નવી દિલ્હી : મધ્ય પ્રદેશમાં રાજનૈતિક ઉતાર ચઢાવ તેની ચરમસીમા પર છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી ગતરોજ સુધી સ્થગીત કરવામાં આવી હતી. આ અંગે સુનાવણી આવતીકાલે 10:30 કલાકે હાથ ધરવામાં આવશે. મધ્ય પ્રદેશની સરકાર તરફથી વકીલ દુષ્યંત દવેએ સુનાવણી દરમિયાન માગ કરી હતી કે, આ કેસ સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠને સોંપવામાં આવે. જો આ સુનાવણી આજે નહિ થાય તો આભ પડવાનું નથી. દવેએ આરોપ લગાવ્યો હતો કે, મધ્ય પ્રદેશના કોંગ્રેસી ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે.
![MP Cong in SC seeks deferment of trust vote till by-polls, says heavens won't fall if govt continues](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6452422_sc.jpg)
આ સુનાવણી દરમિયાન 16 ધારાસભ્યો તરફે દલીલ કરતા વકીલ મનિંદર સિંહે જણાવ્યું હતું કે, કોઈપણ ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા નથી. પરંતુ કોંગ્રેસના વકીલ દુષ્યંત દવેએ પોતાની દલીલમાં જણાવ્યું છે કે, દુનિયા કોરોના વાઈરસના ગંભીર સંકટમાંથી ગુજરી રહી છે, ત્યારે આ મામલે સુનાવણીની ઉતાવળ કરવાની જરૂર નથી.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના 22 ધારાસભ્યોએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. જે કારણે મધ્ય પ્રદેશ સરકારે બહુમતિ ગુમાવી દીધી છે. જેના પગલે મધ્ય પ્રદેશના ગવર્નર લાલજી ટંડને વિધાનસભા સ્પીકરને ફ્લોર ટેસ્ટ કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સ્પીકર દ્વારા કોરોના વાઈરસને ધ્યાનમાં રાખી 26 માર્ચ સુધી વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી છે. સ્પીકરના આ નિર્ણય સામે ભારતીય જનતા પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટ આ મામલે પહેલા મંગળવારે સુનાવણી કરે તેવી શક્યતા હતી, પરંતુ કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ વકીલ હાજર ન રહેતા સુનાવણી મુલતવી રાખી હતી. જે બાદ આ સુનાવણી બુધવાર સુધી સ્થગિત રાખી હતી. આ તકે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરશે.