ETV Bharat / bharat

આજે વિશ્વ યોગ દિવસ: મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયન વિષય

author img

By

Published : Jun 20, 2020, 8:01 AM IST

Updated : Jun 21, 2020, 7:08 AM IST

યોગ મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયનનો વિષય છે જે મન અને શરીર વચ્ચે સંવાદિતા લાવવા પર ધ્યાન આપે છે. તે નિરામય જીવનની કળા અને વિજ્ઞાન છે. તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જે પ્રાચીન ભારતમાં વ્યક્તિનો સાચો આત્મા અનુભવવા માટે મગજની કાયમી શાંતિની સ્થિતિ મેળવવાના દૃષ્ટિકોણથી ઉદ્ભવ્યો હતો.

યોગ: મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયન વિષય
યોગ: મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયન વિષય

યોગ અને તેનો ઇતિહાસ

શબ્દ 'યોગ' એ સંસ્કૃત ધાતુ 'યુજ' પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે 'જોડવું' અથવા 'ઉમેરવું' અથવા 'એક કરવું'. યોગનો ઉદ્દેશ્ય સ્વઅનુભૂતિ કરવાનો, તમામ પ્રકારનાં દુઃખોમાંથી બહાર નીકળી 'મુક્તિની સ્થિતિ' (મોક્ષ) અથવા 'સ્વતંત્રતા' (કૈવલ્ય) પ્રાપ્ત કરવાનો છે. જીવનનાં સર્વ ક્ષેત્રમાં મુક્તિ, નિરામય અને સંવાદિતા સાથે જીવવું એ યોગ અભ્યાસના મુખ્ય ઉદ્દેશ્યો છે. 'યોગ' વિવિધ પદ્ધતિનું બનેલું આંતરિક વિજ્ઞાન છે જેના દ્વારા માનવ જાત આ ઐક્ય અનુભવી શકે અને તેમના ભાગ્ય પર વિજય પ્રાપ્ત કરી શકે.

યોગનો અભ્યાસ સભ્યતાના પ્રારંભથી થયો હોવાનું મનાય છે. યોગનું વિજ્ઞાન હજારો વર્ષ પહેલાં ઉદ્ભવ્યું હતું, જ્યારે પ્રથમ ધર્મ કે શ્રદ્ધા પ્રણાલિ જન્મી હતી. યોગ વિદ્યામાં શિવજીને પ્રથમ યોગી અથવા આદિ યોગી તરીકે ઓળખવામાં આવે છે અને તેમને પ્રથમ ગુરુ અથવા આદિ ગુરુ તરીકે ગણાવાય છે.

પશ્ચિમમાં આવકાર- ૧૯મી સદીના ઉત્તરાર્ધ અને ૨૦મી સદીના પૂર્વાર્ધમાં સ્વામી વિવેકાનંદનની સફળતાના પગલે ભારતના ગુરુઓએ યોગનો પરિચય પશ્ચિમને કરાવ્યો. ૧૯૮૦ના દાયકામાં યોગ પશ્ચિમી દુનિયાભરમાં શારીરિક વ્યાયામની પ્રણાલિ તરીકે લોકપ્રિય બની ગયો. યોગના આ પ્રકારને ઘણી વાર હઠ યોગ કહેવાય છે.

યોગ સાધનાના સિદ્ધાંતો: યોગ વ્યક્તિના શરીર, મન, ભાવના અને ઊર્જાના સ્તર પર કામ કરે છે. તેના કારણે યોગનું ચાર ભાગમાં વ્યાપક વર્ગીકરણ કરવામાં આવે છે: કર્મ યોગ- જ્યાં આપણે શરીરનો ઉપયોગ કરીએ છીએ. ભક્તિ યોગ જેમાં આપણએ ભાવનાનો ઉપયોગ કરીએ છીએ. જ્ઞાન યોગ- જ્યાં આપણે મન અને બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. અને ક્રિયા યોગ- જેમાં આપણે ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ.

