નવી દિલ્હીઃ પંજાબમાં કૉંગ્રેસ MLAની ધરપકડ બાદ ઈન્ડિયા ગઠબંધનમાં વિખવાદ થયો છે તેવી વાતો ચાલી રહી છે.જેના પર શુક્રવારે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સત્તાવાર નિવેદન આપી ચોખવટ કરી છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તેઓ અને તેમની પાર્ટી ઈન્ડિયા ગઠબંધન પ્રત્યે સમર્પિત છે. તેઓ કોઈ સંજોગોમાં ઈન્ડિયા ગઠબંધન નહીં છોડે.
અમારે એક એવી વ્યવસ્થાની રચના કરવી છે જેમાં દેશનો દરેક આદમી પોતાને વડાપ્રધાન હોવાનો અનુભવ કરી શકે. તેથી જ ઈન્ડિયા ગઠબંધન પ્રત્યે હું અને આમ આદમી પાર્ટી પ્રતિબદ્ધ છીએ. ઈન્ડિયા ગઠબંધનમાં હજુ સુધી બેઠક ફાળવણીની ફોર્મ્યૂલા તૈયાર થઈ નથી. આ ફોર્મ્યૂલા તૈયાર થવામાં થોડો સમય લાગશે પણ બેઠક ફાળવણીનો નિર્ણય સત્વરે કરવામાં આવશે...અરવિંદ કેજરીવાલ(રાષ્ટ્રીય સંયોજક, આમ આદમી પાર્ટી)
કૉંગ્રેસ MLAની ધરપકડઃ પંજાબમાં કૉંગ્રેસ MLAની ધરપકડ મુદ્દે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં વિખવાદ ચાલી રહ્યો હોવાના પ્રશ્નનો પણ તેમણે જવાબ આપ્યો હતો. કેજરીવાલે જણાવ્યું કે ગઈકાલે પંજાબ પોલીસે કૉંગ્રેસ નેતાની ધરપકડ કરી છે. મારી પાસે આ મુદ્દે વધુ વિગતો નથી. વધુ માહિતી પંજાબ પોલીસ આપી શકશે. જો કે અમે નશા વિરૂદ્ધ લડાઈ શરૂ કરકી છે. મારે કોઈ વ્યક્તિ કે મુદ્દા પર ટીપ્પણી નથી કરવી પણ નશાને ખતમ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. નાનો હોય કે મોટો આ લડાઈમાં એક પણ આરોપીને છોડવામાં નહીં આવે.
AAP અને કૉંગ્રેસ વચ્ચે વિખવાદઃ છેલ્લા કેટલાક દિવસો બાદ પંજાબમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હોવાની વાતો ચાલી રહી છે. આગામી લોકસભામાં પંજાબની 13 લોકસભા બેઠક પર કૉંગ્રેસ લડશે. આમ આદમી પાર્ટી સાથે કોઈ પ્રકારની બેઠક ફાળવણી કરવામાં નહીં આવે. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં AAP અને કૉંગ્રેસ વચ્ચે બેઠક ફાળવણી પર અનેક બેઠકો ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. જો કે હજુ સુધી કોઈ નેતા દ્વારા બેઠક ફાળવણીની સ્પષ્ટતા અંગે સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી.