ETV Bharat / bharat

પેટ્રોલ ડિઝલના વધતા ભાવોથી દોહ્યલું બન્યું જીવન

author img

By

Published : Dec 20, 2020, 10:21 PM IST

9 ડિસેમ્બર 2020ના રોજ ભારતમાં પેટ્રોલ ડિઝલના ભાવો ઓક્ટોબર 2018 પછીની સર્વોચ્ચ સપાટી પહોંચી ગયા. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા થયો, જ્યારે ડિઝલનો ભાવ પણ વધીને 73.87 લીટર દીઠ પહોંચી ગયો. (મુંબઈ જેના શહેરોમાં પેટ્રોલ 90 રૂપિયાને વટાવી ગયું છે.) થોડા દિવસ ભાવો સ્થિર રહ્યા, પણ ભાવો હજીય વધી શકે છે, કેમ કે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવો ફરી વધવાનું શરૂ થયું છે.

પેટ્રોલ ડિઝલના વધતા ભાવોથી દોહ્યલું બન્યું જીવન
પેટ્રોલ ડિઝલના વધતા ભાવોથી દોહ્યલું બન્યું જીવન

ન્યુઝ ડેસ્કઃ પેટ્રોલિયમ પદાર્થોના ભાવવધારા પાછળ બે મુખ્ય પરિબળો છે. એક છે આંતરરાષ્ટ્રીય ખનીજ તેલના ભાવોમાં થતો વધારો. ભારત ક્રૂડ ઑઇલની આયાત કરે છે તે બ્રેન્ટ ક્રૂડ પ્રાઇસ પ્રમાણે હોય છે. એપ્રિલ 2020માં બ્રેન્ડ ક્રૂડનો ભાવ ઘટીને એક બેરલના $19 ડૉલર થઈ ગયો હતો. તે પછી લૉકડાઉન દૂર થવા લાગ્યા તેમ ભાવો વધવા લાગ્યા અને હાલમાં ફરી $49 ડૉલર સુધી પહોંચી ગયા.

આ વધઘટ સાથે ભારતમાં પણ પેટ્રોલિયમ પદાર્થોના ભાવો નક્કી થાય છે, કેમ કે 2010થી ભારતમાં આ પદાર્થોના ભાવોને સરકારી નિયંત્રણોમાંથી મુક્ત કરાયા છે. પરંતુ લોકોની કઠણાઇ એ છે કે સરકાર ભાવ તરત વધારી દે છે, પણ ક્રૂડના ભાવો ઘટે ત્યારે તેનો લાભ લોકોને આપતી નથી. તેના બદલે સરકાર તેના પર એક્સાઇસ વધારીને તગડી કમાણી કરી લે છે.

બીજું કે લૉકડાઉન ખુલ્લા પછી ફરીથી આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ અને વાહન વ્યવહાર વધવા લાગ્યો એટલે પેટ્રોલ ડિઝલની માગ પણ પૂર્વવત થઈ ગઈ છે.

લોકો પર વેરાનો બોજ

આંતરરાષ્ટ્રીય ખનીજ તેલના ભાવ વધે અને લોકોને પેટ્રોલ મોંઘું પડે તે સમજ્યા, પરંતુ આંતરરાષ્ટ્રીય ભાવ ઘટે ત્યારે તેનો લાભ અપાતો નથી. છેલ્લે 4 ઑક્ટોબર, 2018ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ સર્વોચ્ચ 84 રૂપિયા પહોંચ્યો હતો. તે વખતે ક્રૂડનો ભાવ એક બેરલના $80 ડૉલરની આસપાસ હતો. આજે તે ભાવ ઘણો ઓછો $49 ડૉલર છે, છતાં લોકોને અગાઉ કરતાંય વધારે મોંઘું પેટ્રોલ મળે તેવું બનશે.

તેનું કારણ એટલા માટે કે મોદી સરકારે કોરોના કાળમાં ક્રૂડના ભાવ બહુ ઘટી ગયા ત્યારે તેના પર એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી હતી. રાજ્ય સરકારોએ પણ વેટના દર વધારી દીધા હતા. અત્યારે પેટ્રોલિયમ પદાર્થો પર ટેક્સની ગણતરી કરો તો દિલ્હીમાં પેટ્રોલ પર તે 63 ટકા છે, જ્યારે ડિઝલ પર વેરાનો બોજ 60 ટકા જેટલો છે.

પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનેલિસિસ સેલ (PPAC)ના જણાવ્યા અનુસાર એપ્રિલ 2020 પછી દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 56 વાર અને ડિઝલના ભાવમાં 67 વાર ફેરફાર થયો છે. સપ્ટેમ્બર અને ઑક્ટોબર બે મહિનાને બાદ કરો તો બાકીના સમયગાળામાં ભાવોમાં વધારો જ થયો છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રૂડનો ભાવ નીચે જઈ રહ્યો હતો, પણ સરકારોએ વેરા વધાર્યા અને કમાણી કરી લીધી.

