જયપુરઃ રાજસ્થાનમાં લોકડાઉનને કારણે બંધ કરવામાં આવેલા ગ્રામિણ વિસ્તારોના ધાર્મિક અને પૂજા સ્થાનો કે જેમાં મર્યાદિત સંખ્યામાં ભક્તો આવે છે, તે તમામ ધાર્મિક સ્થાનોને 1 જૂલાઇથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ તમામ ધાર્મિક સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોનાથી બચવા માટેના તમામ રક્ષણાત્મક પગલાનું પાલન કરવું ફરજિયાત રહેશે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે દેશના જૂદા જૂદા ભાગોથી રાજસ્થાન આવી રહેલા લોકો માટે 14 દિવસનું હોમ કોરેન્ટાઇનને પણ હટાવવાના નિર્દેશ આપ્યા છે.
મુખ્યપ્રધાન નિવાસસ્થાને કોરોના ચેપની સ્થિતિની સમીક્ષા બેઠકમાં મુખ્યપ્રધાને આ સૂચના આપી હતી. આ દરમિયાન મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે બંધ થયેલા ધાર્મિક સ્થળો ખોલવા માટે જિલ્લા કલેક્ટરોની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિઓના સૂચનના આધારે હાલમાં શહેરી વિસ્તારોમાં આવેલા તમામ ધાર્મિક વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યા ભક્તોની ભીડ વધું હોય તે ધાર્મિક સ્થળોને ખોલવામાં આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર માટે લોકોની સુરક્ષા સર્વોચ્ચ છે. તેથી, લોકોના હિતમાં હાલ આ કરવું જરૂરી છે. મુખ્યપ્રધાનના જણાવ્યાં મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં ફક્ત તે જ ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે કે જ્યાં દરરોજ 50 કરતા ઓછા લોકો આવે છે.
રાજસ્થાનમાં 21 જૂનથી શરૂ થયેલા તેમજ 30 જૂન સુધી ચાલનારા કોરોના જાગૃતિ અભિયાનના સમયગાળાને પણ 1 સપ્તાહ સુધી વધારવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની સૂચનાથી આ જાગૃતિ અભિયાન હવે રાજ્યમાં 7 જુલાઇ સુધી ચાલશે.