ્યો. જાવેદ અખ્તરની કલમ લગાન ફિલ્મમાં જે ખીલી છે તેનો કોઈ વિકલ્પ જ નથી. અંગ્રેજ કાળની પૃષ્ઠભૂમિ પર બનેલ આ ફિલ્મના ગીતો સદાય અમર રહેશે. આ ફિલ્મ હિટ થયા બાદ જાવેદ અખ્તરે આમિર ખાનને રુબરુ મળીને પોતે કરેલા બકવાસ પટકથાના નિવેદન વિશે ખેદ વ્યક્ત કર્યો હતો. આમિર ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જાવેદ અખ્તર અને સંગીતકાર એ આર રહેમાન ખુદ લગાનના ગીતો બદલવા માંગે તો પણ હું પહેલા તૈયાર થઈ ગયેલા ગીતો નહી બદલું. પહેલા તૈયાર થઈ ગયેલા ગીતો જ લગાન ફિલ્મ માટે સાર્થક છે.

ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાનીઃ શાહરુખ ખાનની અનેક ફિલ્મોના ગીતો જાવેદ અખ્તરે લખ્યા છે. આ દરેક ફિલ્મો બહુ હિટ રહી છે. જો કે ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની ફિલ્મનું એક ગીત તું યાર તું દિલદાર તું હી મેરા પ્યાર, તેરે દિલમેં મેરા દરબાર પણ હતું. આ ગીત વખતે શાહરુખ અને જાવેદ અખ્તર વચ્ચે નાનો કંકાસ થયો હતો. શાહરુખે આ ગીત જે રીતે બન્યું તે રીતે લખવા કહ્યું હતું. જો કે જાવેદ અખ્તર આ ગીતને કંઈક અલગ રીતે લખવા માંગતા હતા. છેવટે શાહરુખનું માન રાખીને ગુસ્સામાં જાવેદ અખ્તરે આ ગીત લડતા હોય તે શૈલીમાં લખી કાઢ્યું. જો કે આ ગીત બહુ હિટ રહ્યું હતું.

વીરઝારાઃ યશ ચોપરા અને જાવેદ અખ્તરની જોડીએ ફરીથી એક મ્યૂઝિકલ હિટ આપી અને તે એટલે વીરઝારા. આ ફિલ્મના ગીતો લખવા જાવેદ અખ્તર માટે ખરેખર પડકારજનક હતું કારણ કે, આ ગીતમાં સંગીત સ્વર્ગીય મદન મોહનની વણવપરાયેલ ધૂનો પર બન્યું હતું. આ ધૂનો જાવેદ અખ્તરને આપવામાં આવી અને ગીતો લખવાનું કહેવામાં આવ્યું. જો કે જાવેદ અખ્તર શા માટે મહાન જાવેદ અખ્તર કહેવાય છે તે આ ફિલ્મના ગીતોએ સાબિત કરી દીધું. તેમણે સંગીતકારની પ્રત્યક્ષ ઉપસ્થિતિ ન હોવા છતાં દરેક ધૂન પર બહુ પ્રખ્યાત ગીતોની રચના કરી. શાહરુખ ખાન જ નહિ પરંતુ યશરાજ ફિલ્મસ બેનર માટે પણ આ ફિલ્મ બહુ મહત્વની ગણાય છે.

26/11 હુમલામાં પાકિસ્તાનના ગાલે તમાચોઃ જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં 26/11 હુમલાના આતંકવાદીઓ નોર્વેથી નહતા આવ્યા તેઓ ક્યાંથી આવ્યા હતા તે સૌ કોઈ જાણે છે તેમ કહ્યું હતું. આ ઘટના બાદ જાવેદ અખ્તર ભારત પધાર્યા ત્યારે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઘટના જાવેદ અખ્તરને સ્પષ્ટ વક્તા અને નિર્ભય હોવાની તેમની છાપને મજબૂત કરે છે.

ડિસ્કલેમરઃ આ લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત વિચારો છે....

  1. પઠાણ ફિલ્મ વિવાદને લઈ જાવેદ અખ્તરે આપ્યું મોટું નિવેદન
  2. પિતા-પુત્રોની આ જોડીએ ફરહાન-જાવેદ અખ્તર પહેલા લવ મેરેજ કર્યા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.