ETV Bharat / bharat

કોવિડ-19ના કારણે 70 લાખ બાળકો ભુખમરો અને કુપોષણના શિકાર બનશેઃ યુએન

author img

By

Published : Aug 13, 2020, 10:54 PM IST

hunger and malnutrition
કોવિડ-19ના કારણે 70 લાખ બાળકો ભુખમરો અને કુપોષણના શિકાર બનશે

કોરોના વાઇરસની મહામારીના કારણે સર્જાયેલી અભૂતપૂર્વ આરોગ્યની અને આર્થિક કટોકટીના કારણે વિશ્વભરમાં 70 લાખ બાળકો કુપોષણ અને ભુખમરાના શિકાર બની શકે છે એમ યુનાઇટેડ નેશન્સે તેની મંગળવારે પ્રસિદ્ધ થયેલી સમીક્ષામાં કહ્યું હતું. આ સમીક્ષા મુજબ આ પૈકીના 80 ટકા બાળકો સહરાના રણની આસપાસ પથરાયેલા આફ્રિકા ખંડના અને દક્ષિણ એશિયાના દેશોના હશે.

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની મહામારીના કારણે સર્જાયેલી અભૂતપૂર્વ આરોગ્યની અને આર્થિક કટોકટીના કારણે વિશ્વભરમાં 70 લાખ બાળકો કુપોષણ અને ભુખમરાના શિકાર બની શકે છે એમ યુનાઇટેડ નેશન્સે તેની મંગળવારે પ્રસિદ્ધ થયેલી સમીક્ષામાં કહ્યું હતું. આ સમીક્ષા મુજબ આ પૈકીના 80 ટકા બાળકો સહરાના રણની આસપાસ પથરાયેલા આફ્રિકા ખંડના અને દક્ષિણ એશિયાના દેશોના હશે.

કોવિડ-19ની મહામારીના કારણે વિશ્વભરમાં અને વિશેષ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં પોષણની સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવી હતી જેના માઠા પરિણામો આજે યુવાન બાળકો ભોગવી રહ્યા છે. આ મહામારીના કારણે જે આઘાત પેદા થયો છે તેના કારણે અને ખોરવાઇ ગયેલી પોષણ સેવાઓ તથા તેઓના ભોજનની ઉત્તરોઉત્તર કથળતી જતી સ્થિતિના કારણે વધુને વધુ મહિલાઓ અને બાળકો કુપોષણનો શિકાર બની રહ્યા છે એમ લાન્સેટ નામના જર્નલમાં પ્રસિદ્ધ થયેલી સમીક્ષામાં UNની ચાર સંસ્થા WHO, World Food Program, UNICEF અને FAOના અધ્યક્ષોએ કહ્યું હતું.

ખોરવાઇ ગયેલી ફૂડ સપ્લાય ચેઇનના કારણે બાળકોના ભોજનની ગુણવત્તા કથળી ગઇ છે તે મુદ્દાનો ઉલ્લેખ કરતાં સમીક્ષામાં કહેવામાં આવ્યું હતું કે, ઘરદીઠ ગરીબાઇ અને અન્નની અસુરક્ષા વધી ગઇ છે. જરૂરી પોષણ સેવાઓ અને સપ્લાય ચેઇન ખોરવાઇ ગઇ છે. ખાદ્ય પદાર્થોના ભાવ વધી ગયા છે, જેના પરિણામે બાળકોના ભોજનની ગુણવત્તા કથળી ગઇ છે અને તેના પરિણામ સ્વરૂપ કુપોષણનો દર વધી જશે.

5 વર્ષથી ઓછી વયજૂથના બાળકોને સૌથી વધુ અસર પડશે જેના પગલે યુવાન લોકોની સંખ્યામાં ઘટાડો થશે એવો મુદ્દો ઉઠાવતા સમીક્ષામાં કહેવામાં આવ્યું હતું કે, આ એક જીવલેણ પ્રકારનું કુપોષણ છે જે બાળકોને અત્યંત નબળા અને પાતળા બનાવી દે છે જેના કારણે તેઓની શારીરિક વૃદ્ધિ અને શૈક્ષિણક વિકાસ અત્યંત નબળો પડવાનું જોખમ વધી જાય છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોવિડ-19ની મહામારી ત્રાટકી તે પહેલાં પણ વિશ્વમાં 4.7 કરોડ બાળકો અત્યંત પાતળા અને નબળા હતા જેઓ મોટા ભાગે સહરાના રણની આસપાસ પથરાયેલા આફ્રિકા ખંડના જુદા જુદા દેશો અને દક્ષિણ એશિયાના દેશોમાં રહેતાં હતા, અને હવે લોકડાઉનના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર થંભી જતાં મદદની સામગ્રીનો પૂરવઠો પણ ખોરવાઇ ગયો છે એમ કહેતાં યુનાઇટેડ નેશન્સે ચેતવણી ઉચ્ચારી હતી કે કોરોના વાઇરસની મહામારીના કારણે લાખો લોકોના આરોગ્ય ઉપર આંતરરાષ્ટ્રીય અસર ઉભી કરશે.

આ વર્ષે બાળકોના શરીર નબળા પડી શકવાનું પ્રમાણ દર્શાવી શકાય છે તે ટકાવારીના આંકડા રજૂ કરતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું આ વર્ષે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં કોવિડ-19ના પગલે પડેલી સામાજિક અને આર્થિક અસરના કારણે પાંચ વર્ષથી ઓછી વયના બાળકોના શરીર નબળા પડવાનો દર 14.3 ટકા જેટલો રહેશે. આ સમીક્ષામાં સમાવિષ્ટ નેતાઓએ કહ્યું હતું કે તેઓની વિવિધ એજન્સીઓના અંદાજ મુજબ આ બાળકોનું રક્ષણ કરતા તાત્કાલિક 2.4 અબજ ડોલરની જરૂર છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે કોવિડ-19ના કારણે અન્ય પ્રકારના બાળ-કુપોષણની સમસ્યા સર્જાઇ શકે છે જેમાં ઓછો શારીરિક વિકાસ, અતિસુક્ષ્મ કુપોષણના કારણે સર્જાતી ઉણપ અને શરીરનું વજન વધી જેવી સમસ્યાનો સમાવેશ થાય છે.

આ સમસ્યાના ઉકેલ માટે વૈશ્વિક સમુદાય જો અત્યારે પગલાં લેવામાં નિષ્ફળ જશે તો બાળકો, માનવ સંપદા અને તમામ રાષ્ટ્રોના અર્થતંત્ર ઉપર દીર્ઘકાલિન માઠી અસરો પડશે એમ યુએન દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.