ETV Bharat / bharat

NEET-JEEને મોકૂફ રાખવા માટે વિપક્ષી નેતા સુપ્રીમ કોર્ટમાં જશે, રાહુલે કહ્યું - વિદ્યાર્થી વિરોધી સરકાર

author img

By

Published : Aug 26, 2020, 5:13 PM IST

દેશના ઘણાં રાજ્યોના મુખ્યપ્રધાનોએ NEET અને JEEની પરીક્ષા મુલતવી રાખવા સુપ્રીમ કોર્ટમાં જવાનો સંકેત આપ્યો છે. ઝારખંડના CM હેમંત સોરેને સોનિયા ગાંધીએ બોલાવેલી બેઠકમાં આ વાત કહી હતી. અગાઉ સોનિયા ગાંધીએ NEET-JEE પરીક્ષા અને જીએસટીના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું છે કે, નવી શિક્ષણ નીતિ ખરેખર એક આંચકો છે. તમને જણાવી દઈએ કે, સોનિયા ગાંધી બિન ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે.

sonia-gandhi-to-hold-meeting-with-cms-of-congress-over-neet-jee-exam
NEET-JEEને મોકૂફ રાખવા માટે વિપક્ષી નેતા સુપ્રીમ કોર્ટમાં જશે

નવી દિલ્હીઃ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી બિન ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી રહ્યાં છે. ઘણાં નેતાઓએ આ બેઠકમાં કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે NEET અને JEEની પરીક્ષા મુલતવી રાખવા માટે આગળ વધવું જોઈએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને વિદ્યાર્થી વિરોધી ગણાવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, 'NEET અને JEEની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ તેમના સ્વાસ્થ્ય અને ભવિષ્યને લઈને ચિંતિત છે.' રાહુલે કહ્યું કે, કેન્દ્ર સરકારે પરીક્ષામાં સામેલ તમામ લોકોના હિતની કાળજી લેવી જોઈએ અને સ્વીકાર્ય સમાધાન શોધવું જોઈએ.

  • છત્તીસગઢના CM ભૂપેશ બઘેલએ કહ્યું કે, કેન્દ્ર દ્વારા છેલ્લા ચાર મહિનાથી રાજ્યોને જીએસટી વળતર આપવામાં આવ્યું નથી. આજે રાજ્યોની સ્થિતિ ભયાવહ છે.
  • મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, જ્યારે યુ.એસ.માં શાળાઓ ખોલવામાં આવી હતી, ત્યારે આશરે 97,000 બાળકો સંક્રમિત થયા હતા, જો ભારતમાં આવી સ્થિતિ થાય તો આપણે શું કરીશું ?
  • પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, આ મુદ્દાને સુપ્રીમ કોર્ટ લઈ જવો જોઈએ. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, કોરોનામાં સ્થિતિ વધુ વણસી રહી છે. તેનાથી બચવા માટે રાજ્યએ અત્યાર સુધીમાં લગભગ 500 કરોડનો ખર્ચ કર્યો છે.
  • પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ કહ્યું કે, જો વડાપ્રધાન આપણી વાત નહીં માને તો તમામ રાજ્યોએ સુપ્રીમ કોર્ટ જવું જોઈએ.
  • ઝારખંડના CM હેમંત સોરેન કહે છે કે, સુપ્રીમ કોર્ટ જતાં પહેલા વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિ સાથે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંબંધિત જાહેરાતો આપણને ખરેખર ચિંતામાં મૂકી શકે છે. તેમણે કહ્યું કે, નવી શિક્ષણ નીતિ ખરેખર એક આંચકો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, 'વિદ્યાર્થીઓ અને પરીક્ષાઓની અન્ય સમસ્યાઓ પર પણ અજાણતાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.' સોનિયા ગાંધીએ કહ્યું કે, 11 ઓગસ્ટે નાણાં અંગે સ્થાયી સંસદીય સમિતિની બેઠકમાં કેન્દ્ર સરકારના નાણા સચિવએ જણાવ્યું હતું કે, કેન્દ્ર વર્તમાન વર્ષ માટે 14 ટકા જેટલું જીએસટી વળતર ચૂકવવાની સ્થિતિમાં નથી. તેમણે કહ્યું કે, આ ઇનકાર મોદી સરકારના વિશ્વાસઘાતથી ઓછું નથી.

સોનિયા ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યોના પ્રતિનિધિઓ સાથે પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને મહારાષ્ટ્રના પ્રતિનિધિઓ સાથે NEET-JEE પરીક્ષા અને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના બાકી મુદ્દાઓ પર બેઠક યોજી રહી છે.

sonia-gandhi-to-hold-meeting-with-cms-of-congress-over-neet-jee-exam
NEET-JEEને મોકૂફ રાખવા માટે વિપક્ષી નેતા સુપ્રીમ કોર્ટમાં જશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ જાહેરાત કરી છે કે, JEE (મેઈન) 1થી 6 સપ્ટેમ્બર દરમિયાન અને NEET (UG)ની પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે NEET JEE પરીક્ષા મુલતવી રાખવાની અરજી નામંજૂર કરી હતી. ઘણા રાજ્યોના પ્રધાનો કેન્દ્રના પરીક્ષા યોજવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમને NEET અને JEE પરીક્ષાઓની તારીખો અંગે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન ફાઇલ કરવા વિચારણા કરવાની વિનંતી કરી છે.

કેન્દ્રીય નાણા મંત્રાલયે કહ્યું કે, કોરોના રોગચાળાને કારણે આર્થિક ગતિ ધીમી પડી છે. જુલાઈ મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની આવક સંગ્રહ 87,422 કરોડ રૂપિયા રહી છે, જે ગત વર્ષ કરતા 14 ટકા ઓછો છે. જુલાઈ મહિનામાં નિયમિત સમાધાન બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા મેળવેલી કુલ આવક સેન્ટ્રલ ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (CGST) માટે 39,467 કરોડ રૂપિયા અને ગુડ્સ અને સર્વિસ ટેક્સ (એસજીએસટી) માટે 40,256 કરોડ રૂપિયા રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.