ETV Bharat / bharat

International Translation Day : અનુવાદ એટલે વિશ્વમાં સંસ્કાર અને સંસ્કૃતિને જોડતો સેતુ

author img

By

Published : Sep 29, 2021, 9:31 PM IST

Updated : Sep 30, 2021, 6:11 AM IST

International Translation Day 2021
International Translation Day 2021

કોરોના સંકટ (Corona Cases)ને કારણે દુનિયાભરમાં એક સમાન સમસ્યાઓ દેખાઈ રહી હતી, ત્યારે કોણ શું કરી રહ્યું છે અને શું થઈ રહ્યું છે તેની જાણકારી એકબીજાને મળે તે અનિવાર્ય થઈ પડી હતી. તેમાં સૌથી ઉપયોગી થયા હોય તો તે છે અનુવાદકો. અખબારો, મીડિયા અને સંશોધન જગતમાં પણ માહિતી અને સમજણની આપલે થતી રહી છે. અનુવાદ ( International Translation Day) માત્ર સાહિત્ય અને કલા જગતમાં નહિ, પરંતુ વિજ્ઞાન અને રોજબરોજના જીવનમાં પણ કેટલું ઉપયોગી છે તે કોરોના કાળથી વધુ એક વાર સ્પષ્ટ થયું.

  • સેન્ટ જરોમ દ્વારા પ્રથમ વખત બાઇબલનું અનુવાદ કરવામાં આવ્યું હતું
  • દુનિયામાં અત્યારે 7000 જેટલી ભાષાઓ બોલાઈ રહી છે
  • બે ભાષાઓને જોડતો સેતું એટલે અનુવાદ

ન્યૂઝ ડેસ્ક : 30 સપ્ટેમ્બર એટલે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ( International Translation Day). આજના આધુનિક અને ટેક્નોલોજીના સમયમાં પણ અનુવાદ પોતાનું અદકેરૂ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે. સમગ્ર વિશ્વની સંસ્કૃતિ, સંસ્કાર અને સાહિત્ય અનુવાદ વગર દેશ અને વિદેશના સીમાડાઓ ઓળંગી શક્યા ન હોત. ત્યારે આજે આંગળીના ટેરવે ચાલતી દુનિયાની કલ્પના અનુવાદ વગર શક્ય ન બની શકી હોત.

દેશો અને સંસ્કૃત્તિઓ સાથે નિકટતા

આપણે વૈશ્વિકિકરણ વચ્ચે જીવી રહ્યા છીએ અને દેશો અને સંસ્કૃત્તિઓ એક બીજાની સાથે વધુને વધુ નીકટ રીતે જોડાઈ રહ્યા છે. વેપારી, રાજદ્વારી અને ખાસ કરીને સાંસ્કૃત્તિક સંબંધો ગાઢ બની રહ્યા છે. જોકે વિશ્વની વિવિધ પ્રજા વચ્ચે સંપર્કમાં સૌથી મોટી અડચણ છે ભાષાની. દુનિયાના બધા લોકો જ નહિ, એક જ દેશના બધા લોકો પણ એકસમાન ભાષા બોલતા હોતા નથી. ભારતમાં ભાષાનું વૈવિધ્ય આપણે જાણીએ છીએ. તેના કારણે સંવાદમાં સમસ્યાઓ ઊભી થતી રહે છે.

વિશ્વમાં 7000 જેટલી ભાષાઓ

દુનિયામાં અત્યારે 7000 જેટલી ભાષાઓ બોલાઈ રહી છે, ત્યારે ભાષાંતર એક અનિવાર્ય અને મહત્ત્વની કલા બની છે. ભાષાંતરના કારણે પ્રજા એક બીજાને સમજી શકે છે અને એકબીજાના વિચારોને જાણી શકે છે. માતૃભાષા સિવાયની ભાષા શીખ્યા સિવાય પણ દુનિયાભરના પ્રવાહોને જાણી શકાય છે, કેમ કે અનુવાદ કરનારા એકથી વધુ ભાષામાં નિપૂર્ણતા હાંસલ કરી પ્રત્યાયન પાર પાડે છે.

