ETV Bharat / state

આપણી ધરોહર, આપણું ગૌરવ : ભાવનગરમાં સ્થિત ધરોહરોની વાસ્તવિક સ્થિતિ શું ? - World Heritage Day

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 18, 2024, 5:35 PM IST

આપણી ધરોહર, આપણું ગૌરવ
આપણી ધરોહર, આપણું ગૌરવ

18 એપ્રિલને વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે માન્યતા મળી છે. ભારતને આઝાદી બાદ એક કરવાના સમયે સરદાર પટેલને સૌપ્રથમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું રજવાડું સોંપી દીધું હતું. ભાવનગર શહેરમાં અનેક ઐતિહાસિક ધરોહર છે, પરંતુ ક્યાંકને ક્યાંક આ ઇમારતોની ઉપેક્ષા થતી જોવા મળે છે. ભાવનગર સ્ટેટના રાજકુંવરી બ્રિજેશ્વરીબાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી ભાવનગરની ધરોહરની વાસ્તવિકતા જણાવી હતી...

ભાવનગરમાં સ્થિત ધરોહરોની વાસ્તવિક સ્થિતિ શું ?

ભાવનગર : દેશના એકીકરણ કરવામાં ભાવનગર રજવાડાના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પોતાનું રાષ્ટ્ર અર્પણ કરી દીધું હતું. રાષ્ટ્ર અર્પણ કરતા બધી જ ઐતિહાસિક ઇમારતો સરકારને અર્પણ થઈ ગઈ હતી. આઝાદીના 75 વર્ષ બાદ પણ ઐતિહાસિક રજવાડાની ઇમારતો જાળવણીમાં ઉદાસીનતા અને લોક જાગૃતિના અભાવે દયનીય હાલત જોવા મળે છે. ભાવનગર સ્ટેટના રાજકુંવરી બ્રિજેશ્વરીબા રાઓલે ETV Bharat સાથે વિશ્વ હેરિટેજ દિવસ નિમિત્તે ખાસ વાતચીત કરી હતી.

સંસ્કૃતિની જાળવણી કરવા પહેલ : ભાવનગર સ્ટેટના રાજકુંવરી બ્રિજેશ્વરીબા રાઓલે જણાવ્યું હતું કે, વિશ્વ ધરોહર દિવસની સ્થાપના 1982માં કરવામાં આવી હતી. અમે ત્રણથી ચાર વર્ષ પહેલા ભાવનગરમાં આ દિવસની ઉજવણી શરૂ કરી હતી. જે અંતર્ગત અમે ઘણા પ્રોગ્રામ રાખ્યા છે. જેથી ભાવનગરના લોકોને ખ્યાલ આવે કે, આપણી ધરોહર શું શું છે, ભાવનગરમાં કયા કયા ઐતિહાસિક સ્થળો છે. ઐતિહાસિક સ્થળો પણ નહીં પણ વિક્ટોરિયા પાર્ક પણ ઐતિહાસિક ધરોહર છે. આપણી કલા અને સંસ્કૃતિની કેવી રીતે જાળવણી કરીએ અને કેવી રીતે ભાવનગરના લોકો જાગૃત થાય તે અમારો ધ્યેય છે.

ભાવનગરના ઐતિહાસિક સ્થળ
ભાવનગરના ઐતિહાસિક સ્થળ

ભાવનગરના ઐતિહાસિક સ્થળ : ભાવનગરમાં સર ટી હોસ્પિટલ, બાર્ટન લાઈબ્રેરીની દશા ખરાબ છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટી લાઈબ્રેરી છે. જેમાં 90 હજાર જેટલા પુસ્તકો છે. આજની પેઢીના ઘણા લોકો મોબાઈલમાં ઉપર ઉપરથી બધું વાંચી લે છે અને તેમને લાગે અમે ઘણું જાણી લીધું છે. પરંતુ આ લાઇબ્રેરીના પુસ્તકોમાં જે શીખવા મળે એ ક્યાંય નહીં મળે. ઈન્ટરનેટમાં પણ એટલું બધું નથી જે આ પુસ્તકોમાં છે. અમે લાઈબ્રેરીને પણ ઓનલાઇન કરી રહ્યા છીએ, જેથી ઘરે બેસીને મેળવી શકો.

લોક જાગૃતિનો અભાવ : ભાવનગર સ્ટેટના રાજકુંવરી બ્રિજેશ્વરીબાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં આપણી કલા સંસ્કૃતિના જે પણ સ્થળ છે, તેના કોઈને કોઈ ધ્યેય હતા. જેમ કે હોસ્પિટલ એક હોસ્પિટલ છે, આલ્ફ્રેડ હાઈસ્કૂલ તો એક સ્કૂલ છે. નંદકુવરબા વિદ્યાલય એટલે જે પણ મહારાજા હતા એમને ભાવનગરના લોકોને વધારે આપ્યું છે. લોકો એજ્યુકેટ થાય અને આગળ વધે તેવો પ્રયત્ન હતો. અમારો પ્રયત્ન છે કે ભાવનગરના લોકો વધારે એજ્યુકેટેડ બને તથા શહેર વધારે સારું, સ્વચ્છ અને સુંદર બને.

સંસ્કૃતિની જાળવણી કરવા પહેલ
સંસ્કૃતિની જાળવણી કરવા પહેલ

જનતા અને સરકારનો સમન્વય : બ્રિજેશ્વરીબાએ જણાવ્યું હતું કે, જ્યારે પબ્લિક જાગૃત હોય ત્યારે ઘણું બધું થઈ શકે છે. જેમ અમે પ્રયત્ન કરીએ છીએ, તેમ લોકોને પણ થવું જોઈએ કે અમે અહીંયા ગંદકી ન કરીએ. આ ઐતિહાસિક સ્થળોને સ્વચ્છ રાખીએ એ જ પબ્લિકની એક જવાબદારી છે. જુદા જુદા ઐતિહાસિક સ્થળો વિવિધ વિભાગમાં આવે છે. આ બધા વિભાગ પાસે ગ્રાંટ અને સુવિધા છે. બધા લોકો ભણેલા ગણેલા છે તો બસ થોડા એક્શનની વાત છે. જો ભાવનગરના લોકો થોડું પુશ કરશે તો મને આશા છે કે ગવર્મેન્ટને પણ થોડો એહસાસ થશે કે ભાવનગરના લોકોને રસ છે, અમારે પણ રસ લેવો પડશે.

  1. અતિક્રમણની જાળમાં ફસાઇ પોતાની દુર્દશા પર આંસુ વહાવવા માટે મજબૂર પરકોટે દીવાલ
  2. પાકિસ્તાનથી ભાવનગર પધાર્યા હિંગળાજ માતા, બલુચિસ્તાનમાં બિરાજમાન માતાની ભાવનગરની ભૂમિ પર સ્થાપના
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.