નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઓડિશાના પુરીમાં દર વર્ષે યોજાતી રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો છે. આ રથયાત્રા રોકવાનો આ નિર્ણય કોરોના વાઇરસ (કોવિડ -19) રોગચાળાને કારણે લેવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે, પુરીમાં જગન્નાથ રથયાત્રાની ઉજવણી અને અન્ય તમામ સંબંધિત પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. કોર્ટે કહ્યું કે, લોકોના જીવને જોખમમાં મૂકી શકાય નહીં.
આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચમાં થઈ હતી. કોર્ટે કહ્યું, 'જો આપણે આ વર્ષે રથયાત્રામાં જોડાઈશું તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે.'
કોર્ટે કહ્યું કે, કોરોના માહામારી દરમિયાન લોકોના ટોળા કે ભીડને મંજૂરી આપી શકાતી નથી.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, જાહેર આરોગ્ય અને નાગરિકોના સલામતીના હિતમાં આ વર્ષે રથયાત્રાને મંજૂરી આપી શકાય નહીં. અદાલતે પોતાના આદેશમાં રાજ્ય સરકારના એ આદેશને પણ ટાંક્યો હતો. જેમાં 30મી જૂન સુધી જાહેર સભા પર પ્રતિબંધ મૂકેલો છે.
અગાઉ ઓડિશા હાઈકોર્ટે કહ્યું હતું કે, ધાર્મિક કાર્યક્રમો યોજવા દેવા કે નહીં તે રાજ્ય સરકાર પર નિર્ભર છે, પરંતુ જો તે કાર્યક્રમની મંજૂરી આપે તો કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટેના તમામ માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. અને તે જ સમયે વ્યક્તિએ મશીનો અથવા હાથી દ્વારા લોકોની જગ્યાએ રથ ખેંચવાનો વિચાર કરવો જોઇએ.