ઇન્ટરનેશનલ યોગ ફાઉન્ડેશન મુજબ, વિશ્વ ભરમાં અંદાજે ૩૦ કરોડ લોકો યોગનો અભ્યાસ કરે છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિચારને સૌ પ્રથમ ભારતના હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની મહા સભા (યુએનજીએ)માં તેમના પ્રવચનમાં પ્રસ્તાવિત કર્યો હતો.

મોદીજીએ કહ્યું હતું:

યોગ ભારતની પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર; વિચાર અને કાર્ય; સંયમ અને પૂર્તિ વગેરેની વચ્ચે ઐક્ય આણે છે, માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા સર્જે છે, તે આરોગ્ય અને સુખાકારી તરફ સર્વાંગીણ અભિગમ છે. તે માત્ર કસરત જ નથી પરંતુ પોતાની જાત, વિશ્વ અને પ્રકૃતિ સાથે ઐક્યની સમજ શોધવાનો પ્રયાસ છે. આપણી જીવનશૈલી બદલીને અને ચેતના સર્જે છે. તે સુખાકારીમાં મદદ કરી શકે છે. ચાલો આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે કામ કરીએ.

સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં નરેન્દ્ર મોદીની આ પ્રારંભિક દરખાસ્ત પછી યુએનજીએએ ૧૪ ઑક્ટોબર ૨૦૧૪ના રોજ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' શીર્ષકવાળા મુસદ્દા ઠરાવ પર સત્તાવાર પરામર્શ હાથ ધર્યો હતો. પરામર્શ ભારતીય પ્રતિનિધિમંડળ દ્વારા સંયોજિત કરાયો હતો. ૨૦૧૫માં ભારતીય રિઝર્વ બૅન્કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને મનાવવા માટે ૧૦ રૂપિયાનો સ્મરણ સિક્કો બહાર પાડ્યો હતો. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંયુક્ત રાષ્ટ્રોના પ્રવચનમાં ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબા દિવસ એવા ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું હતું. આ દિવસ વિશ્વના અનેક ભાગમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે.

સંયુક્ત રાષ્ટ્રોએ ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય ચોગ દિવસ તરીકે જાહેર કર્યો.

પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસે સૌથી વિશાળ યોગ વર્ગ માટેનો વિક્રમ સર્જ્યો અને સૌથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીયતા (અનેક દેશના નાગરિકો)ના ભાગ લેવાનો વિક્રમ પણ સર્જ્યો.

પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જૂન ૨૦૧૫ના રોજ વિશ્વ ભરમાં ઉજવાયો.

આયુષ મંત્રાલયે ભારતમાં આવશ્યક વ્યવસ્થાઓ કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ૮૪ દેશોના મહાનુભાવો સહિત ૩૫,૯૮૫ લોકોએ નવી દિલ્હીમાં રાજપથ પર ૩૫ મિનિટ માટે ૨૧ આસન (યોગાસનો) કર્યા જે અત્યાર સુધી યોજાયેલો સૌથી વિશાળ યોગ વર્ગ બની રહ્યો અને તેમાં ૮૪ દેશોના નાગરિકોએ ભાગ લીધો.

ભારતે ૨૦૧૬નો યોગ દિવસ ચંડીગઢમાં ઉજવ્યો- વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૩૦,૦૦૦ લોકો આ ઉજવણીમાં જોડાયા. મોદીજીએ આ પ્રસંગે પ્રવચન આપતાં કહ્યું કે યોગ એ સાંપ્રદાયિક પ્રવૃત્તિ નથી પરંતુ નિરામય મન અને શરીર બનાવવા માટેનો માર્ગ છે.

ભારતે ૨૦૧૭નો યોગ દિવસ લખનઉમાં ઉજવ્યો - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ત્રીજી આવૃત્તિની શરૂઆત વરસાદી રહી. તે વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લખનઉમાં હતા જ્યાં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે યોગાસનો કર્યા અને તેમની સાથે રમાબાઈ આંબેડકર સભાસ્થળ પર ૫૧,૦૦૦ સહભાગીઓ પણ જોડાયા.

ભારતે વર્ષ ૨૦૧૮નો યોગ દિવસ દહેરાદૂનમાં ઉજવ્યો- વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્તરાખંડના દહેરાદૂનમાં ફૉરેસ્ટ રિઝર્વ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે યોગ વિભાજિત નથી કરતો, એક કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે યોગ વિશ્વમાં એક કરવાનાં બળો પૈકીનું એક બની ગયો છે.

ભારતે વર્ષ ૨૦૧૯નો યોગ દિવસ રાંચીમાં ઉજવ્યો- વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૧૯ની ઉજવણી પ્રભાત તારા મેદાન, રાંચીમાં થઈ હતી.

૨૦૨૦નો વિષય- ઘરે યોગ અને પરિવાર સાથે યોગ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૦ ડિજિટલ મિડિયાના મંચો પર ઉજવવામાં આવશે.

કૉવિડ-૧૯ના રોગચાળાને ધ્યાનમાં લઈને, આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ડિજિટલ મિડિયાના મંચો પર કરવામાં આવશે અને કોઈ સમૂહમાં ભેગા નહીં થાય.

આ વર્ષનો વિષય 'ઘરે યોગ અને પરિવાર સાથે યોગ' હશે. લોકો ૨૧ જૂને સવારે સાત વાગ્યાથી આભાસી (વર્ચ્યુઅલી) રીતે યોગ દિવસની ઉજવણીમાં જોડાવા સમર્થ હશે. વિદેશમાં રહેલાં ભારતીય મિશનો ડિજિટલ મિડિયા તેમજ યોગનું સમર્થન કરતી સંસ્થાઓના નેટવર્ક મારફતે લોકો સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યાં છે.

આયુષ મંત્રાલયે અગાઉ લેહ ખાતે ભવ્ય કાર્યક્રમ રાખવાનું આયોજન કર્યું હતું. જોકે તેને રદ્દ કરવો પડ્યો જેનું કારણ રોગચાળો છે. તદુપરાંત 'માય લાઇફ માય યોગ' વિડિયો બ્લૉગિંગ સ્પર્ધા જે વડા પ્રધાને ૩૧ મેએ શરૂ કરી હતી તેના દ્વારા આયુષ મંત્રાલય અને આઈસીસીઆર યોગ વિશે જાગૃતિ કેળવવા માગે છે અને લોકોને તેના માટે તૈયાર કરવા તેમજ સક્રિય સહભાગી બનાવવા માગે છે.

સ્પર્ધા બે ચરણમાં યોજાશે. વૈશ્વિક સ્તર પર ૨,૫૦૦ અમેરિકી ડૉલર, ૧,૫૦૦ અમેરિકી ડૉલર અને ૧,૦૦૦ અમેરિકી ડૉલર અને ટ્રૉફી તેમજ પ્રમાણપત્ર જે લોકો અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવશે તેમને અપાશે.

વિડિયો બ્લૉગિંગ સ્પર્ધા મોટા પ્રમાણમાં સાક્ષી આપશે જે આપણને યોગ અને તેના લાભો જે માત્ર આરોગ્ય પૂરતા જ સીમિત નથી પરંતુ માનવ જીવન પ્રત્યેના અભિગમ તરફના પણ છે તેના વિશે પ્રચાર કરવામાં મદદ કરશે.

યોગનો હેતુ: યોગનો અંતિમ ઉદ્દેશ્ય મોક્ષ (મુક્તિ) છે.

લાભ: એક રાષ્ટ્રીય સર્વેક્ષણમાં, અમેરિકામાં લાંબા સમયથી યોગાભ્યાસ કરનારાઓએ સ્નાયુ-હાડપિંજર અને માનસિક આરોગ્યમાં સુધારાઓ જણાવ્યા હતા.

શ્રેષ્ઠ યોગ ટૅક્નિક જે તણાવ ઘટાડે છે અને એકાગ્રતા તેમજ રોગપ્રતિકારક શક્તિ સુધારે છે-

અલગ-અલગ યોગ ટૅક્નિક છે. તેમાંની સૌથી સામાન્ય નીચે મુજબ છે-

સૂર્ય નમસ્કાર: તે સૂર્યને નમસ્કાર છે. તેનાથી તણાવ ઘટે છે અને તમને મનની શાંતિ આપે છે ઉપરાંત તમારું એકાગ્રતાનું સ્તર પણ વધારે છે.

ધ્યાન : તે મનની સ્થિતિ છે જેમાં સેન્સર વિચારો નથી હોતા. તેનાથી ખૂબ જ રાહત/આરામ મળે છે, ચિંતા ઘટે છે, સ્નાયુનો તણાવ અને માથાનો દુઃખાવો ઘટે છે.

પ્રાણાયામ : તેનો અર્થ "શ્વાસની હિલચાલમાં વિરામ" થાય છે. તેનાથી આધ્યાત્મિક શક્તિ વધે છે અને પ્રફૂલ્લિતા અને આંતરિક શાંતિ મળે છે.

કૉવિડ અને યોગ-

યોગ એ મહાન સાધન છે જેનાથી શ્વસનતંત્ર સારું થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ બંને કૉવિડ-૧૯ને અટકાવવા અને તેમાંથી સારવાર કરવામાં ઉપયોગી છે.

યોગ અને પ્રાણાયામનો કેટલોક અભ્યાસ રોગપ્રતિકારક શક્તિ અને શ્વસનને લગતી બીમારી સામે લડવામાં મદદ કરે છે- જેમ કે ભ્રામરી નાઇટ્રિક ઑક્સાઇડમાં વધારા દ્વારા રોગપ્રતિકારક શક્તિ સુધારે છે, નાકમાં તેલનાં ટીપાં નાખવા, વરાળને શ્વાસમાં લેવી, ધ્યાન વગેરેથી સોજાનાં ચિહ્નો ઘટે છે અને વાઇરસ વિશિષ્ટ રોગપ્રતિકારક શક્તિના પ્રતિભાવનો પ્રભાવ વધારે છે. ધ્યાન સહિત યોગ સરળ છે અને કૉવિડ-૧૯ને અટકાવવા કે તે થયા પછી તેમાંથી સ્વસ્થ થવા-તેના પછીના પ્રબંધનમાં ઘરે બેઠા તે કરવાથી ઉપયોગી સાબિત થઈ શકે છે.

આયુર્વેદ, યોગ અને ધ્યાનની વધુ હકારાત્મક આરોગ્ય પર્યાવરણ સર્જવામાં સમુદાયને સક્રિય કરવાની સંભાવનાવાળી ભૂમિકા છે.

યોગ કોઈ ચોક્કસ સંપ્રદાય, શ્રદ્ધા પ્રણાલિ કે સમુદાયને વળગી રહેતો નથી. તે આંતરિક સુખાકારી માટે એક ટૅક્નૉલૉજી તરીકે અભિગમ તરીકે વિકસાવી શકાય છે. પૂરેપૂરી તાદાત્મ્યતા સાથે જે કોઈ યોગનો અભ્યાસ કરે છે તેને તેના લાભ મળે જ છે, ચાહે તેની શ્રદ્ધા, વંશીયતા અને સંસ્કૃતિ ગમે તે કેમ ન હોય.

આરોગ્ય અને સુખાકારી માટે યોગનો અભ્યાસ: ખૂબ જ વ્યાપક કરાતી યોગ સાધના (અભ્યાસ) આ મુજબ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણઆ, ધ્યાન, સમાધિ (સમયમ), બંધ અને મુદ્રા, ષટકર્મ, યુક્ત આહાર, યુક્ત કર્મ, મંત્ર જાપ વગેરે. યમ એ નિયંત્રણો છે અને નિયમ એ અવલોકન છે. પ્રાણાયામમાં શ્વાસના ઈરાદાપૂર્વક નિયમનને કાર્યગત અથવા વ્યક્તિના અસ્તિત્વના મહત્ત્વના આધાર તરીકે અનુસરીને વ્યક્તિના શ્વાસ પ્રત્યે જાગૃતિ વિકસાવવાની છે.

