અમદાવાદઃ આઈસીસી વર્લ્ડ કપ 2023 ટૂર્નામેન્ટમાં અમદાવાદ ખાતે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ પૂર્વે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી છે. પેટ કમિન્સે ટીમના પર્ફોર્મન્સ અને ખેલાડીઓના ફોર્મ વિશે વાત કરી છે.
મેક્સવેલ મેચ નહીં રમી શકેઃ ઓસ્ટ્રેલિયન ટીમનો સ્ટાર ખેલાડી ગ્લેન મેક્સવેલ ઈજાગ્રસ્ત છે. ઈજાને પરિણામે મેક્સવેલ ઈંગ્લેન્ડ વિરુદ્ધની મેચ નહીં રમી શકે તેમ કેપ્ટન પેટ કમિન્સે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે મિશેલ માર્શ અત્યારે પર્થ રવાના થયો હોવાથી તે પણ આ મેચમાં નહીં રમી શકે. આમ ઓસ્ટ્રેલિયાની ટીમમાં આ બંને ખેલાડીઓ ગેરહાજર હોવાથી ટીમના કોમ્બિનેશન પર અસર પડશે. જો કે મેક્સવેલ ઈજામાંથી સાજો થયા બાદ અમદાવાદ સિવાયની બાકીની મેચ રમી શકે તેવી સંભાવના છે. અમે સેમિફાઈનલ અગાઉની ત્રણેય મેચ પર ફોકસ કરીશું. મહત્વની ટૂર્નામેન્ટ અને સતત ચાલતા પ્રવાસમાં 15થી વધુ ખેલાડીઓની ટીમ જે તે દેશ માટે ઉપયોગી બની રહે છે.
ઈંગ્લેન્ડ સ્ટ્રોંગ કોમ્પિટિટરઃ પેટ કમિન્સ શનિવારની મેચમાં હરિફ ટીમ ઈંગ્લેન્ડ વિશે જણાવે છે કે અમારા માટે ઈંગ્લેન્ડ એક સ્ટ્રોંગ કોમ્પિટિટર છે. આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની અપેક્ષા મુજબની રમત રહી નથી, પરંતુ અમે ઈંગ્લેન્ડને હળવાશથી નહીં લઈએ. 2019ની ઈંગ્લેન્ડની ટીમ કરતા અત્યારે ઈંગ્લેન્ડની અલગ ટીમ છે. અત્યારની ઈંગ્લેન્ડની ટીમ અમને મજબૂત ટક્કર આપી શકે તેમ છે. અમે ઈંગ્લિશ પ્લેયર્સની રમતને કેરફૂલી હેન્ડલ કરીશું.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવું રોમાંચક છેઃ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવું અમારા માટે અતિ રોમાંચકપૂર્ણ છે. અમને અહીં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્ટેડિયમ જેવી અનુભૂતિ થાય છે. આ સ્ટેડિયમમાં પ્રેક્ષકો તરફથી મળતી પ્રતિક્રિયા દરેક ટીમ, દરેક ખેલાડી માટે મહત્વની બની રહે છે. અમે આ સ્ટેડિયમમાં રમાનાર મેચ માટે ખૂબ ઉત્સાહી છીએ. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ જેવા કટ્ટર હરિફ સામે મેચ રમવા અમે ઉત્સાહી છીએ.
ટોસ જીતવો મહત્વનોઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધની મેચમાં જે ટીમ ટોસ જીતશે તેના મેચ જીતવાના ચાન્સિસ વધશે તેવું પેટ કમિન્સ જણાવે છે. પેટ કમિન્સે કહ્યું કે આ મેચમાં ટોસ જીતવો બહુ મહત્વનો છે. અમારા બોલર 147ની સ્પીડ સુધી બોલ ફેંકી શકે છે. જે અમારા માટે મહત્વનું છે. આ સ્ટેડિયમમાં બેટિંગને પણ ફાયદો મળતો હોવાથી અમારા માટે બેટિંગ પણ ફાયદાકારક બની રહેશે.