પ્રમુખ મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરશે. મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદ આજે આ સંદર્ભે પોતાની અરજી દાખલ કરશે.
જમિયતની કારોબારી સમિતિએ ગત 14 નવેમ્બરના રોજ પાંચ સદસ્યોની પેનલની રચના કરી હતી. જેમાં કાયદાના નિષ્ણાંત અને ધાર્મિક બાબતોના વિદ્વાવોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમિતિની રચના સુપ્રીમ કોર્ટના નિર્ણયના દરેક પાસાને ચકાસવા માટે કરવામાં આવી હતી.
જમિયતના વડા મૌલાના અરશદ મદનીએ આ સમિતિનું નેતૃત્વ કર્યું હતું. આ સમિતિમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાને પડકારતી સમીક્ષા અરજી કરવાની સંભાવના પર ધ્યાન આપવામાં આવ્યું હતું. સમિતિએ ભલામણ કરતાં જણાવ્યું કે, આ મામલે સમીક્ષા અરજી દાખલ કરવામાં આવે.
આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાનો નિર્ણય પહેલાં જ આપી ચુકી છે. જે મુજબ વિવાદીત જમીન રામલલાને આપવામાં આવી છે. અને કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવી મંદિર નિર્માણ મામલે આગળની કાર્યવાહી કરશે. સાથે જ મુસ્લિમ પક્ષકારને અયોધ્યામાં અન્ય સ્થળે પાંચ એકર જમીન ફાળવવા આદેશ કરવામાં આવ્યો છે.