વર્તમાન દિવસોમાં અનેક અગ્રણી યોગ સંસ્થાનો, યોગ કૉલેજો, યોગ યુનિવર્સિટીઓ, વિશ્વ વિદ્યાલયોમાં યોગ વિભાગો, નેચરોપથી કૉલેજો તેમજ ખાનગી ટ્રસ્ટ અને સમાજો યોગનું શિક્ષણ આપે છે. અનેક યોગ દવાખાનાં, યોગ ચિકિત્સા અને પ્રશિક્ષણ કેન્દ્રો, યોગના નિવારક આરોગ્ય કાળજી કેન્દ્રો, યોગ સંશોધન કેન્દ્રો વગેરે હૉસ્પિટલો, દવાખાનાંઓ, મેડિકલ સંસ્થાઓ અને ચિકિત્સાને લગતી સંસ્થાઓ દ્વારા સ્થપાયાં છે.

યોગની ભૂમિ ભારતમાં વિવિધ સામાજિક પરંપરાઓ અને પ્રથાઓમાં પર્યાવરણ સંતુલન પ્રત્યે પ્રેમ, અન્ય વિચાર પ્રણાલિઓ પ્રત્યે સહિષ્ણુતા અને તમામ જીવો પ્રત્યે કરુણામય અભિગમનું પ્રતિબિંબ પડે છે. તમામ વર્ણ અને રંગની યોગ સાધનાને સાર્થક જીવન માટે રામબાણ ઔષધિ મનાય છે. યોગ સર્વગ્રાહી આરોગ્યમાં માને છે- ચાહે તે વ્યક્તિગત હોય કે સમાજનું. તેના કારણે તમામ સંપ્રદાયો, વંશ અને રાષ્ટ્રીયતાના લોકો માટે સાર્થક અભ્યાસ બની જાય છે.

પ્રસિદ્ધ યોગ ગુરુઓ

તિરુમલાઈ ક્રિષ્નામાચાર્ય : તેઓ 'આધુનિક યોગના પિતા' તરીકે જાણીતા છે. તેઓ વિન્યાસના સ્થપતિ તરીકે લોકપ્રિય રીતે જાણીતા છે અને તેઓ 'હઠ યોગ'ની પુનઃજાગૃતિ પાછળના મસ્તિષ્ક પણ છે. તેમને આયુર્વેદ અને યોગ બંનેનું જ્ઞાન છે અને સારું આરોગ્ય પ્રાપ્ત કરવા તે બંનેને પ્રમાણસર મિશ્ર કર્યાં છે. એમ કહેવાય છે કે તેમનો તેમના હૃદયના ધબકારા પર અંકુશ છે અને તેમણે તેમના ધબકારા રોકી રાખવાની કળા પણ સિદ્ધ કરી છે!

સ્વામી શિવાનંદ: તેઓ વ્વયસાયે ડૉક્ટર પણ હતા અને સંત પણ હતા. તેઓ તેમની રમૂજ માટે ખૂબ જ જાણીતા હતા. તેમણે એક યોગીમાં જે હોવા જોઈએ તેવી ૧૮ લાક્ષણિકતાઓનું વર્ણન કરતું ગીત લખ્યું હતું અને તેમાં તેમણે ખૂબ જ રમૂજ પણ મૂકી છે! તેમણે ત્રિ યોગ શિખવાડ્યો જે હઠ યોગ, કર્મ યોગ અને માસ્ટર યોગનું સંમિશ્રણ છે.