30 સપ્ટેમ્બરે જ અનુવાદ દિન કેમ?

30 સપ્ટેમ્બરની પસંદગી પાછળનું કારણ છે સેન્ટ જરોમ, જેમણે બાઇબલનો અનુવાદ કર્યો હતો. તેમને અનુવાદકોના ગુરુ ગણવામાં આવે છે. ઇટાલીના સેન્ટ જરોમે ન્યૂ ટેસ્ટામેન્ટની ગ્રીકમાં રહેલી હસ્તપ્રતમાંથી રોમનમાં અનુવાદ કર્યો હતો. તેમણે હિબ્રૂમાં રહેલા કેટલાક ગોસ્પેલનો અનુવાદ પણ ગ્રીકમાં કર્યો હતો. તેઓ પોતે ઇલિરિયન કૂળના હતા અને તેમની માતૃભાષા ઇલિરિયન હતી. શાળામાં તેઓ લેટિન ભણ્યા અને પ્રવાસ દરમિયાન ગ્રીક અને હિબ્રૂના પણ જાણકાર બન્યા. પ્રવાસ દરમિયાન બેથલહેમમાં 30 સપ્ટેમ્બર ઇ.વી. સન 420માં તેમનું અવસાન થયું હતું. તેમની યાદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી 2005થી ઉજવણી શરૂ થઈ છે.

અનુવાદનું મહત્ત્વ

  • ભાષાંતર માત્ર સાંસ્કૃતિક આદાનપ્રદાન જ નહિ, અનેક રીતે ઉપયોગી છે. આજના યુગમાં જ્ઞાનની આપલે ઉપરાંત વેપાર પણ માટે પણ તે અનિવાર્ય છે. કંપનીઓ દુનિયાભરમાં ગ્રાહકો ધરાવતી હોય ત્યારે તેમની સાથે તેમની ભાષામાં સંવાદ માટે અનુવાદ અનિવાર્ય બને છે.
  • આજથી 20થી 20 વર્ષ પહેલાં શક્ય નહોતું તે અત્યારે ઇન્ટરનેટને કારણે શક્ય બન્યું છે અને દુનિયાભરના ગ્રાહકો સુધી પહોંચી શકાય છે. પણ તે માટે નેટ ઉપરાંત ભાષાંતર પણ જરૂરી છે.
  • તેના કારણે જ આજે ગુણવત્તાયુક્ત ભાષાંતરનું મહત્ત્વ વધી રહ્યું છે. માત્ર માહિતી એક ભાષામાંથી બીજી ભાષામાં આપવા ઉપરાંત વિચાર અને ભાવનાને પણ વ્યક્ત કરવાની હોય છે. તે સંજોગોમાં અભિવ્યક્તિની નજાકત એક ભાષામાંથી બીજા ભાષામાં ઉતારવાની હોય છે.
  • આ એક કલા છે અને તે માત્ર ભાષાઓની જાણકારી પૂરતી મર્યાદિત નથી. એકથી વધુ ભાષા જાણનારા અનુવાદ કરી શકે તેવું જરૂરી નથી હોતું. યુનિવર્સિટીમાં પ્રોફેસર કક્ષાના જાણકારો પણ એકથી વધુ ભાષા જાણતા હોય છે, પણ અનુવાદ એ એક કલા છે.
  • સાહિત્ય અને કલા, રાજદ્વારી સંબંધો, રાજકીય સંપર્કો, વેપારી માહિતીનું આદાનપ્રદાન, વિજ્ઞાનની જાણકારી અને સમાચારોની વિગતો આ દરેક માટે અનુવાદની જરૂર હોય છે. તે દરેક માટે વિશેષ કુશળતાની જરૂર પણ હોય છે સાહિત્યના પુસ્તકનું ભાષાંતર એક વાત છે અને તેમાંય કવિતાનો અનુવાદ વિશેષ સજ્જતા માગતો હોય છે. એ જ રીતે સમાચારો અને માહિતી લેખોનો અનુવાદ, જે રોજબરોજ થતો હોય છે તે પણ અગત્યનો છે. તે ઝડપથી કરવાનો હોય છે અને તેમાં માહિતી દોષ કે ગેરસમજ ના થાય તેની કાળજી લેવાની હોય છે.
  • આ ઉપરાંત સારા દુભાષિયા તૈયાર કરવામાં આવે તો પ્રવાસન ઉદ્યોગને ફાયદો થાય છે. પ્રસિદ્ધ ફરવાના સ્થળે દુનિયાભરના પ્રવાસીઓ આવતા હોય છે. દરેકની ભાષા અલગ અલગ હોય છે, ત્યારે દુભાષિયા તરીકે કામ કરતા ગાઈડ માટે કામ કપરું બની જતું હોય છે. ગાઈડે એકથી વધુ ભાષાની જાણકારી રાખવી પડતી હોય છે.
  • આજે વૈશ્વિકીકરણમાં અનુવાદનું કાર્ય વધ્યું છે. કંપનીઓએ એકથી વધુ ભાષામાં પોતાની, પોતાના બ્રાન્ડ અને પ્રોડક્ટ્સની માહિતી તૈયાર કરવાની હોય છે. દરેક વખતે આ કામ કંપનીમાં કર્મચારીઓ જાતે કરી શકતા નથી. મોટા ભાગે આ કાર્ય જાહેરખબર કંપનીઓ કરતી હોય છે. જાહેરખબર કંપનીઓ પાસે પણ બધી જ ભાષાના જાણકારો હોતા નથી.
  • જાહેરખબર અને પ્રત્યાયન તૈયાર કરનારી કંપનીઓએ પણ તેના એટલા જ કલાત્મક અને રચનાત્મક અનુવાદ માટે બહારના લોકો પર આધાર રાખવો પડતો હોય છે. તેના કારણે અનુવાદ આજે એક ઉદ્યોગ પણ બની રહ્યો છે. ખાસ કરીને અનુવાદનું આઉટસોર્સિંગ પ્રચલિત બની રહ્યું છે. કોલ સેન્ટરમાં પણ કા કરનારાએ એક રીતે અનુવાદક તરીકે કામ કરવાનું હોય છે. તેમણે પોતાની ભાષા કરતાંય કોલ કરનારા ક્લાયન્ટની ભાષા જાણવી જરૂરી હોય છે. કોલ સેન્ટરમાં કામ એટલે અઘરું છે કે ક્લાયન્ટના ઉચ્ચારોને પણ સમજવા પડતા હોય છે.
  • આજે તો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અનુવાદનું કાર્ય ઓનલાઇન થાય છે. ઘણા સોફ્ટવેર એવા બની રહ્યા છે જે અનુવાદ કરી શકે. ગૂગલ, ફેસબૂક, એપલ જેવી જાણીતી કંપનીઓ આના પર કામ કરી રહી છે. જો કમ્પ્યુટર જ અનુવાદ કરી આપે તો કામ ઝડપી થઈ જાય, પરંતુ આખરે આ કામ માનવીય સમજનું છે, સુક્ષ્મ છે, સંદર્ભો સમજીને કરવાનું હોય છે. તેથી ગણિતની જેમ કમ્પ્યુટર અહીં ફટાફટ કામ કરી શકતું નથી.
  • જોકે ડિક્શનરી તરીકે દરેક શબ્દના કે સાદા વાક્યોના અનુવાદ હવે ઓનલાઇન જ બહુ ઝડપથી થઈ જાય છે. પરંતુ માનવનું મન સંકુલ છે, મનુષ્યની લાગણીના તરંગો અનેકવિધ હોય છે અને તે વિધવિધ રીતે, પોતપોતાની ભાષાની વિશેષતા સાથે પ્રગટ થતા હોય છે. શુષ્ક કમ્પ્યુટર ત્યાં સુધી કેવી રીતે પહોંચશે એ વિચારવાનું રહે છે.
Last Updated :Sep 30, 2021, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.