હવે જ્યારે પેટ્રોલ ડિઝલના ભાવો સર્વોચ્ચ સપાટીએ પહોંચી રહ્યા છે ત્યારે પ્રજા પરેશાન થઈ રહી છે.

વધતા ભાવોની અસર

સરકાર ટેક્સ વધારીને આવક મેળવી લે, પરંતુ તેના કારણે લોકોના જીવનધોરણ પર આડઅસર થાય છે. સૌ પ્રથમ તો ડિઝલના વધતા ભાવોને કારણે ફુગાવો વધશે અને મોંઘવારીનો માર લોકોને ઓલરેડી પડવા લાગ્યો છે.

હાલમાં ભારતનો રિટેલ ઇન્ફ્લેશન, ગ્રાહક ભાવાંક 7.6 ટકા છે, જે સાત વર્ષમાં સૌથી વધુ છે. બાર્કલેઝના અંદાજ પ્રમાણે ક્રૂડ ઑઇલના ભાવમાં બેરલ દીઠ $10 ડૉલરનો વધારો થાય તો ડિઝલના ભાવમાં લીટરના 5.8 જેટલો વધારો થઈ જાય. તેના કારણે ફુગાવાના દરમાં 0.34 ટકા જેટલો વધારો થઈ જાય.

જો સરકાર હાલમાં લેવામાં આવતો વેરો નહિ ઘટાડે તો આગામી સમયમાં ફુગાવો અને મોંઘવારી વધી શકે છે. બીજું કે હવે વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો છે ત્યારે પેટ્રોલિયમ પદાર્થોની માગ યથાવત રહેવાની છે, તેથી આંતરરાષ્ટ્રીય ભાવો પણ ઘટવાના નથી. તે સંજોગોમાં હવે સરકારે વેરાની કમાણી કરી લેવાના બદલે પ્રજાને રાહત આપવાનું વિચારવું જરૂરી છે.

બીજું કે ભાવો આનાથી વધશે તો લોકો ઓછું પેટ્રોલ અને ડિઝલ વાપરતા થશે. તે રીતે માગમાં ઘટાડો થાય તેનાથી પણ અર્થતંત્રને તો નુકસાન જ છે. બીજું કે વધતા ભાવોથી લોકોએ વધારે ખર્ચ ત્યાં કરવો પડે એટલે બીજી ખરીદી ઘટે. તેથી પણ અર્થતંત્રમાં માગ ઘટશે અને તેનાથી લાંબા ગાળે અર્થતંત્રને નુકસાન જ થશે.

ત્રીજું, ડિઝલનો સૌથી વધુ ઉપયોગ ટ્રાન્સપોર્ટ માટે અને ખેતી તથા ઉદ્યોગમાં થતો હોય છે. તેના કારણે ટ્રાન્સપોર્ટ સેક્ટરને ભારે પડી રહ્યું છે અને ભાડાં ઊંચા જવાના કારણે મોંઘવારી વધી રહી છે. આ સંજોગોમાં કોરોના પછી અર્થતંત્રને બેઠું કરવાના પ્રયાસોમાં આ ઊંચા ભાવ નડતરરૂપ થશે.

સરકારે આ બાબત પર હવે વિચાર કરવો પડે તેમ છે અને પેટ્રોલ ડિઝલ પરના વેરામાંથી કમાણીની લાલચ છોડવી પડશે. પેટ્રોલિયમ પદાર્થો પર નાખવામાં આવેલા તગડાં વેરા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ ઓછા કરવા જરૂરી બન્યા છે.

સાથે જ સરકારે લાંબા ગાળે વૈકલ્પિક ઉર્જા માટેના પ્રયાસોને તેજ કરવાની જરૂર છે. ખનીજ તેલની આયાત પર નિર્ભરતા ઓછી કરવાની વાતો વર્ષોથી થતી આવી છે, પણ તે દિશામાં ભાગ્યે જ કોઈ નક્કર પ્રયાસો થયા છે. ધૂમાડો કાઢતા બળતણની જગ્યાએ સ્વચ્છ અને નૈસર્ગિક ઉર્જાની દિશામાં કામ કરવાની તાતી જરૂર છે.

-ડૉ. મહેન્દ્ર બાબુ કુરુવા, આસિસ્ટન્ટ પ્રોફેસર, એન. એન. બી. ગઢવાલ સેન્ટ્રલ યુનિવર્સિટી, ઉત્તરાખંડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.