બી. કે. એસ. આયંગર : તેઓ ટી. ક્રિષ્નામાચાર્યના શરૂઆતના વિદ્યાર્થી છે. તેઓ વિદેશમાં યોગને લોકપ્રિય કરવા પાછળના માણસ છે. બાળપણથી તેમણે અનેક રોગો સામે લડત આપી જેના કારણે તેઓ અત્યંત દુર્બળ બની ગયા. ત્યાર પછી તેઓ યોગ તરફ વળ્યા. તેમણે પતંજલીનાં યોગ સૂત્રોને પુનઃ વ્યાખ્યાતિ કર્યાં અને છેવટે વિશ્વને 'આયંગર યોગ'ની ભેટ આપી. તેમણે ૯૫ વર્ષની ઉંમરે આ નશ્વર દુનિયા છોડી પરંતુ તે ઉંમરે પણ તેઓ અડધી કલાક સુધી શીર્ષાસન કરી શકતા હતા.

કે. પટ્ટાભી જોઈસ: તેમના પ્રકારનો યોગ અષ્ટાંગ વિન્યાસ યોગ અથવા માત્ર અષ્ટાંગ યોગ તરીકે જાણીતો છે. તે પ્રાચીન ગ્રંથ યોગ કોરુંતા પર આધારિત છે. આ યોગે અનેક મહાનુભાવો જેમાં હિન્દી ફિલ્મો કે અંગ્રેજી ફિલ્મો (હૉલિવૂડ)ના કલાકારોનો સમાવેશ થાય છે તેમને સુંદર દેહાકૃતિ મેળવવામાં મદદ કરી છે; જેમ કે મેડોના, ગ્યાનેથ પૅલ્ટ્રૉ અને કરીના કપૂર.

મહર્ષિ મહેશ યોગી: તેમણે અનુભવાતીત ધ્યાનની ટૅક્નિકમાં સંપૂર્ણતા પ્રાપ્ત કરી હતી જેનાથી લોકપ્રિય અમેરિકી બૅન્ડ બીએટલ્સ આકર્ષાયું હતું. તે મંત્ર ધ્યાનનો એક પ્રકાર છે જે બંધ આંખે કરવામાં આવે છે.

પરમહંસ યોગાનંદ : તેમણે પશ્ચિમને ક્રિયા યોગની ટૅક્નિકનો પરિચય કરાવ્યો. યોગનો તેમનો પ્રકાર ક્રિયા તરીકે જાણીતા ચોક્કસ કાર્ય દ્વારા અનંત (અંતહીન) સાથે એક થવા પર ભાર મૂકે છે.

બાબા રામદેવ : તેમની સામૂહિક યોગ શિબિરોથી યોગ ફરીથી મુખ્ય પ્રવાહમાં પાછો ફર્યો. ટીવી પર અને સીડી વગેરે દ્વારા તેમના યોગાભ્યાસને ઘરે આરામથી બેસીને જોઈને તેની સાથે યોગ કરી શકાતા હોવાથી વિશાળ સમૂહો યોગ તરફ પાછા વળ્યા છે.

તારણ: આજકાલ વિશ્વભરના લાખો-લાખો લોકો યોગના અભ્યાસથી લાભાન્વિત થાય છે. પ્રાચીન સમયથી મહાન અગ્રણી યોગીઓ દ્વારા તેને જાળવી રખાઈ છે અને આજની તારીખ સુધી તેને પ્રોત્સાહિત કરાઈ છે. મનને કેળવવાના અભ્યાસ તરીકે યોગ સ્વ ચેતના, સ્વ નિયંત્રણ અને આત્મ વિશ્વાસ વધારવામાં મગજની સાચી મૂળભૂત મર્યાદામાં મદદ કરી શકે છે. યોગનો અભ્યાસ દિનપ્રતિદિન ખૂબ જ ફૂલીફાલી રહ્યો છે- વિકસી રહ્યો છે.

યોગને સમજવાનો શ્રેષ્ઠ રસ્તો : જાતે અનુભવ કરી જુઓ!

Last Updated : Jun 21, 2020, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.